Saturday, April 27, 2024
More
    હોમપેજવગેરે...કટાક્ષઆપનું અનોખું વચન: ગુજરાતમાં આપ સરકાર બનતાં જ ગુજરાતીઓને ટ્વીટર બ્લુ ટીક...

    આપનું અનોખું વચન: ગુજરાતમાં આપ સરકાર બનતાં જ ગુજરાતીઓને ટ્વીટર બ્લુ ટીક ફ્રીમાં મળશે

    જ્યારે અમે આ બાબતે વધુ તપાસ હાથ ધરી ત્યારે એવું જાણવા મળ્યું હતું કે અરવિંદ કેજરીવાલ તેમની આવનારી ગુજરાત મુલાકાત દરમ્યાન ગુજરાતીઓને લગભગ 150 થી 200 રૂપિયામાં પડનારા આ બ્લુ ટીકને મફતમાં આપવાની જાહેરાત કરી શકે છે.

    - Advertisement -

    આમ આદમી પાર્ટી હાલમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી જીતવા માટે મહેનત કરી રહી છે. ચૂંટણીના પડઘમ વાગે તેના ઘણાં મહિનાઓ અગાઉ જ આપના  સર્વેસર્વા અરવિંદ કેજરીવાલે અનેક ગેરંટીઓ આપી દીધાં છે. આજે ટ્વીટરના માલિક ઈલોન મસ્કે ટ્વીટરનું બ્લુ ટીક દરેકને 8 ડોલર્સમાં મળશે તેવી જાહેરાત કરી છે પરંતુ ગુજરાતીઓને આ બ્લુ ટીક મફતમાં મળે તેવી જાહેરાત આમ આદમી પાર્ટી બહુ જલ્દીથી કરે તેવી શક્યતાઓ વ્યક્ત થઇ રહી છે.

    આમ આદમી પાર્ટી સાથે સંકળાયેલા સુત્રો કહી રહ્યાં છે કે અમારા નેતા અરવિંદ કેજરીવાલ પ્રજાને જીવનજરૂરી એવી તમામ બાબતો જેમકે વીજળી અને પાણી મફતમાં મળે તેવું સ્વપ્ન લઈને ચાલી રહ્યાં છે. ગુજરાતમાં ભલે લોકોને કશુંજ મફતમાં નથી જોઈતું પરંતુ જો ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બની તો ગુજરાતીઓને ઉપરોક્ત બંને સુવિધાઓ કડક હાથે કાયદાકીય રક્ષણ હેઠળ પણ આપવામાં આવશે જ તેમ આ સુત્રે જણાવ્યું છે.

    આપ સાથે જોડાયેલાં એક અન્ય સુત્રે જણાવ્યું હતું કે આજના જમાનામાં સોશિયલ મીડિયા પણ એજ જીવનજરૂરી વસ્તુ બની ગઈ છે. અત્યારસુધી તો ટ્વીટર તેનું બ્લુ ટીક વ્યક્તિની ઓળખ કરીને તેમજ વગર પૈસે આપતું હતું પરંતુ આજે જ ઈલોન મસ્કે એક ઘોર જનતા વિરોધી નિર્ણય લેતાં ટ્વીટર પર વ્યક્તિને મળતી આ ખાસ ઓળખને પણ દોહ્યલી બનાવી દેવાનું જે કાવતરું રચ્યું છે તેનો આમ આદમી પાર્ટી વિરોધ કરશે.

    - Advertisement -

    હાલમાં અમારા નેતા અરવિંદ કેજરીવાલ ગુજરાત અને હિમાચલ પ્રદેશની ચૂંટણીઓમાં વ્યસ્ત હોવાથી તેઓ આ મામલે ઈલોન મસ્કને મળવા અમેરિકા તો નહીં જઈ શકે પરંતુ ઈલોન મસ્કના આ ઘોર પ્રજા વિરોધી પગલાંની કોઈજ અસર ન પડે તેમજ ગુજરાતની પ્રજાને એક મોટી રાહત મળે એ માટે તેઓ ટ્વીટરના આ બ્લુ ટીક અંગે બહુ જલ્દીથી એક મોટી જાહેરાત કરવા જઈ રહ્યાં છે તેમ આ સુત્રે ઉમેર્યું હતું.

    જ્યારે અમે આ બાબતે વધુ તપાસ હાથ ધરી ત્યારે એવું જાણવા મળ્યું હતું કે અરવિંદ કેજરીવાલ તેમની આવનારી ગુજરાત મુલાકાત દરમ્યાન ગુજરાતીઓને લગભગ 150 થી 200 રૂપિયામાં પડનારા આ બ્લુ ટીકને મફતમાં આપવાની જાહેરાત કરી શકે છે. જો કે આમ થવા માટે ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બનવી જરૂરી છે તેમ પણ તેઓ આ ગેરંટી સાથે શરત મૂકી શકે છે.  

    આમ આદમી પાર્ટી ગુજરાતની ઉચ્ચ નેતાગીરીનું માનવું છે કે ટ્વીટર પર આમ આદમી પાર્ટીના અસંખ્ય એવા સમર્થકો છે જેમનું મુખ્ય કામ ફક્ત અન્ય વિચારધારાનાં વ્યક્તિઓને ટ્રોલ કરવાનું છે અને તેઓ કાયમ ખોટી માહિતી ફેલાવવાનું કાર્ય કરતાં હોય છે.

    જો આ તમામ માત્ર 150 થી 200 રૂપિયા ખર્ચ્યા વગર સાવ મફતમાં બ્લુ ટીક મેળવી લેશે તો તેમની વિશ્વસનીયતામાં વધારો થશે અને આમ આદમી પાર્ટી માટે તેની ‘યોજનાઓ’ નો ફેલાવો કરવો સરળ બની જશે અને છેવટે આ બાબત અરવિંદ કેજરીવાલને 2024માં દેશના વડાપ્રધાન બનવા માટે પણ મદદરૂપ બનશે જે રીતે નરેન્દ્ર મોદી 2014માં ટ્વીટરની મદદથી જ વડાપ્રધાન બન્યા હોવાનો દાવો કેટલાક વિપક્ષી નેતાઓ કરતા હોય છે.

    અરવિંદ કેજરીવાલ બ્લુ ટીક ફ્રીની જાહેરાત ગુજરાતમાં તેમની 500મી ગેરંટી તરીકે એક ખાસ સમારંભમાં જાહેર કરે તેવું જણાવવામાં આવી રહ્યું છે. આમ કરીને ગુજરાતમાં અરવિંદ કેજરીવાલ ગેરંટીલાલ કેજરીવાલ તરીકે છવાઈ જવા માંગે છે અને આ રીતે તેઓ પંજાબ બાદ એક બીજું મોટું રાજ્ય એટલેકે ગુજરાત કબજે કરીને દેશભરમાં આમ આદમી પાર્ટીનો જયજયકાર કરવા માંગે છે તેમ આપના એક મોટા નેતા દ્વારા જાણ થઇ છે.

    બ્લુ ટીક ઉપરાંત ઈલોન મસ્કે ટ્વીટરમાં લાંબા વિડીયો અને ઓડિયોની સુવિધા આપવાનું પણ કહ્યું છે આ માટે પણ ગુજરાતમાં સરકાર બન્યા બાદ દિલ્હીના મોહલ્લા ક્લિનિકની તર્જ પર મોહલ્લા ઓડિયો-વિડીયો સ્ટુડિયોઝ પણ સ્થાપિત કરવાની ગેરંટી ગુજરાતમાં પ્રચાર દરમ્યાન કેજરીવાલ ગમે ત્યારે આપી શકે છે જેથી ગુજરાત દ્વારા દેશભરમાં 2024 માટે આપ તરફી વાતાવરણ ઉભું થશે તેવી બાતમી પણ અમારા સુત્રે અમને જણાવી છે.

    ઈલોન મસ્કનું ત્રીજું વચન કે હવેથી ટ્વીટરમાં અત્યારે છે તેનાથી અડધી જ જાહેરાત આપવામાં આવશે તે અંગે આમ આદમી પાર્ટીનું કહેવું છે કે આ બાબતે તે મસ્ક સાથે ચર્ચા કરવા તૈયાર છે અને પાર્ટી મસ્ક જાહેરાતનો જે અડધો ભાગ બંધ કરવા માંગે છે તેને પાર્ટી દિલ્હી તેમજ પંજાબ સરકાર દ્વારા ઉઘરાવેલા ટેક્સના નાણાનો ઉપયોગ કરીને ખરીદી લે તેવી ઓફર આપી શકે છે. આથી મસ્કને પણ કમાણી થાય અને આમ આદમી પાર્ટીની જાહેરાતો પાછળ લખલૂટ ખર્ચો કરવાની પરંપરા પણ જળવાઈ રહેશે તેવો પાર્ટી હાઈકમાન્ડનો મત છે.

    આમ આદમી પાર્ટી દ્વારા બ્લુ ટીક ગુજરાતીઓને સરકાર બનતાં જ મફતમાં મળશે તેવી ગેરંટી જાહેર થતાં જ ગુજરાતમાં ખાસકરીને યુવાનોમાં તેમજ આપ તરફી તટસ્થ સોશિયલ મીડિયા સમર્થકો અને મીડીયાકર્મીઓમાં ઉત્સાહનો સંચાર થશે અને ગુજરાતમાં પરિવર્તનનો પવન વધુ જોરથી ફૂંકાશે અને ભાજપ સરકાર તેમજ મોદી તેમનાથી વધુ ડરી જશે તેવી આશા આમ આદમી પાર્ટીના એક ખાસ નેતાએ પોતાનું નામ જાહેર ન કરવાની શરતે વ્યક્ત કરી હતી.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં