Sunday, May 5, 2024
More
    હોમપેજદેશસરકારી સંપત્તિને નુકસાન પહોંચાડનારા ‘ખેડૂત’ આંદોલનકારીઓની સંપત્તિ જપ્ત કરીને કરાશે ભરપાઈ, બેન્ક...

    સરકારી સંપત્તિને નુકસાન પહોંચાડનારા ‘ખેડૂત’ આંદોલનકારીઓની સંપત્તિ જપ્ત કરીને કરાશે ભરપાઈ, બેન્ક ખાતાં પણ સીઝ થશે: અંબાલા પોલીસ, NSA લગાવવાની ઘોષણા બાદ યુ-ટર્ન

    પોલીસે જણાવ્યું કે, તંત્રે પહેલાં જ ચેતવણી આપી હતી કે આંદોલન દરમિયાન જો આંદોલનકારીઓ સરકારી અને ખાનગી સંપત્તિને નુકસાન પહોંચાડશે તો તેની ભરપાઈ તેમની સંપત્તિ અને બેંક ખાતાં સીઝ કરીને કરાવવામાં આવશે. 

    - Advertisement -

    આંદોલનના નામે પંજાબ-હરિયાણા સરહદ પર ઉત્પાત મચાવનારા કથિત ખેડૂતોની સંપત્તિ જપ્ત કરવાની અને તેમનાં બેન્ક ખાતાં સીઝ કરવાની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. હરિયાણાની અંબાલા પોલીસે આ જાણકારી આપી છે. પોલીસે પહેલાં ખેડૂત નેતાઓ ઉપર NSA (રાષ્ટ્રીય સુરક્ષા કાનૂન) પણ લગાવવાની ઘોષણા કરી હતી, પરંતુ પછીથી આ નિર્ણય પરત ખેંચી લેવામાં આવ્યો. 

    ગુરુવારે (22 ફેબ્રુઆરી, 2024) એક પ્રેસ રિલિઝમાં અંબાલા પોલીસે જણાવ્યું કે, 13 ફેબ્રુઆરીથી ખેડૂત સંગઠનો દ્વારા દિલ્હી કૂચને લઈને શંભુ બોર્ડર પર લગાવવામાં આવેલાં બેરિકેડ તોડવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે અને દરરોજ પોલીસ તંત્ર પર પથ્થરમારો અને હુડદંગ કરીને કાયદો-વ્યવસ્થા બગાડવાના પણ પ્રયત્નો થઈ રહ્યા છે. આ દરમિયાન ઉપદ્રવીઓએ સરકારી અને ખાનગી સંપત્તિને પણ ઘણું નુકસાન પહોંચાડ્યું છે, જે નુકસાનનું હાલ આકલન કરવામાં આવી રહ્યું છે. 

    પોલીસે જણાવ્યું કે, તંત્રે પહેલાં જ ચેતવણી આપી હતી કે આંદોલન દરમિયાન જો આંદોલનકારીઓ સરકારી અને ખાનગી સંપત્તિને નુકસાન પહોંચાડશે તો તેની ભરપાઈ તેમની સંપત્તિ અને બેંક ખાતાં સીઝ કરીને કરાવવામાં આવશે. 

    - Advertisement -

    આગળ સુપ્રીમ કોર્ટના આદેશને ટાંકીને જણાવવામાં આવ્યું કે, PDPP એક્ટ 1984ના સંશોધન અનુસાર, આંદોલન દરમિયાન જો સાર્વજનિક સંપત્તિને નુકસાન થાય તો આંદોલનનું આહ્વાન કરનારા લોકો અને જે-તે સંગઠનના પદાધિકારીઓ પણ તેના માટે જવાબદાર માનવામાં આવે છે. બીજી તરફ, હરિયાણાના સંપત્તિ ક્ષતિ વસૂલી અધિનિયમ, 2021 અનુસાર સરકારી સંપત્તિને નુકસાન પહોંચાડવાની સ્થિતિમાં સંપત્તિ જપ્ત કરીને બેન્ક ખાતાં સીઝ કરીને સરકારી સંપત્તિના નુકસાનની ભરપાઈ કરવાની જોગવાઈ છે. આ જ મામલે આંદોલનકારીઓ અને સંગઠનના પદાધિકારીઓ વિરુદ્ધ પ્રશાસન કાર્યવાહી શરૂ કરી રહ્યું છે. પોલીસે સામાન્ય જનતાને જણાવ્યું કે આંદોલન દરમિયાન જો તેમની કોઇ સંપત્તિને નુકસાન પહોંચ્યું હોય તો તેની વિગતો તેઓ તંત્રને આપી શકે છે. 

    NSA લગાવવાની ઘોષણાના થોડા જ કલાકમાં યુ-ટર્ન

    નોંધવું જોઈએ કે આ પહેલાં હરિયાણા પોલીસે ખેડૂત આંદોલનકારીઓના નેતાઓ વિરુદ્ધ રાષ્ટ્રીય સુરક્ષા કાનૂન લાગુ કરવાની ઘોષણા કરી હતી, પરંતુ થોડા જ કલાકોમાં યુ-ટર્ન લઇ લેવામાં આવ્યો અને સ્પષ્ટતા કરવામાં આવી કે હાલ પૂરતી આવી કોઇ કાર્યવાહી કરવામાં નહીં આવે. 

    અન્ય એક પ્રેસ રિલીઝમાં અંબાલા પોલીસે જણાવ્યું કે, ખેડૂત સંગઠનોના પદાધિકારીઓ પર NSA લગાવવાના નિર્ણય પર પુનર્વિચાર કરવામાં આવ્યો અને નિર્ણય લેવામાં આવ્યો કે તે લાગુ કરવામાં આવશે નહીં. હરિયાણા પોલીસ તમામ પ્રદર્શનકારીઓ અને તેમના નેતાઓને શાંતિ જાળવી રાખવા અને કાયદો-વ્યવસ્થા જળવાય રહે તે માટે તંત્રનો સહકાર આપવા માટે અપીલ કરે છે. પોલીસે કહ્યું છે કે જો કાયદો-વ્યવસ્થા ન બગડે તો પોલીસ કોઇ કડક કાર્યવાહી નહીં કરે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં