હોમપેજવગેરે...ધર્મ/સંસ્કૃતિ‘સામ્રાજ્યો બદલાયા, ઇતિહાસ બદલાયો… છતાં લોકોના હૃદયમાં અંકિત રહ્યું સોમનાથ’: જીર્ણોદ્ધારની 75મી...

‘સામ્રાજ્યો બદલાયા, ઇતિહાસ બદલાયો… છતાં લોકોના હૃદયમાં અંકિત રહ્યું સોમનાથ’: જીર્ણોદ્ધારની 75મી વર્ષગાંઠ પર પીએમ મોદીનો વિશેષ લેખ

હું તમામ દેશવાસીઓને આગ્રહ કરું છું કે આ પવિત્ર અવસરે પવિત્ર સોમનાથ ધામની મુલાકાત લો અને તેની ભવ્યતાના સાક્ષાત્ દર્શન કરો. જ્યારે તમે સોમનાથના તટ પર ઊભા હશો, ત્યારે તેના પ્રાચીન પડઘાઓને તમારી ભીતર અનુભવશો.

- Advertisement -

જય સોમનાથ!

વર્ષ 2026ની શરૂઆતમાં મને સોમનાથ સ્વાભિમાન પર્વમાં સહભાગી થવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું. સોમનાથ મંદિર પર થયેલા પ્રથમ આક્રમણના એક હજાર વર્ષ પછી પણ આ પર્વ મંદિરની શાશ્વતતા અને તેના અવિનાશી હોવાનો ઉત્સવ હતો. હવે 11 મેના રોજ મને ફરી એકવાર સોમનાથ જવાની સુવર્ણ તક મળી રહી છે.

આ વખતની આ યાત્રા પુનઃનિર્મિત સોમનાથ મંદિરના લોકાર્પણની 75મી વર્ષગાંઠ નિમિત્તે થઈ રહી છે. હું એ ક્ષણોને ફરી જીવવા જઈ રહ્યો છું જ્યારે ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્ર પ્રસાદજીએ મંદિરનું લોકાર્પણ કર્યું હતું. તે દિવસે સોમનાથમાં વિધ્વંસથી સર્જન સુધીની યાત્રા ફરીથી જીવંત થશે. છ મહિનાની અંદર જ સોમનાથના ઇતિહાસ સાથે જોડાયેલા આ બે અત્યંત મહત્વપૂર્ણ પડાવોનો સાક્ષી બનવું એ મારા માટે ખૂબ જ સૌભાગ્યની વાત છે.

- Advertisement -

સોમનાથ એ માત્ર એક મંદિર નથી, પરંતુ આપણી સભ્યતાનો અખંડ સંકલ્પ છે. તેની સામે ઘૂઘવતો વિશાળ સમુદ્ર અનંતકાળની અનુભૂતિ કરાવે છે. તેના મોજાં આપણને શીખવે છે કે તોફાન ગમે તેટલા વિકરાળ કેમ ન હોય, મનુષ્યનું સાહસ અને આત્મબળ દર વખતે ફરીથી ઊભા થવા માટે સક્ષમ છે. દરિયાકાંઠા સાથે અથડાતી લહેરો સદીઓથી એ ઉદ્ઘોષ કરી રહી છે કે માનવીય ચેતનાને લાંબા સમય સુધી દબાવી શકાતી નથી.

આપણા પ્રાચીન શાસ્ત્રોમાં લખ્યું છે: प्रभासं च परिक्रम्य पृथिवीक्रमसंभवम्। અર્થાત્ દિવ્ય પ્રભાસની (સોમનાથ) પરિક્રમા કરવી એ સમગ્ર પૃથ્વીની પરિક્રમા કરવા સમાન છે! જ્યારે લોકો અહીં દર્શન-પૂજન માટે આવે છે, ત્યારે તેમને એ સભ્યતાની અદ્ભુત નિરંતરતાનો અનુભવ થાય છે, જેની જ્યોત ક્યારેય નથી ઓલવાઈ.

ઇતિહાસમાં અનેક સામ્રાજ્યો આવ્યા અને ગયા, સમય બદલાયો અને અનેક ઉતાર-ચઢાવ આવ્યા, છતાં સોમનાથ હંમેશા આપણા હૃદયમાં અંકિત રહ્યું. આ એ અસંખ્ય મહાન વિભૂતિઓને સ્મરણ કરવાનો પણ સમય છે, જેઓ ક્રૂર આક્રમણખોરો સામે અડીખમ રહ્યા હતા. લકુલીશ અને સોમ શર્મા જેવા મનીષીઓએ પ્રભાસને શૈવ દર્શનનું મહાન કેન્દ્ર બનાવ્યું, જ્યારે ચક્રવર્તી મહારાજ ધારસેન ચોથાએ સદીઓ પહેલાં ત્યાં બીજા મંદિરનું નિર્માણ કરાવ્યું હતું.

સમયની કઠિન પરીક્ષા વચ્ચે ભીમદેવ પ્રથમ, જયપાલ અને આનંદપાલ જેવા શાસકો પોતાની સભ્યતાની ઢાલ બનીને આક્રમણો સામે લડ્યા અને મંદિરનું રક્ષણ કર્યું. એવું માનવામાં આવે છે કે મહાન રાજા ભોજે પણ આ પાવન સ્થળના પુનઃનિર્માણમાં પોતાનું અમૂલ્ય યોગદાન આપ્યું હતું. કર્ણદેવ સોલંકી અને સિદ્ધરાજ જયસિંહ જેવા પ્રતાપી રાજાઓએ ગુજરાતની રાજકીય અને સાંસ્કૃતિક શક્તિને પુનઃસ્થાપિત કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.

ભાવ બૃહસ્પતિ, કુમારપાળ સોલંકી અને પાશુપતાચાર્યોએ આ તીર્થને આરાધના અને જ્ઞાનના કેન્દ્ર તરીકે સ્થાપિત કરવામાં અમૂલ્ય ફાળો આપ્યો છે. વિસલદેવ વાઘેલા અને ત્રિપુરાંતકે તેની બૌદ્ધિક અને આધ્યાત્મિક પરંપરાઓનું રક્ષણ કર્યું, જ્યારે મહિપાલ ચુડાસમા અને રા’ ખેંગાર ચુડાસમાએ વિધ્વંસ પછી પણ અહીં પૂજા-પાઠની પરંપરાને પુનર્જીવિત કરી હતી.

પુણ્યશ્લોક અહલ્યાબાઈ હોલ્કર, જેમની 300મી જન્મજયંતિ ઉજવવામાં આવી રહી છે, તેમણે સૌથી પડકારજનક સમયમાં પણ ભક્તિની પરંપરાને જીવંત રાખી હતી. વડોદરાના ગાયકવાડ શાસકોએ પણ યાત્રાળુઓના અધિકારોનું રક્ષણ કર્યું હતું. આ સાથે આપણી આ ભૂમિ વીર હમીરજી ગોહિલ અને વીર વેગડાજી ભીલ જેવા પરાક્રમી વીરોથી ધન્ય થઈ છે, જેમના સાહસ અને બલિદાનને આજે પણ આદરપૂર્વક યાદ કરવામાં આવે છે.

1940ના દાયકામાં જ્યારે સમગ્ર ભારતમાં સ્વતંત્રતાની ભાવના પ્રસરી રહી હતી અને સરદાર પટેલ જેવા મહાન નેતાઓના નેતૃત્વમાં આઝાદ ભારતનો પાયો નખાઈ રહ્યો હતો, ત્યારે સોમનાથની દુર્દશા તેમને ખૂબ જ વ્યથિત કરતી હતી. 13 નવેમ્બર 1947ના રોજ દિવાળીના સમયે સોમનાથના જર્જરિત અવશેષો સામે ઊભા રહીને તેમણે હાથમાં સમુદ્રનું જળ લઈને સંકલ્પ કર્યો હતો કે, “આ (ગુજરાતી) નવા વર્ષ પર અમારો નિશ્ચય છે કે સોમનાથનું પુનઃનિર્માણ થશે. સૌરાષ્ટ્રના લોકોએ આ પવિત્ર કાર્યમાં દરેક રીતે પોતાનું યોગદાન આપવું પડશે.” તેમના આ આહ્વાને માત્ર ગુજરાત જ નહીં, પરંતુ સમગ્ર ભારતવર્ષમાં નવો ઉત્સાહ ભરી દીધો હતો.

દુર્ભાગ્યવશ સરદાર પટેલ જે સપના માટે પોતાને સમર્પિત કરી દીધા હતા, તેને સાકાર થતું જોઈ શક્યા નહીં. જીર્ણોદ્ધાર બાદ સોમનાથ મંદિર ભક્તો માટે ખુલે તે પહેલાં જ તેમણે દુનિયામાંથી વિદાય લીધી. તેમ છતાં પ્રભાસ પાટણની પવિત્ર ધરતી પર તેમનો પ્રભાવ અને તેમની હાજરી આજે પણ નિરંતર અનુભવાઈ રહી છે.

તેમના આ વિઝનને કનૈયાલાલ મુનશીએ આગળ ધપાવ્યું, જેમાં તેમને નવાનગરના જામસાહેબનો સંપૂર્ણ ટેકો મળ્યો. 1951માં જ્યારે મંદિરનું પુનઃનિર્માણ કાર્ય પૂર્ણ થયું, ત્યારે રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્ર પ્રસાદને ઉદ્ઘાટન માટે આમંત્રિત કરવામાં આવ્યા હતા. તત્કાલીન વડા પ્રધાન પંડિત નેહરુના વિરોધ છતાં ડૉ. પ્રસાદે આ સમારોહમાં ભાગ લીધો અને આ પ્રસંગને ઐતિહાસિક બનાવી દીધો હતો.

મને ઓક્ટોબર 2001નો એ સમય આજે પણ બરાબર યાદ છે, જ્યારે મેં મુખ્યમંત્રી તરીકેની જવાબદારી સંભાળી હતી. 31 ઑકટોબર 2001ના રોજ સરદાર પટેલની જયંતીના અવસરે ગુજરાત સરકારે સોમનાથ મંદિરના પુનઃનિર્માણની 50મી વર્ષગાંઠનું ભવ્ય આયોજન કર્યું હતું. આ જ સમયે સરદાર પટેલની 125મી જન્મજયંતી પણ ઉજવવામાં આવી રહી હતી.

આ કાર્યક્રમમાં તત્કાલીન વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીજી અને તત્કાલીન ગૃહમંત્રી શ્રી લાલકૃષ્ણ અડવાણીજીની ઉપસ્થિતિએ આ પ્રસંગને વધુ ગરિમાપૂર્ણ બનાવ્યો હતો. 11 મે 1951ના રોજ પોતાના ભાષણમાં ડૉ. રાજેન્દ્ર પ્રસાદે કહ્યું હતું કે સોમનાથ મંદિર વિશ્વને એ સંદેશ આપે છે કે અજોડ શ્રદ્ધા અને વિશ્વાસને ક્યારેય નષ્ટ કરી શકાતા નથી.

તેમણે આશા વ્યક્ત કરી હતી કે આ મંદિર સદાય લોકોના હૃદયમાં વસેલું રહેશે. તેમણે એ વાત પર પણ ભાર મૂક્યો હતો કે મંદિરના પુનઃનિર્માણથી સરદાર પટેલનું સપનું સાકાર થયું છે. સાથે જ, સરદાર પટેલની ભાવનાઓને અનુરૂપ લોકોના જીવનમાં સમૃદ્ધિ પણ લાવવી પડશે તેવી શ્રદ્ધા તેમણે વ્યક્ત કરી હતી. આ બાબતે તેમના સંદેશાઓ અત્યંત પ્રેરણાદાયી રહ્યા છે.

છેલ્લા એક દાયકાથી આપણે આ જ માર્ગ પર આગળ વધી રહ્યા છીએ. ‘વિકાસ પણ, વારસો પણ’ના મંત્રથી પ્રેરાઈને સોમનાથથી કાશી, કામાખ્યાથી કેદારનાથ, અયોધ્યાથી ઉજ્જૈન અને ત્ર્યંબકેશ્વરથી શ્રીશૈલમ સુધી, આપણે આપણા આધ્યાત્મિક કેન્દ્રોને આધુનિક સુવિધાઓથી સજ્જ કર્યા છે.

આ વિકાસની સાથે જ તેમની પરંપરાગત ઓળખને પણ જાળવી રાખવામાં આવી છે. આજે સારી કનેક્ટિવિટીને કારણે વધુને વધુ લોકો અહીં આવી રહ્યા છે. જેનાથી સ્થાનિક અર્થતંત્રને વેગ મળી રહ્યો છે, આજીવિકા સુરક્ષિત થઈ રહી છે અને સાથે સાથે ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ની ભાવના વધુ સશક્ત બની રહી છે.

સોમનાથની રક્ષા અને તેના પુનઃનિર્માણ માટે જેમણે પોતાનું સર્વસ્વ બલિદાન આપ્યું છે, તેમના સંઘર્ષને આપણે ક્યારેય ભૂલી નહીં શકીએ. ભારતભરમાંથી આવેલા લોકોએ આ મંદિરની ભવ્યતા અને દિવ્યતાને પુનઃસ્થાપિત કરવામાં અદભૂત યોગદાન આપ્યું છે. તેમની આ શ્રદ્ધા સમગ્ર ભારતવર્ષ માટે પણ એવી જ હતી. તેઓ એકતાના એક એવા અતૂટ તાંતણે બંધાયેલા હતા, જેને માત્ર જમીની સરહદોમાં સીમિત કરી શકાય તેમ નથી.

આજના વિભાજિત વિશ્વમાં સોમનાથમાંથી મળતો એકતાનો આ બોધ પહેલાં કરતા વધુ પ્રસ્તુત છે. સોમનાથ તેની ગૌરવશાળી પરંપરા સાથે હંમેશા અડીખમ રહેશે, કારણ કે તે આપણી સહિયારી સભ્યતાનું પ્રતીક છે. આ જ ગૌરવને નમન કરતા, બલિદાન આપનારા વીરોની સ્મૃતિમાં અને દાનવીરોની ઉદારતાને યાદ કરતા, આગામી એક હજાર દિવસ સુધી અહીં વિશેષ પૂજાનું આયોજન કરવામાં આવશે. આ પવિત્ર કાર્યમાં મોટી સંખ્યામાં લોકો પોતાનું યોગદાન આપી રહ્યા છે તે જોઈને ખૂબ જ પ્રસન્નતા થાય છે.

સોમનાથ આપણને યાદ અપાવે છે કે જ્યારે કોઈ સમાજ પોતાની આસ્થા, સંસ્કૃતિ અને એકતા સાથે જોડાયેલો રહે છે, ત્યારે તેને લાંબા સમય સુધી દબાવી શકાતો નથી. આજે પણ આપણી સૌથી મોટી શક્તિ આ સહિયારી ચેતના અને એકાત્મ ભાવ જ છે. આ જ ભાવના આપણને વિભાજનથી ઉપર ઉઠીને રાષ્ટ્રહિતમાં સાથે ચાલવાની પ્રેરણા આપે છે.

હું તમામ દેશવાસીઓને આગ્રહ કરું છું કે આ પવિત્ર અવસરે પવિત્ર સોમનાથ ધામની મુલાકાત લો અને તેની ભવ્યતાના સાક્ષાત્ દર્શન કરો. જ્યારે તમે સોમનાથના તટ પર ઊભા હશો, ત્યારે તેના પ્રાચીન પડઘાઓને તમારી ભીતર અનુભવશો. ત્યાં તમને માત્ર ભક્તિનો જ અનુભવ નહીં થાય, પરંતુ આપણી સભ્યતાની ચેતનાના એ સશક્ત ધબકારા પણ સંભળાશે, જે ક્યારેય અટક્યા નથી અને જેની તીવ્રતા ક્યારેય ઓછી થઈ નથી.

ત્યાં તમે ભારતની એ અપરાજિત આત્માનો અનુભવ કરશો, જેણે દરેક આઘાત છતાં પોતાની ઓળખ અને સંસ્કૃતિને અકબંધ રાખી છે. તમે સમજી શકશો કે આટલા પ્રયત્નો છતાં આપણી સભ્યતા કેમ ભૂંસાઈ ન શકી. ત્યાં તમને ચિરવિજયના એ દર્શનનો અનુભવ થશે જે સદીઓથી ભારતની શક્તિ છે. મને પૂરો વિશ્વાસ છે કે તમારા માટે આ એક અવિસ્મરણીય અનુભવ રહેશે.

જય સોમનાથ.

આ લેખ વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા લખાયેલ છે, મૂળ લેખ વાંચવા અહીં ક્લિક કરો.

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં