17 એપ્રિલના રોજ લોકસભામાં ડિલિમિટેશન બિલ અને મહિલા અનામત તથા બંધારણીય સુધારા બિલ પર ચર્ચા કરવામાં આવી છે. સંસદના ઘણા સાંસદોએ આ મામલે ચર્ચામાં ભાગ લીધો હતો. શાસકપક્ષના સભ્યોએ બિલોને સમર્થન આપ્યું છે તો બીજી તરફ વિપક્ષના સાંસદોએ તેનો વિરોધ કર્યો છે. વિરોધમાં અનેક મુદ્દા ઉઠાવવામાં આવ્યા છે અને સમયને લઈને પણ સવાલો ઉઠાવવામાં આવ્યા છે. આ મામલે હવે ચર્ચાનો જવાબ આપતા ગૃહમંત્રી અમિત શાહે લોકસભામાં ભાષણ આપ્યું છે. તેમણે બિલના મહત્વ, ઉદ્દેશ્યો અને બંધારણીય માન્યતાને લઈને વિસ્તૃત સમજૂતી આપી છે અને વિપક્ષ પર આકરા પ્રહાર કર્યા છે.
અમિત શાહે કહ્યું કે બોલવાના સમયે તમામ સભ્યોએ કહ્યું હતું કે તેઓ પક્ષમાં છે. INDI ગઠબંધનના સભ્યોને જો-તો, કિંતુ-પરંતુ કહીને મહિલા અનામતનો વિરોધ કર્યો છે. તેમણે કહ્યું કે, “મને લાગ્યું કે આ અમલની રીતનો વિરોધ છે, પરંતુ નહીં. આ માત્રને માત્ર મહિલા અનામતનો વિરોધ છે. આ રીતોનો નહીં પણ બિલનો વિરોધ છે.” ગૃહમંત્રીએ બિલના ઉદ્દેશ્ય પણ સમજાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે બિલનો મુખ્ય ઉદ્દેશ્ય મહિલા સશક્તિકરણ છે. આગળ ગૃહમંત્રીએ કહ્યું કે, “કેટલાક સંસદીય વિસ્તારમાં 39 લાખ વૉટર છે. બંધારણમાં તેના સુધારાનો અધિકાર સરકાર પાસે છે. જે સીટો વધારવાનો વધારવાનો કરી રહ્યા છે, તે ધ્યાનમાં રાખે કે તેઓ SC-STની બેઠકો વધારવાનો પણ વિરોધ કરી રહ્યા છે. બંધારણમાં પણ ડિલિમિટેશનની જોગવાઈ છે.”
કેમ ડિલિમિટેશન?
આ પ્રશ્નનો જવાબ આપતા ગૃહમંત્રીએ કહ્યું છે કે એક સાંસદ એક મતવિસ્તારમાં લગભગ 49 લાખ મતદાતાઓનું પ્રતિનિધિત્વ કેવી રીતે કરી શકે? ગૃહમંત્રીએ મલકાજગિરિ બેઠકથી લઈને ગાઝિયાબાદ સુધીની જનસંખ્યાના આંકડા ગણાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે 127 બેઠકો એવી છે, જ્યાં વસ્તી 20 લાખથી વધારે છે. તેવામાં 49 લાખ વસ્તીનું પ્રતિનિધિત્વ માત્ર એક સાંસદ કેવી રીતે કરી શકે. દરમ્યાન તેમણે એવું પણ કહ્યું કે ડિલિમિટેશન કરવાથી મતનું મૂલ્ય પણ સમાન થઈ જશે અને લોકોને યોગ્ય અને સંતુલિત પ્રતિનિધિત્વ પણ મળી શકશે. આ સાથે તેમણે ઇન્દિરા ગાંધી પર પણ પ્રહાર કર્યા હતા.
તેમણે કહ્યું હતું કે ઇન્દિરા સરકારે ડિલિમિટેશન લાવીને બેઠકો ફ્રીઝ કરી દીધી હતી અને ડિલિમિટેશન પર રોક લગાવી દીધી હતી. ઇન્દિરા સરકારે ઇમરજન્સીના સમયે કાયદો લાવીને બેઠકો ફ્રીઝ કરી દીધી હતી અને કોંગ્રેસે દેશને ડિલિમિટેશનથી વંચિત રાખ્યો હતો અને આજે પણ કોંગ્રેસ ડિલિમિટેશન અટકાવવા માંગે છે. 2001માં પણ ડિલિમિટેશન પર 2026 સુધી રોક લગાવી દેવાઈ હતી.
અમિત શાહે સ્પષ્ટપણે કહ્યું છે કે 1976થી 2026 સુધીમાં દેશની જનતાને વસ્તીના હિસાબે પ્રતિનિધિત્વ નથી મળ્યું. તેમણે આગળ કહ્યું કે 2029ની ચૂંટણી નારી શક્તિ વંદન અધિનિયમની સાથે ચૂંટણી કરવા માંગીએ છીએ તો હમણાં જ ડિલિમિટેશન લાગુ કરવું પડશે. તેમણે કહ્યું કે 1976માં દેશમાં વસ્તી 54.89 કરોડ હતી, ત્યારે જેટલા સાંસદો હતા, એટલા જ આજે 140 કરોડની વસ્તીમાં પણ રાખવામાં આવ્યા છે.
બેઠકો ઓછી નથી કરવાની
વિપક્ષનો એ પણ સવાલ હતો કે ડિલિમિટેશનના કારણે દક્ષિણ ભારતનું પ્રતિનિધિત્વ ઘટી જશે. તેના જવાબમાં અમિત શાહે કહ્યું હતું કે સરકાર કોઈપણ બેઠક ઓછી કરવાની નથી, ઉલ્ટાની 50 ટકા બેઠકો તમામ રાજ્યની વધારવામાં આવશે. સમયને લઈને પૂછાયેલા પ્રશ્ન પર અમિત શાહે કહ્યું કે 2023નો કાયદો પહેલેથી જ 2026 પછી થનારા સીમાંકન સાથે જોડાયેલો છે. તેમણે જણાવ્યું કે 1971થી 2026 સુધી સીમાંકન પર રોક હતી, તેથી બિલમાં આવી જોગવાઈ રાખવી જરૂરી હતી.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું કે જો 2029 સુધી મહિલા આરક્ષણ અમલમાં મૂકવું હોય તો સીમાંકન જરૂરી છે. તેમણે બેઠકોમાં 50 ટકા વધારો કરવાનો વિશ્વાસ ફરી વ્યક્ત કર્યો અને વિરોધ પક્ષ પર જાતિ ગણતરી અંગે ગંભીર ન હોવાનો આરોપ મૂક્યો.
ઉત્તર-દક્ષિણના વિભાજનના નેરેટિવને સહન નહીં કરીએ- અમિત શાહ
ચર્ચા દરમિયાન વિપક્ષે ઉત્તર ભારત-દક્ષિણ ભારતનો નેરેટિવ ચલાવવા માટેના પ્રયાસો પણ કર્યા હતા. તેમણે કહ્યું હતું કે સીમાંકનના કારણે દક્ષિણની બેઠકો ઘટશે અને સંસદમાં તેનું પ્રભુત્વ પણ ઓછું થઈ જશે. જોકે 16 એપ્રિલે અમિત શાહે વિગતવાર આ બાબતનો જવાબ આપી દીધો હતો અને સંતુલિત બેઠકો વધારવા માટેનું આશ્વાસન પણ આપ્યું હતું. તેમ છતાં તેમણે 17 એપ્રિલના રોજ ફરીથી ગંભીરતાથી કહ્યું છે કે દક્ષિણ-ઉત્તર ભારતનો વિભાજનકારી નેરેટિવ હવે સહન થઈ શકશે નહીં.
સરકારે સ્પષ્ટ કર્યું છે કે તે ઉત્તર-દક્ષિણ વચ્ચે કોઈ વિભાજન થવા દેશે નહીં અને સીમાંકન અંગે ચાલી રહેલી ચર્ચામાં ઉભા થતા આવા તમામ દાવાઓ અને નેરેટિવને નકારી કાઢ્યા છે. સરકારે સંકેત આપ્યો કે સીમાંકન બાદ દક્ષિણ રાજ્યોનું પ્રતિનિધિત્વ 23.76%થી વધીને 23.87% થઈ શકે છે અને જણાવ્યું કે જો વિરોધ પક્ષ 50% બેઠકો વધારવાના પ્રસ્તાવ સાથે બિલ પાસ કરવા તૈયાર હોય તો સરકાર સત્તાવાર સુધારો લાવવા પણ તૈયાર છે.
કેન્દ્રીય ગૃહમંત્રીએ જણાવ્યું કે ઉત્તર-દક્ષિણ વિભાજનનો એક નેરેટિવ ફેલાવવામાં આવ્યો છે, આ સદન પર દક્ષિણ રાજ્યોનો એટલો જ અધિકાર છે જેટલો ઉત્તર રાજ્યોનો છે. તેમણે કહ્યું કે લક્ષદ્વીપનો પણ એટલો જ અધિકાર છે જેટલો ઉત્તર પ્રદેશ અને ગુજરાતનો છે અને અહીં શપથ લેતા દરેક સભ્ય દેશની અખંડિતતા અને કલ્યાણ માટે પ્રતિબદ્ધ રહે છે.
તેમણે વિરોધ પક્ષ પર પ્રહાર કરતા કહ્યું કે ગેરસમજ ફેલાવીને અહીં બેસી રહેવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, પરંતુ તે સફળ નહીં થાય. તેમણે કહ્યું કે જો 50 ટકા બેઠકો વધારવાનું સંશોધન જોઈએ તો તેઓ લખિતમાં લાવવા તૈયાર છે અને સદન એક કલાક માટે સ્થગિત કરાય તો સત્તાવાર સુધારો લઈને આવી જશે.
તેમણે કોંગ્રેસ પર આરોપ લગાવ્યો કે 2029ની ચૂંટણી પહેલાં મહિલા આરક્ષણ લાગુ ન થાય તે માટે રાજકીય ચાલ ચાલી રહી છે. તેમણે કહ્યું કે જો બિલને સમર્થન નહીં મળે તો દેશની મહિલાઓ જોઈ રહી છે કે તેમના માર્ગમાં અવરોધ કોણ ઊભું કરી રહ્યું છે અને ચૂંટણીમાં તેનો જવાબ મળશે.
કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યું કે કર્ણાટક, આંધ્ર પ્રદેશ, તેલંગાણા, તમિલનાડુ અને કેરળ- આ પાંચ રાજ્યોની હાલ 543 લોકસભા બેઠકોમાં 129 બેઠકો છે, જે 23.76% થાય છે. 50% વધારો કર્યા પછી આ સંખ્યા 129થી વધીને 195 થશે, જે 816 બેઠકોમાં 23.87% હશે. તેમણે ઉમેર્યું કે આ પ્રક્રિયામાં કોઈનું નુકસાન નહીં થાય અને દક્ષિણનું તો બિલકુલ નહીં.
મુસ્લિમ મહિલાઓ માટે આરક્ષણ માંગતા અમિત શાહનો જવાબ
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મુસ્લિમ મહિલાઓ માટે આરક્ષણની માંગ કરવા બદલ વિરોધ પક્ષ પર તીવ્ર પ્રહાર કર્યો હતો અને તેને તુષ્ટિકરણની રાજનીતિ ગણાવી હતી. તેમણે કહ્યું હતું કે સરકાર ક્યારેય ધર્મના આધારે આરક્ષણને મંજૂરી આપશે નહીં અને ચેતવણી આપી કે આવનારી ચૂંટણીમાં મહિલાઓનો ગુસ્સો વિરોધ પક્ષને સહન કરવો પડશે. આ સાથે તેમણે બંધારણનો હવાલો પણ આપ્યો હતો અને કહ્યું હતું કે બંધારણમાં ક્યારેય ધર્મના આધારે આરક્ષણ આપવાની જોગવાઈ કરવામાં આવી નથી.
વધુમાં અમિત શાહે જાતિ ગણતરીને લઈને જણાવ્યું છે કે 140 કરોડ ભારતીયોના મનમાં કોઈ ગૂંચવણ ન રહે તે માટે સ્પષ્ટ કરવું જરૂરી છે કે પીએમ નરેન્દ્ર મોદીની કેબિનેટે 2026ની વસ્તી ગણતરી સાથે જ જાતિ ગણતરી પણ કરવાનું નક્કી કર્યું છે.


