‘મને અલ્લાહે આદેશ આપ્યો’: પેરિસમાં ઇસ્લામી કટ્ટરપંથીએ ત્રણ મહિલાઓને છરાના ઘા ઝીંક્યા, ટેરર એંગલથી તપાસ

ફ્રાન્સની રાજધાની પેરિસના ઉત્તર ભાગમાં આવેલા પોર્તે દે ક્લીશી (Porte de Clichy) વિસ્તારમાં એક કટ્ટરપંથી શખ્સે રસોડાની બે મોટી છરીઓ વડે ત્રણ નિર્દોષ મહિલાઓ પર હિંસક હુમલો કર્યો હતો. સોમવારે સવારે (27 જુલાઈ) બનેલી આ ઘટનામાં 19, 24 અને 36 વર્ષની યુવતીઓ-મહિલાઓને નિશાન બનાવાઈ હતી, જેમાંથી બેની હાલત ગંભીર છે. સ્થાનિક મેયરના જણાવ્યા મુજબ ઇજાગ્રસ્તોમાં એક ગર્ભવતી મહિલા પણ સામેલ છે.

આ ઘટનાના વાયરલ વિડીયોમાં હુમલાખોર એવી બૂમો પાડતો સંભળાય છે કે, ‘મને અલ્લાહે આદેશ આપ્યો હતો.’ આ નિવેદનને પગલે યુરોપમાં સતત વધી રહેલી ઇસ્લામી કટ્ટરપંથી માનસિકતા પર ફરી એકવાર ગંભીર સવાલો ઊભા થયા છે. નોંધનીય છે કે હુમલાખોરે મહિલાઓની પીઠ અને પેટના ભાગે છરીના ઊંડા ઘા ઝીંક્યા હતા.

હુમલા સમયે ત્યાં હજાર એક યુવકે હુમલાખોર પર સુટકેસ ફેંકી જેના લીધે તે નીચે પડી ગયો. ત્યારબાદ ત્યાંથી પસાર થઈ રહેલા એક ઓફ-ડ્યુટી પોલીસ અધિકારી અને અન્ય લોકોએ તેને દબોચી લીધો હતો. ફ્રાન્સના ગૃહમંત્રી લોરેન્ટ નુનેઝે નાગરિકો અને પોલીસની આ હિંમતની પ્રશંસા કરી હતી.

જોકે ફ્રાન્સના ગૃહમંત્રીએ હુમલાખોરના આ દાવોને ‘અસંબંધિત અને અસ્પષ્ટ’ ગણાવીને ઉતાવળમાં કોઈ તારણ પર ન પહોંચવાની સલાહ આપી હતી. સત્તાવાળાઓ હજુ આને આતંકવાદી ઘટના ગણવી કે નહીં તે અંગે વિચારણા કરી રહ્યા છે.

આ હુમલા પહેલાં જ જર્મનીના બર્લિનમાં એક ઇસ્લામી કટ્ટરપંથીએ પ્રાઇડ પરેડ પર ભાડાની વાન ચઢાવીને એક મહિલાની હત્યા કરી હતી અને 29 લોકોને ઘાયલ કર્યા હતા. યુરોપિયન દેશોમાં સતત વધી રહેલી આવી જેહાદી પ્રવૃત્તિઓએ સુરક્ષા વ્યવસ્થા સામે ભારે ચિંતા ઊભી કરી છે. હાલ ફ્રાન્સની નેશનલ એન્ટી-ટેરરિસ્ટ પ્રોસિક્યુટર ઑફિસ આ કેસમાં આતંકવાદી એંગલથી તપાસ કરવા વિચારણા કરી રહી છે.