Sunday, May 5, 2024
More
    હોમપેજદેશકર્ણાટકની સરકારી શાળામાં બ્રાહ્મણ વિદ્યાર્થિનીને ઈંડું ખાવા મજબૂર કરાઈ: ફરિયાદ બાદ પ્રશાસને...

    કર્ણાટકની સરકારી શાળામાં બ્રાહ્મણ વિદ્યાર્થિનીને ઈંડું ખાવા મજબૂર કરાઈ: ફરિયાદ બાદ પ્રશાસને મધ્યાહન ભોજનમાં પીરસવામાં આવ્યું હોવાનું કબૂલ્યું, પણ દબાણ કરાયું હોવાનો ઇનકાર

    સરકાર તરફથી મધ્યાહન ભોજનમાં 2 વાર ઈંડાં અને કેળાં આપવામાં આવે છે. શ્રીકાંતનો દાવો છે કે તેની દીકરીએ ક્યારેય માંસાહારી ભોજન નથી લીધું, પરંતુ શાળામાં તેને ઈંડાં ખાવા માટે દબાણ કરવામાં આવ્યું હતું.

    - Advertisement -

    કર્ણાટકની એક સરકારી શાળામાં બ્રાહ્મણ વિદ્યાર્થિનીને મધ્યાહન ભોજનમાં ઈંડાં ખાવા મજબૂર કરવામાં આવી હોવાની ઘટના સામે આવી છે. વિદ્યાર્થીનીના પિતાએ શાળાના સંચાલક અને સહાયક શિક્ષક વિરુદ્ધ શિક્ષણ વિભાગમાં ફરિયાદ દાખલ કરાવી છે. પ્રાથમિક તપાસમાં પ્રશાસને મધ્યાહન ભોજનમાં ઈંડાં આપવામાં આવતું હોવાનું કબૂલ્યું છે, પરંતુ કોઈ વિદ્યાર્થીને તે ખાવા માટે દબાણ કરવામાં આવ્યું હોવાના આરોપો નકારી કાઢ્યા છે.

    અહેવાલો અનુસાર, આ ઘટના શિવમોગા જિલ્લાના ક્મ્માચી ગામમાં આવેલી કેએસપી સ્કૂલની છે. પીડિત વિદ્યાર્થીની અહીં ધોરણ 2માં અભ્યાસ કરે છે. આ શાળાના બીજા ધોરણમાં કુલ 26 વિદ્યાર્થીઓ ભણે છે, જેમાંથી 10 શાકાહારી છે. પીડિત વિદ્યાર્થીનીના પિતા શ્રીકાંત પણ આ શાળામાં જ શિક્ષક છે. અન્ય કેટલાક અહેવાલોમાં આ શાળા હોસનગર તાલુકાના અમૃતા ગામમાં હોવાનું પણ કહેવામાં આવ્યું છે.

    કર્ણાટકની સરકારી શાળામાં બ્રાહ્મણ વિદ્યાર્થીનીને ઈંડાં ખાવા દબાણ કરવાના આ મામલામાં વિદ્યાર્થીનીના પિતાની ફરિયાદ બાદ બ્લોક એજ્યુકેશન ઓફિસર અને મધ્યાહન ભોજનના પરિચારિકાએ ગુરૂવારે (23 નવેમ્બર, 2023) શાળાની મુલાકાત લીધી હતી. પીડિત વિદ્યાર્થીનીના પિતાએ શિક્ષામંત્રી મધુ બંગારપ્પા, શિક્ષણ વિભાગના મુખ્ય સચિવ, ઉપ નિદેશક અને સ્થાનિક ધારાસભ્યને પણ આ મામલે ફરિયાદ કરી છે.

    - Advertisement -

    આ ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે બ્રાહ્મણ સમુદાયની તેમની દીકરીને શાળામાં પરાણે ઈંડાં ખાવા માટે દબાણ કરવામાં આવ્યું હતું. સાત વર્ષની આ બાળકીએ આ વિશે પોતાના પિતાને ફરિયાદ કરી હતી કે શિક્ષક પુટ્ટાસ્વામીએ તેને કહ્યું હતું કે સ્વાસ્થ્ય માટે ઈંડાં ખાવા જરૂરી છે.

    ઈંડાં ખાધા બાદ બાળકી બીમાર

    ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકાર તરફથી મધ્યાહન ભોજનમાં 2 વાર ઈંડાં અને કેળા આપવામાં આવે છે. શ્રીકાંતનો દાવો છે કે તેની દીકરીએ ક્યારેય માંસાહારી ભોજન નથી લીધું, પરંતુ શાળામાં તેને ઈંડાં ખાવા માટે દબાણ કરવામાં આવ્યું હતું. ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે કે તેમણે શાળાના સંચાલકોને કહ્યું હતું કે તેમની દીકરી શાકાહારી છે, એટલે તેને ઈંડાંની જગ્યાએ ચીકી ખાવા માટે આપવામાં આવે.

    શ્રીકાંતના જણાવ્યા અનુસાર કહેવામાં આવ્યું હોવા છતાં પુટ્ટાસ્વામીએ તેમની દીકરીને સ્વાસ્થ્ય માટે ઈંડાં ખાવા જરૂરી છે તેમ કહ્યું હતું. ઈંડાં ખાધા બાદ તેમની દીકરી બીમાર થઇ ગઈ અને માનસિક રીતે વ્યથિત છે. આ ઘટનાથી તેમના પરિવારની ધાર્મિક માન્યતાઓને પણ ઠેસ પહોંચી છે.

    શ્રીકાંતનું કહેવું છે કે પુટ્ટાસ્વામીએ આમ કરવા બદલ ખેદ વ્યક્ત કર્યો છે. તેમનું કહેવું છે કે, “મારી તેમની (વિદ્યાર્થીની અને તેના પરિવાર સાથે) કોઈ અંગત દુશ્મની નથી અને હું આ મુદ્દાને વધુ લંબાવવા નથી માંગતો.” બીજી તરફ આ મામલે શિક્ષણ વિભાગના સિનિયર અધિકારીનું કહેવું છે કે, “પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આ ઘટના મધ્યાહન ભોજન પીરસતી વખતે ઘટી હતી. વિદ્યાર્થીઓનો એક સમૂહ ભોજન કરવા માટે એક પંક્તિમાં બેઠો હતો. તે સમયે ઉક્ત શિક્ષકે વિદ્યાર્થીઓને પૂછ્યું હતું કે ઈંડાં કોને-કોને ખાવા છે? એવું લાગી રહ્યું છે કે આ દરમિયાન આ વિદ્યાર્થીનીએ પણ બાકી બાળકો સાથે હાથ ઉપર કરી દીધો હતો અને એટલે જ તેને ઈંડું પીરસવામાં આવ્યું. બાકી આ વિદ્યાર્થીની કે અન્ય કોઈ બાળકને ઈંડાં ખાવા માટે દબાણ નથી કરવામાં આવ્યું.”

    શિવમોગાના સાર્વજનિક નિર્દેશ ઉપ નિદેશક પરમેશ્વરપ્પા સીઆરના જણાવ્યા અનુસાર, “અમે આ મુદ્દાને ઘણો ગંભીરતાથી લીધો છે. પરંતુ અમને મળેલી જાણકારી અનુસાર વિદ્યાર્થીનીને પરાણે ઈંડું નહોતું ખવડાવવામાં આવ્યું. જોકે અમે તપાસ રિપોર્ટની સમીક્ષા કરીશું. જો તેમાં નિયમોનું ઉલ્લંઘન થયેલું જણાશે તો ખંડ શિક્ષા અધિકારી સંબંધિત શિક્ષક વિરુદ્ધ ગંભીર કાર્યવાહી કરશે.”

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં