ભારતના ઇતિહાસમાં કેટલાક નામ એવા છે જે શૌર્ય, સમર્પણ અને દેશભક્તિના પર્યાય બની ગયા છે. ભારતની પવિત્ર ભૂમિ પર જન્મેલા અનેક વીરોએ પોતાના રક્તથી આ દેશના ગૌરવની ગાથાઓ લખી છે. આવા જ એક અજાણ્યા પરંતુ અજેય નાયક હતા મેજર હોશિયાર સિંઘ (Major Hoshiar Singh). તેમણે 1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધમાં બસંતરની લડાઈમાં અપ્રતિમ શૌર્ય દર્શાવી ભારતનું સર્વોચ્ચ સેના સન્માન ‘પરમવીર ચક્ર’ પ્રાપ્ત કર્યું હતું. મેજરની વીરતાના કિસ્સા પાકિસ્તાની સેનામાં પણ ફેલાઈ ગયા હતા અને સંખ્યાબળમાં મોટી પાકિસ્તાની સૈનિકોની ટુકડીએ તેમની સામે ઘૂંટણિયા ટેકવી દીધા હતા.
આ લેખમાં પરમવીર મેજર હોશિયાર સિંઘના જીવનની કેટલીક મહત્વની ઘટનાઓ, સૈનિકો સાથેના તેમના દિવસો અને યુદ્ધના મેદાનની રોમાંચક ક્ષણોનું ચિત્રણ કરવામાં આવ્યું છે. મેજર એવા કેટલાક ચુનીંદા યોદ્ધાઓ પૈકીના એક હતા જેમને હયાતીમાં જ સર્વોચ્ચ સેના મેડલ એનાયત કરાયો હતો. યુદ્ધભૂમિ પર ઘાયલ થઈને પણ પાકિસ્તાની સેનાના નાપાક ઈરાદાઓને ધ્વસ્ત કરનારા મેજરની 5 મેના રોજ જન્મજયંતિ ઉજવવામાં આવી રહી છે. તેવામાં તેમની વીરતા વિશે જાણવું પણ ખૂબ મહત્વપૂર્ણ છે.
જન્મ અને બાળપણ: એક ખેડૂતના ઘરમાં વવાયા શૌર્યના બીજ
5 મે, 1936નો એક સામાન્ય દિવસ હતો, જ્યારે હરિયાણાના સોનીપત જિલ્લાના સિસાના ગામે ચૌધરી હીરા સિંઘ અને મથુરા દેવીના ઘરે એક બાળકે જન્મ લીધો. આ બાળકનું નામ રાખવામાં આવ્યું—હોશિયાર સિંઘ. નામની જેમ જ તેમનું જીવન પણ હોશિયારી, નિર્ભીકતા અને દેશભક્તિનું પ્રતીક બની ગયું. જાટ પરિવારમાં જન્મેલા હોશિયારનું બાળપણ ખેતરોની હરિયાળી અને ગામની ધૂળમાં વીત્યું. તેમના પિતા હીરા સિંઘ એક ખેડૂત હતા, જેમની મહેનત અને સંઘર્ષથી પરિવારનું ગુજરાન ચાલતું હતું. માતા મથુરા દેવી એક ધાર્મિક અને સંસ્કારી મહિલા હતા, તેમણે હોશિયારને નાનપણથી જ નૈતિક મૂલ્યો અને દેશભક્તિનું મહત્વ શીખવ્યું હતું.
‘ધ બ્રેવ’માં રચના બિષ્ટ રાવત લખે છે કે, “હોશિયાર સિંઘનું બાળપણ એક સામાન્ય ગ્રામ્ય જીવનનું હતું, પરંતુ તેમના હૃદયમાં શૌર્યનો અગ્નિ જન્મથી જ પ્રજ્વલિત હતો.” ગામના બાળકો સાથે રમતાં-રમતાં હોશિયાર ઘણીવાર નેતૃત્વ ઉપાડી લેતા હતા. એકવાર ગામના એક વડીલે તેમને રમતમાં જીતતા જોઈને કહ્યું હતું કે, “બેટા, તું એક દિવસ મોટું નામ કરીશ. તારામાં એક જવાનનો દમ દેખાય છે.” આ શબ્દો બાળ હોશિયારના મનમાં ઘર કરી ગયા હતા.
સેનામાં પ્રવેશ: શૌર્યનું પ્રથમ પગથિયું
1957માં હોશિયાર સિંઘ ભારતીય સેનાની જાટ રેજિમેન્ટમાં જોડાયા અને 3 ગ્રેનેડિયર્સ બટાલિયનમાં લેફ્ટનન્ટ તરીકે કમિશન પ્રાપ્ત કર્યું. તેમની શારીરિક તાકાત, માનસિક દૃઢતા અને સૈનિકો સાથેની મૈત્રીભરી વર્તણૂકે તેમને ઝડપથી લોકપ્રિય બનાવ્યા. તેમના સાથી અધિકારીઓ ઘણીવાર કહેતા કે, “હોશિયાર એક એવો માણસ છે, જે શાંત રહીને પણ આગળ વધે છે. તેની આંખોમાં એક અજાણી આગ ઝળકે છે.”
સેનામાં પ્રવેશ્યા પછી હોશિયાર સિંઘે અનેક તાલીમોમાં ભાગ લીધો. એકવાર તાલીમ દરમિયાન જ્યારે એક યુવા સૈનિક ઊંચા પર્વત પરથી નીચે ઉતરવામાં ડરી રહ્યો હતો, ત્યારે હોશિયારે તેની પાસે જઈને કહ્યું હતું કે, “બહાદુર, આપણે ડરનો સામનો કરીએ છીએ, નહીં કે તેનાથી ભાગીએ. મારી સાથે ચાલ.” આ શબ્દો સાંભળીને તે સૈનિકે હિંમત એકઠી કરી હતી અને સફળતાપૂર્વક પર્વત ઉતરી ગયો. આ ઘટનાએ હોશિયારની નેતૃત્વ ક્ષમતાને ઉજાગર કરી હતી.
વાસ્તવમાં હોશિયાર સિંઘ બાળપણથી જ એક ઉમદા ખેલાડી પણ હતા. ઘણી નાની ઉંમરે તેમને રાષ્ટ્રીય ચેમ્પિયનશીપમાં વોલીબોલ ગેમમાં સંયુક્ત પંજાબ ટીમનું પ્રતિનિધિત્વ કરવા માટે નિયુક્ત કરવામાં આવ્યા હતા. બાદમાં તેમણે પંજાબ ટીમનું નેતૃત્વ કર્યું હતું અને રાષ્ટ્રીય ટીમ માટે પણ પસંદગી પામ્યા હતા. એક વોલીબોલ મેચ દરમિયાન જાટ રેજિમેન્ટ સેન્ટરના એક વરિષ્ઠ અધિકારીની નજર હોશિયાર પર પડી હતી. બાદમાં તેમણે હોશિયાર સિંઘને જાટ રેજિમેન્ટમાં સામેલ કરવા માટે રાજી કરી લીધા હતા.
1965ના યુદ્ધ દરમિયાન બિકાનેર સેક્ટરમાં તેમનો સાહસ, જોશ અને દ્રઢ સંકલ્પ જોવા મળ્યો હતો. તે સમયે તેમણે એક ઊંટ પર સવાર થઈને એક નાગરિકનો વેષ ધરીને બટાલિયન માટે ગુપ્ત માહિતી લાવવાનું કામ કર્યું હતું. એ માહિતીના આધારે બટાલિયને ધારી સફળતા મેળવી હતી અને હોશિયાર સિંઘના સાહસનું સન્માન કરવામાં આવ્યું હતું.
1971નું યુદ્ધ અને બસંતરની લડાઈનો પ્રારંભ
1971નું ભારત-પાકિસ્તાન યુદ્ધ ભારતના સેનાના ઇતિહાસનું સુવર્ણ પ્રકરણ છે. પૂર્વ પાકિસ્તાનમાં (આજનું બાંગ્લાદેશ) પાકિસ્તાની સેનાના અત્યાચારો સામે ભારતે નિર્ણાયક ભૂમિકા ભજવી હતી. પશ્ચિમી મોરચે, ખાસ કરીને પંજાબના શકરગઢ સેક્ટરમાં, ભારતીય સેનાએ પાકિસ્તાનની આક્રમક યોજનાઓને નિષ્ફળ કરવા માટે ભીષણ લડાઈઓ લડી હતી. તેમાંની એક લડાઈ હતી—બસંતરની લડાઈ, જે 15-17 ડિસેમ્બર, 1971 દરમિયાન લડવામાં આવી હતી.
બસંતર નદીના કિનારે આવેલું જરપાલ રણનીતીની દૃષ્ટિએ અત્યંત મહત્વનું હતું. પાકિસ્તાની સેના આ વિસ્તાર પર કબજો કરીને ભારતીય સરહદમાં ઘૂસણખોરી કરતી હતી અને અનેક આતંકી હુમલાને અંજામ આપતી હતી. મેજર હોશિયાર સિંઘ, જે તે સમયે કેપ્ટનના હોદ્દા પર હતા, તેમની ‘સી’ કંપનીને આ વિસ્તારને કબજે કરવા માટેના આદેશ આપવામાં આવ્યા હતા. ‘ધ બ્રેવ’માં રચના બિષ્ટ રાવત લખે છે, “મેજર હોશિયાર સિંઘ માટે આ લડાઈ માત્ર એક યુદ્ધ નહોતું, પરંતુ માતૃભૂમિની આન-બાન-શાનની રક્ષા માટેનો સંગ્રામ હતો.”
જરપાલ પર ભારતીય સેનાનો કબજો
શિયાળાની રાત છે. 3 ગ્રેનેડિયર્સના સૈનિકો શેરડી અને ઘઉંના ખેતરો પાર કરી ગયા છે. તેની વચ્ચે હવે બસંતર નાળુ વહી રહ્યું છે. પાણી ઉછાળા મારી રહ્યું છે અને ચંદ્રના પ્રકાશના કારણે ચમકી રહ્યું છે. કોઈને અંદાજો નહોતો કે પાણી હદથી વધારે ઠંડુ છે. પાણીમાં પગ નાખવાથી જ શરીર આખું મંદ પડી જાય અને લોહીનું પરિભ્રમણ અટકી જાય તેના અનુભવો સૈનિકોને થઈ રહ્યા હતા. મેજર હોશિયાર સિંઘના નેતૃત્વમાં 120 જવાન અને મેજર એસએસ ચીમાના નેતૃત્વમાં 120 જવાનો પાણીમાં આગળ વધી રહ્યા છે.
બરફના થર સાથેના નાળાને સૈનિકો સાહસ સાથે પાર કરી રહ્યા છે. સરહદને પાર કર્યા બાદ ભારતીય સેનાનો પહેલો ઉદ્દેશ્ય ભૈરવનાથ મંદિર હતો. ત્યાં દુશ્મન સેનાની એક ટુકડી ત્રણ શરમન ટેન્ક તૈયાર રાખીને બેઠી હતી. ભારતીય સેનાના આગમન સાથે જ ગામના નાગરિકો સુરક્ષિત સ્થળે ભાગી ગયા હતા. ત્યારબાદ ભારતીય સેના હુમલો કરે છે અને પાકિસ્તાની સૈનિકો ટેન્ક છોડીને ભાગી જાય છે. ભારતીય સેના મંદિર અને ટેન્કોને પણ પોતાના કજબા હેઠળ લઈ લે છે.
આગળ વધતાં તેમને પાકિસ્તાની સેનાના ટનલ પણ દેખાયા હતા. જે તેણે સેના અને ટેન્કોની વોર્નિંગ માટે બનાવ્યા હતા. ટનલમાં ટેન્કનું ટાયર પડતાં જ બ્લાસ્ટ થતો હતો. જોકે, હોશિયાર સિંઘની ટુકડીઓ પગપાળા યાત્રા કરતી હોવાથી કોઈ સમસ્યા આવી શકી નહોતી. ત્યારબાદ જરપાલ પહોંચીને ભારતીય સેનાએ સીધો હુમલો કરી દીધો હતો. 800 બૉમ્બથી ભયાનક વિસ્ફોટ કરવામાં આવ્યા હતા અને પાકિસ્તાનીઓને સ્થળ પરથી ખસેડી દેવામાં આવ્યા હતા. ધીરે-ધીરે સૈનિકોએ જરપાલ પર કબજો કરી લીધો હતો અને જીતેલા વિસ્તારના રક્ષણ માટે ખાઈ ખોદવાનું શરૂ કરી દીધું હતું. પરંતુ દુશ્મનો પોતાના વિસ્તારોને પરત મેળવવા માટે જવાબી હુમલો કરે તે પણ નક્કી હતું.
જરપાલ પર પાકિસ્તાની હુમલો અને ભારતનો પ્રહાર
15 ડિસેમ્બર, 1971ની સાંજે બસંતરના મેદાનો પર યુદ્ધના નગારાં વાગ્યા. પાકિસ્તાની સેનાએ ભારે તોપખાના અને ટેન્કોની મદદથી જરપાલ પર હુમલો કર્યો. રાતના અંધકારમાં ગોળીબારનો ગડગડાટ અને ટેન્કોના ધમાકાઓથી આખો વિસ્તાર ધ્રૂજી રહ્યો હતો. મેજર હોશિયાર સિંઘ દુશ્મનની હિલચાલ પર ચાંપતી નજર રાખી રહ્યા હતા. તેમના એક સૈનિક નાયક રામ સિંઘે થોડા ડરેલા અવાજે કહ્યું, “સાહેબ, દુશ્મનની સંખ્યા ઘણી છે. આપણે કેવી રીતે ટકીશું?”
હોશિયારે તેના ખભે હાથ મૂકીને દૃઢ અવાજે કહ્યું, “રામ સિંઘ, બહાદુરી ગણતરીથી નથી મપાતી, દિલની આગથી મપાય છે. આપણી માટી પર એક પણ દુશ્મનનો પગ નહીં પડે. લડીશું અને જીતીશું!” આ શબ્દોએ સૈનિકોના હૃદયમાં નવો ઉત્સાહ ભરી દીધો. મેજર હોશિયારે પોતાના સૈનિકોને રણનીતિ સમજાવી. તેમણે દુશ્મનના ટેન્કોને રોકવા માટે એન્ટી-ટેન્ક ગનનો ઉપયોગ કરવાનો આદેશ આપ્યો અને ખુદ દુશ્મનના બંકરોની નજીક જઈને હુમલો કરવાનું નક્કી કર્યું. ‘ધ બ્રેવ’માં આ ઘટનાનું વર્ણન કરતા લખવામાં આવ્યું છે કે, “મેજર હોશિયાર સિંઘ માત્ર એક અધિકારી નહોતા, પરંતુ એક નિર્ભીક યોદ્ધા હતા, જેમણે દુશ્મનની આંખોમાં આંખો નાખીને લડવાનું પસંદ કર્યું હતું.”
16 ડિસેમ્બરની રાત્રે યુદ્ધે ભયંકર સ્વરૂપ ધારણ કર્યું. પાકિસ્તાની સેનાએ ફરી એકવાર ભારે હુમલો કર્યો. આ વખતે તેમની પાસે વધુ ટેન્કો અને સૈનિકો હતા. ભારતીય સૈનિકોની સંખ્યા ઓછી હોવા છતાં મેજર હોશિયારે હાર ન માની. તેમણે પોતાના સૈનિકોને દુશ્મનના બંકરો પર હુમલો કરવા માટે તૈયાર કર્યા. આ દરમિયાન એક ગોળીબારમાં હોશિયારના પગમાં ગોળી વાગી. લોહી વહેવા લાગ્યું, પરંતુ તેમણે પીડાને અવગણીને લડવાનું ચાલુ રાખ્યું. તે દરમિયાન એક સૈનિક લાન્સ નાયક બલવાન સિંઘે ચિંતાતુર અવાજે કહ્યું હતું કે, “સાહેબ, તમે ઘાયલ છો. પાછા ફરો, અમે સંભાળી લઈશું.”
હોશિયારે ગર્જના સાથે તેનો જવાબ આપતા કહ્યું હતું કે, “બલવાન, આ માટી મારી મા છે. મા જ્યારે સંકટમાં હોય ત્યારે દીકરો પાછો નથી હટતો. આગળ વધો, દુશ્મનને ખતમ કરો!” આ શબ્દો સાંભળીને સૈનિકોનું મનોબળ બમણું થયું. તેમણે દુશ્મનના બંકરો પર ગ્રેનેડ ફેંક્યા અને એક પછી એક-એક બંકરોનો નાશ કર્યો. આ દરમિયાન મેજર હોશિયાર સિંઘ ગંભીર રીતે ઘાયલ થયા હતા. તેમના શરીરમાંથી લોહી વહેવા લાગ્યું હતું. પરંતુ તેમણે હાર ન માની. તેમણે પોતાના સૈનિકોને પ્રેરિત કરતા કહ્યું કે, “બહાદુર લોકો ફક્ત એક જ વાર મરે છે. આપણે યુદ્ધ કરવાનું છે, આપણે જીતવાનું છે.”
સંખ્યાબળમાં વધુ પાકિસ્તાની સૈનિકોના કાળજા કંપાવ્યા, મળ્યો વિજય
પાકિસ્તાની સેનાઓના મોટાભાગના હુમલા નિષ્ફળ કર્યા બાદ હોશિયાર સિંઘને ઈનપુટ મળે છે કે જંગલોમાં હલચલ દેખાઈ રહી છે. પાકિસ્તાની સેના પોતાના વિશાળ સૈન્ય સાથે હવે આખરી હુમલો કરવા માટે આગળ વધી રહી હતી. હોશિયાર સિંઘ પોતાના સૈનિકોને ખાઈમાં છુપાઈ જવાનો આદેશ આપે છે અને કહે છે કે, કોઈપણ ભોગે કોઈપણ પ્રકારનો અવાજ ન નીકળવો જોઈએ. કલાકો સુધી ભારતીય સેનાના જવાનો ખાઈમાં સંતાઈ રહ્યા હતા. સતત ત્રણ-ચાર દિવસથી પાકિસ્તાની સેના હુમલા કરી રહી હતી અને ભારતીય સેના તેનો જવાબ આપી રહી હતી. આ બધી ગડમથલમાં સૈનિકોનો થાક પણ ચહેરા પર સ્પષ્ટ જોવા મળી રહ્યો હતો.
ત્યારબાદ સવારે 4 વાગ્યા આસપાસ પાકિસ્તાની સેનાના 35 ફ્રન્ટિયર ફોર્સ રાઈફલ્સની બે કંપનીઓએ જરપાલ પર હુમલો કરી દીધો હતો. પાકિસ્તાની સેનાનું નેતૃત્વ કરી રહ્યા હતા કર્નલ મોહમ્મદ અકરમ રાજા. ભારતીય સેનાનું નેતૃત્વ હતું મેજર હોશિયાર સિંઘ પાસે. ખાઈમાં છૂપાયેલા ભારતીય સૈનિકોને હોશિયાર આદેશ આપે છે અને બંને પક્ષે યુદ્ધ શરૂ થઈ જાય છે. ભયાનક હુમલાઓ વચ્ચે સંખ્યાબળમાં વધુ પાકિસ્તાની સૈનિકો મુઠ્ઠીભર ભારતીય જવાનો સામે હારતા નજરે પડે છે.
હોશિયાર ઘાયલ હોવા છતાં પોતાના સૈનિકોનું નેતૃત્વ કરી રહ્યા છે. તેમણે એક એન્ટી-ટેન્ક ગનની ટીમને પાકિસ્તાની ટેન્કોને નષ્ટ કરવાનો આદેશ આપ્યો. આ દરમિયાન તેમણે ટેન્કના ધમાકાથી ડરી ગયેલા એક યુવા સૈનિકને કહ્યું કે, “બેટા, આ ધમાકો નથી. આ ભારતનો જયનાદ છે. નીડર બન, આપણે જીતીશું! આખરે, ભારતીય સૈનિકોની બહાદુરી અને મેજર હોશિયારના નેતૃત્વે પાકિસ્તાની સેનાને પાછળ હટવા મજબૂર કરી દીધી. બસંતરની લડાઈમાં ભારતે નિર્ણાયક વિજય હાંસલ કર્યો.
આ યુદ્ધ બાદ 42 પાકિસ્તાની સૈનિકોને યુદ્ધબંદી બનાવવામાં આવ્યા હતા. દિવસના અજવાળામાં નિરીક્ષણ કરતા જોવા મળ્યું હતું કે, ખાઈઓની આસપાસ પાકિસ્તાની સેનાના 89 સૈનિકોના મૃતદેહ પડ્યા છે. આ મૃતદેહોમાં એક મૃતદેહ કર્નલ મોહમ્મદ અકરમ રાજાનો પણ હતો. તે સિવાય પાંચ અન્ય અધિકારીઓના પણ મૃતદેહ હતા. મેજર હોશિયાર સિંઘ માનવતાની દ્રષ્ટિએ કર્નલ રાજા માટે એક શ્રદ્ધાંજલિ પણ લખે છે અને તેના આધારે કર્નલ રાજાને મરણોપરાંત પાકિસ્તાની સેનાના બીજા સર્વોચ્ચ સન્માન ‘હિલાલ-એ-જુરાત’થી નવાજવામાં આવે છે. બીજી તરફ મેજર હોશિયાર સિંઘને અદમ્ય સાહસ અને અપ્રતિમ વીરતાના કારણે સેનાનું સર્વોચ્ચ સન્માન ‘પરમવીર ચક્ર’ એનાયત કરવામાં આવે છે.
પરમવીર ચક્ર અને ભારતનું ગૌરવ
બસંતરની લડાઈમાં મેજર હોશિયાર સિંઘની અસાધારણ બહાદુરી અને નેતૃત્વને માન આપવા માટે ભારત સરકારે 1972માં તેમને ‘પરમવીર ચક્ર’થી સન્માનિત કર્યા હતા. આ એવોર્ડ ભારતનું સર્વોચ્ચ લશ્કરી સન્માન છે, જે યુદ્ધ સમયે અસાધારણ વીરતા માટે આપવામાં આવે છે. મેજર હોશિયાર સિંઘ એવા અમુક જ પરમવીર ચક્ર વિજેતાઓમાંના એક છે, જેમણે આ એવોર્ડ જીવિત અવસ્થામાં પ્રાપ્ત કર્યો હતો. જ્યારે તેમને આ એવોર્ડની જાહેરાત વિશે જણાવવામાં આવ્યું, ત્યારે તેમણે સાદગીથી કહ્યું હતું કે, “યે ચક્ર મેરા નહીં, મેરે જવાનોં કા હૈ. ઉનકી બહાદુરીને યે લડાઈ જીતી હૈ.”
યુદ્ધ પછી મેજર હોશિયાર સિંઘે ભારતીય સેનામાં સેવા આપવાનું ચાલુ રાખ્યું હતું અને કર્નલના હોદ્દા સુધી પહોંચ્યા હતા. 1987માં નિવૃત્તિ પછી તેઓ પોતાના વતન સિસાનામાં પાછા ફર્યા અને ખેતી તેમજ સામાજિક કાર્યોમાં જોડાયા. તેમના પત્ની હંમેશાં હંમેશા તેમની સાથે ખડેપગે રહ્યા હતા. એકવાર તેમના પત્નીએ કહ્યું હતું કે, “હોશિયાર ઘરમાં પણ સૈનિક જેવા હતા. તેઓ હંમેશાં કહેતા કે જીવન એક લડાઈ છે અને દરેક લડાઈમાં ન્યાય અને સત્યની જીત થાય છે.”
વીરની અંતિમ વિદાય
6 ડિસેમ્બર, 1998ના રોજ હોશિયાર સિંઘ દુનિયાને છોડી ગયા, પરંતુ તેમની વીરતાની ગાથા આજે પણ દરેક ભારતીયના હૃદયમાં જીવંત છે. હરિયાણા સરકારે તેમના ગામમાં એક સ્મારક બનાવ્યું છે અને ભારતીય સેનાના અનેક યુવા સૈનિકો તેમની બહાદુરીથી પ્રેરણા લે છે. મેજર હોશિયાર સિંઘની વીરતા એ ભારતના સૈન્ય ઇતિહાસનું એક ચમકતું રત્ન છે. તેમનું જીવન દરેક ભારતીયને દેશભક્તિ, નિર્ભીકતા અને સમર્પણનો પાઠ શીખવે છે.
બસંતરની લડાઈના મેદાનમાં જ્યારે ગોળીઓનો વરસાદ થઈ રહ્યો હતો, ત્યારે મેજર હોશિયાર સિંઘે પોતાના સૈનિકોને કહ્યું હતું, “જય હિન્દ કા નારા લગાઓ ઔર દુશ્મન કો બતાઓ કી હમ ભારતીય હૈ!” આ શબ્દો આજે પણ ભારતના દરેક નાગરિકના હૃદયમાં ગુંજે છે. તેમની ગાથા એક એવી જ્યોત છે, જે દેશભક્તિનો પ્રકાશ ફેલાવે છે અને આવનારી પેઢીઓને પણ પ્રેરણા આપતી રહે છે.
સંદર્ભ– The Brave, The Indo-Pakistan War 1971