Monday, April 29, 2024
More
    હોમપેજવગેરે...ધર્મ/સંસ્કૃતિમાત્ર વડાપ્રધાન જ નહીં, તમારા ઘર સુધી પણ પહોંચશે નિમંત્રણના અક્ષત: 5...

    માત્ર વડાપ્રધાન જ નહીં, તમારા ઘર સુધી પણ પહોંચશે નિમંત્રણના અક્ષત: 5 લાખ ગામડાંઓમાં લાઇવ જોઈ શકાશે રામમંદિરની પ્રાણપ્રતિષ્ઠા

    1984માં રામ જન્મભૂમિ પર મંદિર માટે આંદોલન શરૂ થયું ત્યારથી લઈને અત્યાર સુધી 2019માં સુપ્રીમ કોર્ટના નિર્ણય સુધી દેશભરમાંથી આવેલા લોકો કે જેમણે આ સંઘર્ષમાં ભાગ લીધો છે તેમને વિશેષ રૂપે મંદિરમાં દર્શન કરાવવામાં આવશે. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ દેશના વિવિધ ભાગોમાંથી કારસેવકોને અલગ-અલગ તારીખો પર આમંત્રિત કરશે અને દર્શન કરાવશે.

    - Advertisement -

    હજુ થોડા જ સમય પહેલાંની વાત છે, જ્યારે રામજન્મભૂમિ પર રામલલ્લાના અધિકારને નકારી કાઢનારા લોકો ટોણા મારતા હતા કે ‘મંદિર વહીં બનાયેંગે, તારીખ નહીં બતાયેંગે.’ હવે જ્યારે 22 જાન્યુઆરી 2024ના રોજ અયોધ્યાના રામમંદિરની સ્થાપનાની તારીખ સામે આવી ગઈ છે, ત્યારે હવે લોકોના પેટમાં ફરી તેલ રેડાયું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કેમ આમંત્રણ આપવામાં આવ્યું. પરંતુ લિબરલ સેક્યુલર જમાતના અંગવિશેષને એ સમાચારથી આંચકો લાગશે કે પ્રાણપ્રતિષ્ઠા માટેનું આમંત્રણ દિલ્હીના લોકકલ્યાણ માર્ગના બંગલા નંબર 7 (વડાપ્રધાનનું સત્તાવાર નિવાસસ્થાન)ના પરિઘ સુધી મર્યાદિત નથી રહેવાનું, પણ તે દેશના 5 લાખ ગામોમાં દરેક ઘર સુધી પહોંચવા જઈ રહ્યું છે. વ્યવસ્થાઓ એવી કરવામાં આવશે કે 5 લાખ ગામડાંઓમાં રામમંદિર પ્રાણપ્રતિષ્ઠા લાઇવ જોઈ શકાશે.

    શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના સભ્ય કામેશ્વર ચૌપાલે ઑપઇન્ડિયાને જણાવ્યું છે કે અયોધ્યામાં 16 જાન્યુઆરી, 2024થી જ રામમંદિરના અનુષ્ઠાન કાર્યક્રમો શરૂ થઇ જશે. 22 જાન્યુઆરીએ પ્રાણપ્રતિષ્ઠા થશે. આ સમય દરમિયાન કળા તેમજ શિક્ષણ જેવાં વિવિધ ક્ષેત્રે નોંધપાત્ર કામગીરી કરનાર 5 હજાર જેટલા સંતો-મહાત્માઓ અને 5 હજાર જેટલા લોકો પણ ઉપસ્થિત રહેશે. પ્રાણપ્રતિષ્ઠા બાદ આગામી બે દિવસ સુધી ઉત્સવો મનાવવામાં આવશે.

    અક્ષતના રૂપમાં મોકલવામાં આવશે પ્રાણ-પ્રતિષ્ઠાના આમંત્રણ

    ચૌપાલના જણાવ્યા અનુસાર, પ્રાણપ્રતિષ્ઠાનું આમંત્રણ દેશના 5 લાખ ગામો સુધી પહોંચવાનું છે. આ માટે દેશના 50 પ્રમુખ કેન્દ્રોથી લોકોને નવેમ્બરમાં અયોધ્યા બોલાવવામાં આવ્યા છે. આ લોકો ‘અક્ષત’ને અયોધ્યાથી આ કેન્દ્રો સુધી લઈ જશે. આ કેન્દ્રોથી પ્રાણપ્રતિષ્ઠાના આમંત્રણ રૂપે 5 લાખ ગામોમાં અક્ષતનું વિતરણ કરવામાં આવશે. 22 જાન્યુઆરીએ આ ગામોના લોકોને તેમના સ્થાનિક મંદિરમાં એકઠા થવાનું કહેવામાં આવશે. ત્યાં તેઓ એકસાથે પ્રાણપ્રતિષ્ઠાના કાર્યક્રમનું જીવંત પ્રસારણ જોઈ શકશે. જેનો સીધો અર્થ તે થયો કે 5 લાખ ગામડાંઓમાં રામમંદિરની પ્રાણપ્રતિષ્ઠા લાઇવ જોવામાં આવશે.

    - Advertisement -

    ઉલ્લેખનીય છે કે, બિહાર વિધાન પરિષદના સભ્ય રહી ચૂકેલા કામેશ્વર ચૌપાલ વિશ્વ હિંદુ પરિષદ (દક્ષિણ બિહાર)ના પ્રાંતીય અધ્યક્ષ પણ છે. તેમણે 9 નવેમ્બર 1989ના રોજ અયોધ્યામાં રામ જન્મભૂમિ મંદિરના પાયાની પ્રથમ ઈંટ મૂકી હતી. 2019માં સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ જ્યારે રામજન્મભૂમિ પર મંદિર નિર્માણ માટે ટ્રસ્ટની રચના કરવામાં આવી, ત્યારે તેમને પણ આ ટ્રસ્ટમાં સ્થાન આપવામાં આવ્યું.

    પ્રાણ-પ્રતિષ્ઠાનું આમંત્રણ મેળવીને ધન્ય થયો: વડાપ્રધાન નરેન્દ્ર મોદી

    25 ઓક્ટોબર, 2023ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ‘શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર’ ટ્રસ્ટ તરફથી શ્રી રામલલા સરકારના શ્રી વિગ્રહના ‘પ્રાણ-પ્રતિષ્ઠા’ સમારોહમાં ભાગ લેવા આમંત્રણ મળ્યું હતું. આ અંગે માહિતી આપતા વડાપ્રધાને X-ટ્વિટર પર પોસ્ટ કરીને કહ્યું હતું કે, “જય સિયારામ! આજનો દિવસ (25 ઓક્ટોબર) ખૂબ ભાવનાઓથી ભરેલો છે. હમણાં જ શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના પદાધિકારીઓ મને મારા નિવાસસ્થાને મળવા આવ્યા હતા. તેમણે મને શ્રીરામ મંદિરમાં ‘પ્રાણ-પ્રતિષ્ઠા’ અવસરે અયોધ્યા આવવાનું આમંત્રણ આપ્યું છે. હું ખૂબ જ ધન્યતા અનુભવી રહ્યો છું. મારું સૌભાગ્ય છે કે, મારા જીવનકાળ દરમિયાન, હું આ ઐતિહાસિક અવસરનો સાક્ષી બનીશ.”

    22 જાન્યુઆરી 2024ના રોજ જ પ્રાણ-પ્રતિષ્ઠા કેમ?

    કામેશ્વર ચૌપાલે જણાવ્યું હતું કે હિંદુ પરંપરામાં ગૃહ પ્રવેશ ઉત્તમ યોગમાં જ થાય છે. રામમંદિર માટે હિંદુઓએ લાંબા સમય સુધી સંઘર્ષ કર્યો છે. 22 જાન્યુઆરીએ ઉત્તમ યોગના કારણે નવનિર્મિત રામ મંદિરના ગર્ભગૃહમાં પ્રાણ-પ્રતિષ્ઠા માટે તેની પસંદગી કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે ભગવાન શ્રી રામનો જન્મ અભિજિત યોગમાં થયો હતો. અન્ય તિથિઓની સરખામણીએ આ યોગ 22 જાન્યુઆરીએ લાંબા સમય સુધી ચાલશે. આ જ કારણ છે કે આ તિથિ પ્રાણપ્રતિષ્ઠા માટે સૌથી યોગ્ય માનવામાં આવી છે.

    શું હોય છે અભિજિત યોગ?

    અભિજિત યોગ દરરોજ આવે છે. જોકે, તેની અવધિ અલગ અલગ હોય છે. ક્યારેક આ ક્ષણિક તો ક્યારેક લાંબા સમય સુધી બન્યો રહે છે. તેને દિવસનો શ્રેષ્ઠ અથવા સૌથી શુભ સમય માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ યોગમાં કોઈ કાર્ય શરૂ કરવાથી તેના સફળ થવાની સંભાવના વધુ હોય છે.

    ભવ્ય રામ મંદિરમાં ક્યારથી કરી શકાશે દર્શન?

    કામેશ્વર ચૌપાલે ઑપઇન્ડિયાને જણાવ્યું છે કે 25 જાન્યુઆરી, 2024થી સામાન્ય લોકો પણ ભવ્ય રામમંદિરમાં ભગવાનના દર્શન કરી શકશે. જોકે ગર્ભગૃહમાં કઈ મૂર્તિની સ્થાપના કરવામાં આવશે તે અંગે હજુ નિર્ણય લેવાયો નથી. ત્રણ અલગ અલગ પ્રતિમાઓનું નિર્માણ થઇ રહ્યું છે. તેવી જ રીતે પ્રાણપ્રતિષ્ઠા કોના નિર્દેશનમાં થશે અને કોણ યજમાન બનશે તે અંગે હજુ અંતિમ નિર્ણય લેવાયો નથી.

    દેશભરના કાર સેવકોને કરાવવામાં આવશે વિશેષ દર્શન

    વધુમાં ચૌપાલે જણાવ્યું કે, 1984માં રામ જન્મભૂમિ પર મંદિર માટે આંદોલન શરૂ થયું ત્યારથી લઈને અત્યાર સુધી 2019માં સુપ્રીમ કોર્ટના નિર્ણય સુધી દેશભરમાંથી આવેલા લોકો કે જેમણે આ સંઘર્ષમાં ભાગ લીધો છે તેમને વિશેષરૂપે મંદિરમાં દર્શન કરાવવામાં આવશે. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ દેશના વિવિધ ભાગોમાંથી કારસેવકોને અલગ-અલગ તારીખો પર આમંત્રિત કરશે અને રામમંદિરમાં દર્શન કરાવશે. આ શ્રેણીમાં નેપાળ અને ઉત્તર બિહારના કારસેવકોને 2 ફેબ્રુઆરીએ અને 3 ફેબ્રુઆરી 2024ના રોજ દક્ષિણ બિહાર અને ઝારખંડના કારસેવકોને દર્શન કરાવવામાં આવશે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં