સુપ્રીમ કોર્ટે (Supreme Court) ન્યાયતંત્રમાં પારદર્શિતા અને જવાબદારીને મજબૂત કરવા માટે એક ઐતિહાસિક નિર્ણય લીધો છે. કોર્ટે ન્યાયાધીશોની સંપત્તિ અંગેની (Justice’s Asstet Details) વિગતો અને નિમણૂક પ્રક્રિયાને જાહેર ક્ષેત્રમાં (Public Domain) મૂકવાનો નિર્ણય કર્યો છે. આ પગલાંને લઈને સુપ્રીમ કોર્ટે ટિપ્પણી કરી હતી કે, “ન્યાયતંત્રની સ્વતંત્રતા અને પારદર્શિતા એકબીજાના પૂરક છે. જાહેર વિશ્વાસ એ ન્યાયિક પ્રક્રિયાનો આધાર છે અને આ નિર્ણય તેને વધુ મજબૂત કરશે.”
સુપ્રીમ કોર્ટે તેની સત્તાવાર વેબસાઇટ પર 33 ન્યાયાધીશોમાંથી 21 ન્યાયાધીશોની સંપત્તિની વિગતો જાહેર કરી છે. બાકીના ન્યાયાધીશોની માહિતી પણ ટૂંક સમયમાં અપલોડ કરવામાં આવશે. આ વિગતોમાં ન્યાયાધીશોની વ્યક્તિગત સંપત્તિ, તેમના જીવનસાથી અને આશ્રિતોની સંપત્તિનો સમાવેશ થાય છે.
શું કહ્યું સુપ્રીમ કોર્ટે
સુપ્રીમ કોર્ટનું કહેવું છે કે, “ભારતીય સુપ્રીમ કોર્ટે 1 એપ્રિલ, 2025ના રોજ નિર્ણય લીધો છે કે આ કોર્ટના ન્યાયાધીશોની સંપત્તિની વિગતો આ કોર્ટની વેબસાઈટ પર અપલોડ કરીને જાહેર ડોમેનમાં મૂકવામાં આવશે. ન્યાયાધીશોની સંપત્તિની વિગતો જે પહેલાંથી ઉપલબ્ધ છે તે અપલોડ કરવામાં આવી રહી છે. બાકીના ન્યાયાધીશોની માહિતી પ્રાપ્ત થતાં જ અપલોડ કરવામાં આવશે.”
આ પગલાં વિશે કોર્ટે જણાવ્યું કે, “સંપત્તિની જાહેરાત ન્યાયાધીશોની નૈતિક જવાબદારીનું પ્રતીક છે, જે જાહેર હિતમાં હોવું જોઈએ.” સંપત્તિની જાહેરાત ઉપરાંત સુપ્રીમ કોર્ટે હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોની નિમણૂક પ્રક્રિયાને પણ જાહેર કરી છે. આમાં હાઇકોર્ટ કોલેજિયમની ભૂમિકા, રાજ્ય અને કેન્દ્ર સરકારના ઈનપુટ્સ તેમજ સુપ્રીમ કોર્ટ કોલેજિયમની વિચારણાની વિગતો સામેલ છે.
વેબસાઈટ પર 9 નવેમ્બર, 2022થી 5 મે, 2025 સુધીના સમયગાળા દરમિયાન હાઇકોર્ટ ન્યાયાધીશોની નિમણૂક માટે મંજૂર થયેલા પ્રસ્તાવોની માહિતી પણ અપલોડ કરવામાં આવી છે. આમાં ઉમેદવારોના નામ, ભલામણ અને નિમણૂકની તારીખો, વિશેષ શ્રેણી (SC/ST/OBC/લઘુમતી/મહિલા) અને સંબંધોની વિગતોનો સમાવેશ થાય છે. આ અંગે સુપ્રીમ કોર્ટે ટિપ્પણી કરી કે, “નિમણૂક પ્રક્રિયાની પારદર્શિતા ન્યાયતંત્રની નિષ્પક્ષતા અને ન્યાયી પસંદગીની ખાતરી આપે છે.”
પારદર્શિતા તરફનું મહત્વનું પગલું
આ નિર્ણયને ન્યાયતંત્રમાં જાહેર વિશ્વાસ વધારવાના પ્રયાસ તરીકે જોવામાં આવે છે. અગાઉ ન્યાયાધીશોની સંપત્તિની વિગતો માત્ર આંતરિક રીતે મુખ્ય ન્યાયાધીશને જાહેર કરવામાં આવતી હતી અને તે જાહેર કરવી ન્યાયાધીશોની મરજી પર આધારિત હતી. 1997ના ઠરાવમાં આવી માહિતી ગોપનીય રાખવાની જોગવાઈ હતી. જોકે, 2019માં સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો હતો કે, ન્યાયાધીશોની સંપત્તિ ‘વ્યક્તિગત માહિતી’ નથી, જેના આધારે આ પગલું ભરવામાં આવ્યું છે. કોર્ટે આ નિર્ણયને ટેકો આપતાં કહ્યું કે, “ન્યાયતંત્રની સત્તા જાહેર વિશ્વાસ પર ટકે છે, પારદર્શિતા તેનું મૂળભૂત તત્વ છે.”
નોંધનીય છે કે તાજેતરમાં જ દિલ્હી હાઇકોર્ટના ન્યાયાધીશ યશવંત વર્માના નિવાસસ્થાને આગ લાગવાની ઘટનાએ ચર્ચા જગાવી હતી, જ્યાં બળી ગયેલી નોટોના બંડલ મળ્યા હોવાના અહેવાલો હતા. જોકે, દિલ્હી ફાયર સર્વિસના વડા અતુલ ગર્ગે આવા કોઈ નિવેદનોનો ઇનકાર કર્યો હતો અને ત્યારબાદ તેમણે મીડિયા સામે એવું પણ કહ્યું હતું કે, તેમણે આવું કશું કહ્યું નથી. ત્યારબાદ સુપ્રીમ કોર્ટે પણ આ વિશેના વિડીયો અને માહિતી જાહેર કરી હતી. આ ઘટના બાદ દેશના ન્યાયતંત્ર પર મોટા પ્રશ્નો ઉભા થયા હતા.