Sunday, April 28, 2024
More
    હોમપેજફેક્ટ-ચેકના, સુરતના કલાકુંજ બ્રિજના નિર્માણમાં કોઇ ખામી નથી: બુદ્ધિનું પ્રદર્શન AAP, પ્રોપગેન્ડા...

    ના, સુરતના કલાકુંજ બ્રિજના નિર્માણમાં કોઇ ખામી નથી: બુદ્ધિનું પ્રદર્શન AAP, પ્રોપગેન્ડા પોર્ટલો અને મીડિયાએ કર્યું છે, મહાનગરપાલિકાએ નહીં!

    અહીં બ્રિજ બનાવવામાં કોઇ ખામી નથી કે ન બેદરકારી દાખવવામાં આવી છે. એક્સટેન્શન બ્રિજ બનાવાયો જ એટલા માટે છે કે નાનાં વાહનો ત્યાંથી બ્રિજ પર ચડી કે ઊતરી શકે. મોટાં વાહનોએ મુખ્ય બ્રિજનો જ ઉપયોગ કરવાનો હોય છે.

    - Advertisement -

    બુધવારે (8 ઓક્ટોબર,2023) સુરત શહેરનો એક એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો. વીડિયોમાં એક ST બસ એક ઓવરબ્રિજ પર રિવર્સ જતી જોવા મળે છે. દાવો કરવામાં આવ્યો કે આ વીડિયો વરાછાના કલાકુંજ ઓવરબ્રિજનો છે જેને તે જ દિવસે (બુધવારે) ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. વધુમાં એવું કહેવામાં આવ્યું કે બ્રિજના નિર્માણમાં ખામી હોવાના કારણે બસ ટર્ન ન લઇ શકી અને રિવર્સ જવું પડ્યું. 

    સુરત મહાનગરપાલિકાના આમ આદમી પાર્ટીના કોર્પોરેટર અને અગાઉ હોસ્પિટલના કર્મચારીને માર મારવાના ગુનામાં સપડાઇ ચૂકેલા વિપુલ સુહાગિયાએ આ ઓવરબ્રિજનો વીડિયો પોસ્ટ કરીને લખ્યું, ‘આ છે આપણા અભણ નેતાઓનું નવું નજરાણું. આજે જ ખુલ્લા મુકાયેલા નવા કલાકુંજ ચીકુવાડી બ્રિજ ઉપર એસ.ટી બસ ટર્ન ન લઇ શકતાં રિવર્સ લઇ જવી પડી. આ અભણ નેતાઓએ દેશનો દાટ વાળ્યો છે. જનતા ભલે ટેક્સ અને વેરા ભર્યા કરતી, કમલમ્ (ભાજપનું કાર્યાલય) આલીશાન બને છે.’

    આ જ ટ્વિટને ક્વોટ કરીને AAPના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ X પર ભાજપને મળેલી 156 બેઠકોનો ઉલ્લેખ કરીને કટાક્ષ કરતાં લખ્યું કે, તેઓ બધું રામભરોસે ચલાવે છે, છતાં પ્રજાને ભોળવીને મત લઇ જાય છે.’

    - Advertisement -

    પછીથી AAPના પૂર્વ પ્રદેશ પ્રમુખ અને કતારગામ બેઠક પરથી હારનો સામનો કરી ચૂકેલા ગોપાલ ઈટાલિયાએ ભાજપના મંત્રીને ‘અભણ’ કહ્યા અને લખ્યું કે સુરતમાં ‘અભણ ભાજપ નેતાઓએ’ એવો બ્રિજ બનાવ્યો છે કે બસ કે મોટી SUV ગાડીઓ નીચે ઉતારવા માટે ટર્ન નથી લઇ શકતી. પછી તેમણે આપત્તિજનક શબ્દો પણ વાપર્યા.

    આમ આદમી પાર્ટીએ દાવો કર્યા બાદ હવે વારો અમુક યુ-ટ્યુબ ચેનલોનો હતો. ‘જમાવટ’ નામની અગાઉ પણ ભ્રામક સમાચારોને લઈને વિવાદમાં આવી ચૂકેલી ચેનલે પોતાના X હેન્ડલ પર આ જ વીડિયો પોસ્ટ કરીને ‘હર શાખ પે ઉલ્લુ બૈઠા હૈ’ લખીને કટાક્ષ કર્યો અને લખ્યું કે, ‘સુરતમાં નવા બ્રિજનું લોકાર્પણ થયું, પણ સરકારી બસ ટર્ન ક્યાંથી લે?’

    ગુજરાત સમાચાર પણ પછીથી કૂદી પડ્યું અને વીડિયો પોસ્ટ કરીને મહાનગરપાલિકાના પ્લાનિંગ પર સવાલ ઉઠાવ્યા.

    વધુ ન ટકી શક્યો પ્રોપગેન્ડા, લોકોએ ખોલી નાખી પોલ

    આમ તો સોશિયલ મીડિયા પર જ અનેક લોકોએ આ પ્રોપગેન્ડાની પોલ ખોલી નાખી છે. કારણ કે હકીકત એ છે કે જ્યાં બસ અટવાયેલી જોવા મળે છે તે મુખ્ય બ્રિજ નહીં પણ એક્સટેન્શન બ્રિજ છે. અને આ બ્રિજ મોટાં વાહનો માટે બનાવવામાં આવ્યો જ નથી. તે માત્ર નાનાં વાહનો માટે જ છે. આ માટે ત્યાં રીતસરનાં બોર્ડ પણ લગાવવામાં આવ્યાં છે.

    મહાનગરપાલિકાએ સ્પષ્ટતા કરતાં કહ્યું છે કે, આ બ્રિજ પર 7.5 મીટરથી વધુ લંબાઈ ધરાવતાં વાહનો માટે પ્રવેશ નિષેધ છે અને તે માટે ત્યાં બોર્ડ પણ લગાવવામાં આવ્યાં છે. સોશિયલ મીડિયા પર અનેક લોકોએ આ બોર્ડના ફોટા પોસ્ટ કરીને પોલ ખોલી નાખી હતી. ફોટામાં બોર્ડ પર લખેલું જોવા મળે છે કે, ‘7.5 મીટરથી વધુ લંબાઈ ધરાવતાં વાહનો માટે પ્રવેશ નિષેધ.’

    મજાની વાત એ છે કે જે ગુજરાત સમાચારે આગલા દિવસે વીડિયો પોસ્ટ કરીને સવાલ ઉઠાવ્યા હતા તેમણે પણ બીજા દિવસના છાપાંમાં આ હકીકત જણાવી અને લખ્યું કે, લાંબાં વાહનો માટે પ્રતિબંધ હોવા છતાં ડ્રાઇવરોએ બોર્ડ વાંચ્યું ન હતું અને 2 બસ પહોંચી ગઈ હતી, જેથી રિવર્સ લેવાનો વારો આવ્યો હતો. 

    સાભાર- ગુજરાત સમાચાર, સુરત આવૃત્તિ (9 નવેમ્બર, 2023)

    ટૂંકમાં, અહીં બ્રિજ બનાવવામાં કોઇ ખામી નથી કે ન બેદરકારી દાખવવામાં આવી છે. એક્સટેન્શન બ્રિજ બનાવાયો જ એટલા માટે છે કે નાનાં વાહનો ત્યાંથી બ્રિજ પર ચડી કે ઊતરી શકે. મોટાં વાહનોએ મુખ્ય બ્રિજનો જ ઉપયોગ કરવાનો હોય છે. બ્રિજનું લોકાર્પણ થોડા કલાકો પહેલાં જ થયું હોવાના કારણે સ્વભાવિક રીતે બસના ચાલકોને પણ ધ્યાન નહીં ગયું હોય અને બસ તે રસ્તે હંકારી હોય, પરંતુ પછીથી ધ્યાને ચડતાં રિવર્સ લઇ લેવામાં આવી હશે. 

    પરંતુ આ બાબતની ખરાઈ કર્યા વગર કે હકીકત જાણ્યા વગર જ નેતાઓ અને પત્રકારત્વના ઝંડાધારીઓએ ચલાવવા માંડ્યું હતું. જોકે, સોશિયલ મીડિયાના જમાનામાં જેમ અન્ય જુઠ્ઠાણાં વધુ ટકતાં નથી તેમ આ પણ ન ટકી શક્યું.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં