Monday, May 5, 2025
More
    હોમપેજક્રાઈમઇસમ સાથે મજહબના આધારે મારપીટ થઈ હોવાનો દાવો અને ‘મુસ્લિમોને પીડિત’ દર્શાવતું...

    ઇસમ સાથે મજહબના આધારે મારપીટ થઈ હોવાનો દાવો અને ‘મુસ્લિમોને પીડિત’ દર્શાવતું નેરેટિવ…: જાણો શું છે દહેરાદૂનની એ ઘટના, જેને લઈને કટ્ટરપંથીઓએ સોશિયલ મીડિયા પર ગવાયા મરશિયા

    પહલગામ આતંકી હુમલા બાદ સોશિયલ મીડિયા પર ‘મુસ્લિમ પીડિતો’નું ઘોડા પૂર આવી ગયું છે. જોકે પહલગામ હુમલા, મુર્શિદાબાદ હિંસા, બહરાઈચ હિંસામાં એ સ્પષ્ટ થઈ જ ચૂક્યું છે કે વાસ્તવિકતા શું છે. તેમ છતાં મુસ્લિમોને પીડિત દર્શાવવાના પ્રયાસ ચાલુ જ છે.

    - Advertisement -

    આજના સોશિયલ મીડિયાના યુગમાં ખોટી માહિતી અને ભ્રામક દાવાઓ ઝડપથી ફેલાય છે, જે સામાજિક સંવાદિતા અને વિશ્વસનીયતા પર નકારાત્મક અસર કરે છે. તાજેતરમાં જ ઉત્તરાખંડના (Uttarakhand) દેહરાદૂનમાં (Dehradun) એક ઘટનાને લઈને સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થયો, જેની સાથે દાવો કરવામાં આવ્યો કે એક મુસ્લિમ વ્યક્તિને તેનું નામ અને મજહબ પૂછ્યા બાદ ટોળાએ તેની સાથે મારપીટ કરી. આ દાવામાં હિંદુઓને નકારાત્મક રીતે દર્શાવવામાં આવ્યા હતા.

    આ દાવાએ ઘણા લોકોનું ધ્યાન ખેંચ્યું અને સોશિયલ મીડિયા માધ્યમો પર ચર્ચાનો વિષય બની ગયો. જોકે આ દાવો કેટલી હદે સાચો હતો તે પોલીસની સપષ્ટતા બાદ સામે આવ્યું. આ દાવાને લઈને સૌ પ્રથમ પોસ્ટ 4 મે, 2025ના રોજ ‘મિસ્ટર હક’ નામક યુઝરે કરી હતી.

    આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “દેહરાદૂન, ઉત્તરાખંડમાં એક મુસ્લિમ પરિવાર દોઈવાલાથી દેહરાદૂન (ચન્ચક બંજારાવાલા) લગ્નમાં જઈ રહ્યો હતો. બંજારાવાલા ખાતે 5-6 લોકોએ તેમનું નામ અને ધર્મ પૂછીને લોખંડના સળિયા અને ચાકુથી હુમલો કર્યો.” આ પોસ્ટ સાથે એક વિડીયો પણ શેર કરવામાં આવ્યો હતો. વિડીયોમાં એક વ્યક્તિ લોહીથી લથબથ અને ગંભીર રીતે ઘાયલ હાલતમાં જોવા મળે છે.

    - Advertisement -

    આ વિડીયો અને દાવાએ ઘણા લોકોમાં આક્રોશ અને ચિંતા પેદા કરી, કારણ કે તેમાં આડકતરી રીતે એવું દર્શાવવાનો પ્રયાસ હતો કે હિંદુઓએ મુસ્લિમ વ્યક્તિનું નામ ધર્મ પૂછીને તેની પર હુમલો કર્યો. અહીં એ ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા જ પહલગામમાં થયેલ આતંકી હુમલા દરમિયાન જેમ હિંદુ પ્રવાસીઓના નામ ધર્મ પૂછીને, સુન્નત કરાવી છે કે નહીં એ જાણવા પેન્ટ ઉતરાવીને તેમની હત્યા કરવામાં આવી હતી.

    આ હુમલાની સમગ્ર દેશના અને વિશ્વમાં વસતા હિંદુઓએ ટીકા કરી હતી. હવે આ હુમલાને દહેરાદૂનવાળી પોસ્ટ સાથે જોડવાનો અર્થ એટલો જ કે આ વિડીયો અને પોસ્ટમાં જે દાવા કરવામાં આવ્યા હતા એ ક્યાંક ને ક્યાંક એવું દર્શાવવાનો પ્રયાસ લાગતો હતો કે હિંદુઓ પણ મુસ્લિમો પર ધર્મના આધારે હુમલો કરે છે. આવા ફેક ન્યુઝ ફેલાવીને પહલગામ હુમલાની ઘટના પર ઢાંકપિછોડો કરવાનો પ્રયાસ અને સામાજિક સોહાર્દ બગાડવાનો પ્રયાસ સ્પષ્ટ રીતે છતો થઈ રહ્યો હતો.

    આ પોસ્ટને ઘણા કટ્ટરપંથી યુઝર્સે શેર અને વ્યાપક પ્રમાણમાં વાયરલ કરી હતી. જોકે ભ્રામક દાવાનું તૂત લાંબા સમય સુધી ટકી શક્યું નહીં. સોશિયલ મીડિયા પરના જ એક યુઝરે આ દાવાને લઈને તથ્યો રજૂ કર્યા. જેમાં આ આરોપ સંપૂર્ણ ખોટો નીકળ્યો. આ અંગે દહેરાદૂન પોલીસે પણ સ્પષ્ટીકરણ આપ્યું હતું.

    પોલીસે આપી સ્પષ્ટતા

    દેહરાદૂન પોલીસે આ ઘટના અંગે સ્પષ્ટતા કરતું એક નિવેદન એક્સ પર પોસ્ટ કર્યું. પોલીસે જણાવ્યું કે “આ ઘટના બંજારાવાલા વિસ્તારમાં 1 મે, 2025ના રોજ બની હતી અને લોહીલુહાણ વ્યક્તિની ઓળખ અનિશ આલો તરીકે થઈ હતી. તે અને તેનો પરિવાર એક લગ્ન સમારોહમાં જઈ રહ્યા હતા ત્યારે રસ્તાની વચ્ચે તેની કાર બગડી ગઈ.”

    પોલીસે વધુમાં કહ્યું કે, “આના કારણે ટ્રાફિક જામ થઈ ગયો. આ મુદ્દા પર અલી અને સંજય રાવત નામના અન્ય એક વ્યક્તિ વચ્ચે ઉગ્ર સંઘર્ષ થયો. તેમણે એકબીજા સાથે મારામારી કરી, જેના પરિણામે બંને પક્ષે ઈજાઓ થઈ.” ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને ઘાયલોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં મોકલ્યા હતા. કોઈ પણ અનિચ્છનીય ઘટના ન બને તે માટે તાત્કાલિક મોટી પોલીસ ટીમને વિસ્તારમાં તૈનાત કરવામાં આવી હતી.

    પોલીસે ઘટનાસ્થળેથી CCTV ફૂટેજ લઈ FIR નોંધી છે. આ ઉપરાંત ચેતવણી પણ આપી છે કે, “કાર બંધ થઈ જવા અને ટ્રાફિક જામ થવાના વિવાદને કારણે આ ઘટના બની હતી. જોકે, કેટલાક લોકો સોશિયલ મીડિયા દ્વારા આ ઘટનાને સાંપ્રદાયિક રંગ આપવાનો પ્રયાસ કરી રહ્યા છે. પોલીસ સતત સોશિયલ મીડિયા પર નજર રાખી રહી છે અને આવા લોકોની ઓળખ કરી રહી છે, જેમની સામે કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.”

    આ પહેલાં પણ થયા છે હિંદુઓને બદનામ કરવાના પ્રયાસ

    પહલગામ આતંકી હુમલા બાદ સોશિયલ મીડિયા પર ‘મુસ્લિમ પીડિતો’નું ઘોડા પૂર આવી ગયું છે. જોકે પહલગામ હુમલા, મુર્શિદાબાદ હિંસા, બહરાઈચ હિંસામાં એ સ્પષ્ટ થઈ જ ચૂક્યું છે કે વાસ્તવિકતા શું છે. તેમ છતાં મુસ્લિમોને પીડિત દર્શાવવાના પ્રયાસ ચાલુ જ છે. આ પ્રયાસો પહલગામ હુમલામાં હિંદુઓ સાથે જે દુષ્કૃત્યો થયા એના પર ઢાંકપિછોડો કરવા માટે કરવામાં આવી રહ્યા છે.

    આ પહેલાં પણ ઑપઇન્ડિયા એવા ઘણા મામલા ઉજાગર કર્યા છે જેમાં મુસ્લિમો હિંદુઓથી પીડિત છે એવું દર્શાવવાના ષડ્યંત્ર કરવામાં આવ્યા હોય. તાજેતરમાં બેંગલુરુમાં એક મુસ્લિમ કોર્પોરેટ કર્મચારીને ‘ગાયત્રી મંત્ર’ ન બોલવા અને પહલગામ આતંકવાદી હુમલા પર ટિપ્પણી ન કરવા બદલ તેના હિંદુ સાથીદારોએ તેની હત્યા કરી હોવાના ખોટા સમાચારનું ફેક્ટ ચેક કર્યું હતું.

    વામપંથી પ્રોપેગેન્ડા ચાલવતા આઉટલેટ, ધ ક્વિન્ટ દ્વારા આ ખોટા સમાચારને વધુ વિસ્તૃત કરવામાં આવ્યા હતા, જેણે પાછળથી કોઈ માફી માંગ્યા વિના જ આ લેખ કાઢી નાખ્યો હતો. આ સમગ્ર રિપોર્ટ ‘પત્રકાર’ અલીઝા નૂરે લિંક્ડઇન યુઝર ઇશાન સક્સેનાએ લખેલી ખોટી વાર્તાના આધારે છાપી માર્યો હતો. તેણે આ બાબતની હકીકતો ચકાસવાની તસ્દી પણ લીધી ન હતી. જોકે આ ઘટનામાં ‘મુસ્લિમ પીડિત’ છે એવું સાબિત ન થઈ શકવાના કારણે લેખ ડિલીટ કરવામાં આવ્યો હતો.

    નૂરે એ આ ખુલાસા પછી હવે તેના X, LinkedIn અને Instagram એકાઉન્ટ્સ ડિલીટ કરી દીધા છે. તેણે જ કોલકાતાના એક ડોક્ટર દ્વારા મુસ્લિમ દર્દીને સારવાર ‘ના’ આપવાના ખોટા સમાચાર પણ ફેલાવ્યા હતા. માત્ર આટલું જ નહીં આ જ પ્રોપેગેન્ડા હેઠળ જામિયા મિલિયા ઇસ્લામિયામાં કાશ્મીરી વિદ્યાર્થીની છેડતીની ઘટનાને પણ છાપવામાં અને મોટી બનાવવામાં આવી હતી. જોકે, પાછળથી જ્યારે ગુનેગાર મેવાતનો ‘મોહમ્મદ આબિદ’ હોવાનું બહાર આવ્યું ત્યારે બધાના મોઢામાં દહીં જામી ગયું હતું.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં