Thursday, May 9, 2024
More
    હોમપેજગુજરાતવ્યસનમુક્તિનો કાર્યક્રમ હોવાનું કહીને માગી હતી પરવાનગી, પછીથી મુફ્તીએ ઓક્યું ઝેર: ભડકાઉ...

    વ્યસનમુક્તિનો કાર્યક્રમ હોવાનું કહીને માગી હતી પરવાનગી, પછીથી મુફ્તીએ ઓક્યું ઝેર: ભડકાઉ ભાષણ મામલે 2 આયોજકોની ધરપકડ, મુફ્તી સલમાનને શોધી રહી છે જૂનાગઢ પોલીસ

    જૂનાગઢ B ડિવિઝન પોલીસ મથકે 2 આયોજકો અને મુફ્તી સામે IPCની કલમ 153(B) અને 505 (2) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. કાર્યક્રમ 31 જાન્યુઆરીના રોજ જૂનાગઢની નરસિંહ વિદ્યામંદિર ખાતે યોજાયો હતો, જેમાં આપવામાં આવેલા ભડકાઉ ભાષણનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો હતો.

    - Advertisement -

    જૂનાગઢમાં એક મુસ્લિમ સમુદાયના કાર્યક્રમમાં ભડકાઉ ભાષણ આપવા મામલે 2 આયોજકો અને વક્તા મુફ્તી સલમાન અઝહરી સામે FIR નોંધાયા બાદ હવે આયોજકોની ધરપકડ કરી લેવામાં આવી છે, જ્યારે મુફ્તીની શોધખોળ ચાલુ છે. જૂનાગઢ પોલીસે આ બાબતની જાણકારી આપી હતી. 

    શનિવારે (3 ફેબ્રુઆરી, 2024) જિલ્લા પોલીસ વડા હર્ષદ મહેતાએ આ બાબતની જાણકારી આપી હતી. તેમણે જણાવ્યું કે, FIR નોંધવામાં આવ્યા બાદ કાર્યક્રમના 2 આયોજકોની ધરપકડ કરી લેવામાં આવી છે. જ્યારે મુંબઈના રહેવાસી મુફ્તી સલમાન અઝહરીની શોધખોળ ચાલી રહી છે. પકડાયેલા 2 આયોજકોની ઓળખ મહંમદ યુસુફ મલેક અને અઝીમ ઓડેદરા તરીકે થઈ છે. 

    પોલીસે જણાવ્યું કે, “અમે મલેક અને હબીબની ધરપકડ કરી લીધી છે અને અઝહરીની ધરપકડ માટે પ્રયાસો ચાલુ છે. આયોજકોએ કાર્યક્રમ વ્યસનમુક્તિ માટે યોજાઇ રહ્યો હોવાનું અને મુફ્તી અઝહરી મઝહબ વિશે ભાષણ આપશે તેમ કહીને પોલીસ પાસેથી પરવાનગી લીધી હતી. પરંતુ પછીથી તેણે ભડકાઉ ભાષણ આપ્યું હતું.” 

    - Advertisement -

    આ મામલે જૂનાગઢ B ડિવિઝન પોલીસ મથકે 2 આયોજકો અને મુફ્તી સામે IPCની કલમ 153(B) અને 505 (2) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. કાર્યક્રમ 31 જાન્યુઆરીના રોજ જૂનાગઢની નરસિંહ વિદ્યામંદિર ખાતે યોજાયો હતો, જેમાં આપવામાં આવેલા ભડકાઉ ભાષણનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો હતો. 

    સોશિયલ મીડિયા પર જે 22 સેકન્ડનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે તેમાં મુફ્તી સલમાન ‘આજ કુત્તોં કા વક્ત હૈ, કલ હમારા દૌર આયેગા’ જેવાં ભડકાઉ વાક્યો કહેતો સાંભળવા મળે છે. વિડીયો વાયરલ થયા બાદ ઑપઇન્ડિયાએ એક્સક્લૂઝિવ અહેવાલો પ્રકાશિત કર્યા હતા તો બીજી તરફ નેટિઝન્સે પણ કડક કાર્યવાહીની માંગ કરી હતી. આખરે જૂનાગઢ પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને FIR દાખલ કરી હતી. 

    ઑપઇન્ડિયાએ પછીથી સમગ્ર ભાષણનો વિડીયો મેળવીને ચકાસતાં અન્ય પણ ભડકાઉ વાતો કહી હોવાનું જાણવા મળ્યું હતું, જેમાં મુફ્તી ‘મસ્જિદ મેં બુત રખ દેને સે મસ્જિદ બુતખાના નહીં બનતી’ અને ‘મસ્જિદોને વેરાન છોડી એટલે ત્યાં કૂતરાનું શાસન આવી ગયું’, ‘યે જાલિમ કાફિર ક્યા સમજતે હૈ’ જેવી અન્ય ભડકાઉ વાતો કહેતો સાંભળવા મળે છે. ઉપરાંત, તે ‘આપણા મરવાથી ઈસ્લામ ખતમ નહીં થાય’ કહીને મુસ્લિમ યુવાનોને ભડકાવતો પણ જોવા મળ્યો હતો. ભાષણ દરમિયાન વચ્ચે-વચ્ચે મઝહબી નારા પણ લાગતા સાંભળવા મળે છે. હાલ પોલીસ તેને શોધી રહી છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં