Monday, May 6, 2024
More
    હોમપેજગુજરાત‘100-200 મુસ્લિમોનું ટોળું હતું, અંધારામાં ખેંચી ગયા અને...’: પ્રાંતિજમાં જે હિંદુ વ્યક્તિની...

    ‘100-200 મુસ્લિમોનું ટોળું હતું, અંધારામાં ખેંચી ગયા અને…’: પ્રાંતિજમાં જે હિંદુ વ્યક્તિની હત્યા થઈ, તેના પરિવારે ઑપઇન્ડિયાને કહી આપવીતી, કહ્યું- મૃતદેહ લેવા ગયા ત્યારે પણ માર્યા હતા પથ્થર

    રાજુભાઈ ભોઈના નાના ભાઈ સુભાષે જણાવ્યું કે, "તે લોકો 100-200 જણા હતા અને મારા ભાઈને ઢસડીને લઇ ગયા. ઘરથી લગભગ 100 ફૂટ દૂર લઇ જઈ તે લોકોએ અંધારું કરી દીધું અને આડેધડ માર માર્યો. મારા ભાઈને ગળું દબાવીને અને પાઈપના ફટકા મારીને મારી નાખ્યા."

    - Advertisement -

    સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજમાં બુધવારે (14 ફેબ્રુઆરી, 2024) મુસ્લિમ ટોળાએ હિંદુ પરિવાર પર હુમલો કરીને એક વ્યક્તિની હત્યા કરી નાંખી હતી. પૈસાની લેવડદેવડ મામલે થયેલી આ માથાકૂટમાં ટોળું હિંદુ વિસ્તારમાં ધસી આવ્યું અને ધમાલ કરી હતી. ઘટનામાં બચાવ કરવા વચ્ચે પડેલા વ્યક્તિને ટોળાએ ખેંચી જઈને હત્યા કરી નાખી. આ મામલે પોલીસે કુલ 17 લોકો સામે FIR નોંધી છે. આ ઘટના બાદ ઑપઇન્ડિયા પીડિત પરિવાર સુધી પહોંચ્યું અને આખી ઘટના વિશે વિગતે માહિતી મેળવવાનો પ્રયાસ કર્યો.

    મૃતક રાજુભાઈ ભોઈના નાના ભાઈ સુભાષભાઈએ ઑપઇન્ડિયા સાથે વાત કરી. તેમણે ઘટના વિશે જણાવતાં કહ્યું કે, “ઘટના સાથે અમારા ભાઈને કશું જ લેવાદેવા ન હતી. અમારી બાજુમાં જે ભાઈ રહે છે તેમનો નાણાકીય વ્યવહારને લઈને સ્થાનિક મુસ્લિમ સમુદાયના કેટલાક લોકો સાથે ઝઘડો થયો હતો. અઠવાડિયા પહેલાં પણ તેમની માથાકૂટ થઈ હતી. ત્યારબાદ ગત 14 ફેબ્રુઆરીએ પણ બજારમાં તેમની બબાલ થઈ અને પાડોશીને આરોપીઓએ માર માર્યો હતો. ત્યારબાદ તેઓ ઘરે પણ આવી ગયા હતા અને ધમાલ મચાવી હતી.

    ટોળું ભાઈને અંધારામાં ખેંચી ગયું અને…

    પોતાના ભાઈની હત્યા મામલે સુભાષે આગળ જણાવ્યું કે, “તે લોકો પાડોશીને માર મારી રહ્યા હતા ત્યારે મારા મોટા ભાઈએ માત્ર એટલું જ કહ્યું કે, “તમે તેને શું કામ મારો છો?” મારા ભાઈએ આવું કહેતાં જ ટોળું ઉશ્કેરાયું હતું અને તલવારો, પાઈપો અને ધોકા-હૉકી સ્ટીક લઈને મારા ભાઈને મારવા ધસી આવ્યું. તેઓ તો છોડાવવા માટે વચ્ચે પડ્યા હતા. તે લોકો 100-200 જણા હતા અને મારા ભાઈને ઢસડીને લઇ ગયા. ઘરથી લગભગ 100 ફૂટ દૂર લઇ જઈને તે લોકોએ અંધારુ કરી દીધું અને આડેધડ માર માર્યો. મારા ભાઈને ગળું દબાવીને, પાઈપના ફટકા મારીને મારી નાખ્યા.”

    - Advertisement -

    મૃતદેહ નહોતા લેવા દેતા, પથ્થર વરસાવ્યા: સુભાષ

    જાણવા મળ્યા અનુસાર, રાજુભાઈની હત્યા બાદ પણ ઉન્માદી ટોળાને સંતોષ નહોતો થયો. મૃતકના ભાઈએ જણાવ્યા અનુસાર, હત્યા બાદ તેઓ લાશ નહોતા લેવા દેતા અને સતત પથ્થર વરસાવી રહ્યા હતા. સુભાષે જણાવ્યું કે, “ઘટનાસ્થળે જ મારા ભાઈ મૃત્યુ પામ્યા. અન્ય કેટલા લોકોએ તેમનો મૃતદેહ લેવા જવાનો પ્રયત્ન કર્યો તો ત્યારે આ લોકોએ પથ્થરમારો શરૂ કરી દીધો. પથ્થરનો વરસાદ થઈ રહ્યો હતો એટલે કોઈ વ્યક્તિ મારા ભાઈના મૃતદેહ સુધી નહોતું પહોંચી શક્યું. અંતે અમારા બીજા એક ભાઈએ તપેલું માથે રાખીને પથ્થરથી બચીને ત્યાં પહોંચીને જોયું તો મારા મોટાભાઈ ત્યાં મૃત અવસ્થામાં પડ્યા હતા.”

    “મોટાભાગના હિંદુઓ પલાયન કરી ગયા છે, અમને પણ ભગાડવા માંગે છે”

    ‘અહીં અમારી ચારો તરફ મુસ્લિમોની જ વસ્તી છે’ તેમ જણાવતાં સુભાષ કહે છે કે, “અમારે આવવા જવા માટે તેમના વિસ્તારમાંથી પસાર થતા રસ્તાનો ઉપયોગ કરવો પડે છે. પહેલાં અહીં હિંદુઓમાં મોદી અને શાહ સમુદાયના લોકો રહેતા હતા, પરંતુ આ લોકોના ત્રાસથી તે લોકો અહીંથી પલાયન કરી ગયા છે. અત્યારે અહીં માત્ર ભોઈ સમાજનાં જ ઘર છે અને અમારા લોકોને પણ રસ્તે આવતાં-જતાં પ્રતાડિત કરવામાં આવે છે.”

    સ્થાનિક મુસ્લિમો દ્વારા હિંદુ છોકરાઓને રસ્તે ઉભા રાખીને અભદ્ર ગાળો આપીને મારા મારવામાં આવતો હોવાનો પણ તેમણે આરોપ લગાવ્યો. તેમણે કહ્યું કે, “આવો ત્રાસ આપીને તેઓ અમને કહે છે કે તમારે બધાએ અહીંથી મકાનો ખાલી કરી દેવાં પડશે અને અમને જ આપી દેવાં પડશે. અમારી હાલત અહીં ખૂબ જ કફોડી છે. અમારી જગ્યા ખાલી કરાવવા માટે આ બધો ત્રાસ આપવામાં આવે છે.”

    તેમણે જણાવ્યું કે, હત્યાની ઘટનાના 72 કલાક બાદ પણ હજુ સુધી ચાર જ વ્યક્તિઓની ધરપકડ થઈ છે, જ્યારે બાકીના ફરાર છે. તેમણે સરકાર અને પ્રશાસન સમક્ષ માંગ કરતાં કહ્યું કે, આરોપીઓની તાત્કાલિક ધોરણે ધરપકડ કરવામાં આવે અને અમારા ભાઈને ન્યાય અપાવવામાં આવે તે જ અમારી માંગ છે. જોકે, ઑપઇન્ડિયાએ જ્યારે પોલીસનો સંપર્ક કર્યો ત્યારે જાણવા મળ્યું કે ઘટનામાં હજુ સુધી 5 વ્યક્તિઓ પકડાયા છે, જ્યારે બાકીનાની શોધખોળ હાલ ચાલી રહી છે.

    તેમના જણાવ્યા અનુસાર, ઘટના બાદ ગુરુવારે પણ મુસ્લિમ વિસ્તારમાંથી પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આ ઘટના ત્યારે બની જ્યારે બંદોબસ્તમાં મૂકાયેલા પોલીસ કર્મચારીઓ હાજર હતા. ઘટનાની જાણ થતાં જ અધિકારીઓ પણ દોડી આવ્યા હતા. જોકે, પીડિત પરિવારનો આરોપ છે કે તેમણે પછી કોઇ કાર્યવાહી કરી ન હતી. પોલીસ આરોપીઓથી ડરી રહી હોવાનો આરોપ લગાવીને મૃતકના ભાઈએ કહ્યું કે, “અમને ખાલી કહેવામાં આવ્યું કે કાર્યવાહી કરીશું, પરંતુ કશું જ થયું નથી. પોલીસ તેમનાથી ડરી રહી છે.” 

    આરોપીઓને પકડવા હિંદુ સંગઠનોએ આપ્યું 48 કલાકનું અલ્ટીમેટમ

    પ્રાંતિજમાં હિંદુ વ્યક્તિની હત્યા બાદ એક તરફ સ્થાનિક હિંદુઓમાં આક્રોશ છે ત્યાં બીજી તરફ સંગઠનો પણ પીડિત પરિવારની પડખે ઊભાં રહ્યાં છે. વિશ્વ હિંદુ પરિષદના નેતા હિતેન્દ્રસિંહ રાજપૂતે ઑપઇન્ડિયા સાથે વાત કરતાં જણાવ્યું કે, “અમે પીડિત પરિવારની મુલાકાત લઈને તેમના દુઃખમાં સહભાગી થવાનો પ્રયત્ન કર્યો છે. પરિવારને ન્યાય અપાવવા અમે તેમની સાથે જ છીએ. વધુમાં અમે પોલીસ પ્રશાસનને 48 કલાકનું અલ્ટીમેટમ આપ્યું છે. જો આરોપીઓની ધરપકડ નહીં કરવામાં આવે તો વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગ દળ સહિતનાં તમામ હિંદુ સંગઠનો રસ્તા પર ઊતરીને ન્યાયની માંગણી કરશે.” સાથે તેમણે પોલીસ પ્રશાસન પ્રત્યે નારાજગી વ્યક્ત કરતાં કહ્યું કે સંતોષકારક કામગીરી નહીં થાય તો પોલીસ સ્ટેશને બંગડી પણ વહેંચવામાં આવશે.

    જે વિસ્તારમાં ઘટના બની ત્યાંની ડેમોગ્રાફી પણ ચિંતાજનક હોવાનું હિંદુ નેતાએ જણાવ્યું. તેમણે કહ્યું કે, અહીંથી હિંદુઓ પલાયન કરી રહ્યા છે અને તેના કારણે વારંવાર અહીં અશાંતધારો લાગુ કરવાની માંગ કરવામાં આવી છે. હજુ એક વખત અમે માંગ કરીએ છીએ કે અહીં અશાંતધારો તાત્કાલિકપણે લાગુ કરવામાં આવે. જો ન્યાય નહીં મળે તો આવનાર સમયમાં ઉગ્ર આંદોલન કરવાની પણ તૈયારી છે.

    શું હતી આખી ઘટના

    ગત 14 ફેબ્રુઆરી, 2024ના રોજ પ્રાંતિજના ખોડીયાર કૂવા વિસ્તારમાં મુસ્લિમ સમુદાયનું ટોળું ધસી ગયું હતું. પૈસાની લેવડ-દેવડમાં ટોળાંએ એક હિંદુ પરિવાર પર હુમલો કરતાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું. મૃતકની ઓળખ રાજુ ભોઈ તરીકે થઈ હતી. પોલીસે આ મામલે 17 સામે નામજોગ અને બાકીના ટોળા સામે ગુનો દાખલ કરી હતી.

    આ મામલે પોલીસે અયાઝ કુરેશી, મુનાફ કુરેશી, અયુબ કુરેશી, રાશીદ મિયાં, ઇમરાન મિયાં કુરેશી, મકબૂલ મિયાં કુરેશી, જાની કમરૂદ્દીન, રઈસ મિયાં મહેબૂબ ખાન, મલેક, સમીર, મનાન હારુન, નિસારનો ભાઈ, રફીક ભટ્ટી, નિસાર મિયાં, બાબુ અકબર, યુનુસ મિયાં અને ફિરોજ મિયાં વિરુદ્ધ નામ જોગ અને બાકીના ટોળા વિરુદ્ધ IPCની કલમ 302, 323, 143, 147, 148, 149, 504, 506(2), 427 અને GPAની કલમ 135 હેઠળ ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી શરૂ કરી છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં