સોમવારે (24 નવેમ્બર) સુરતના ઓલપાડમાં રહેતાં અને પાલિકામાં સરકારી કર્મચારી તરીકે ફરજ બજાવતાં એક મહિલા ડિંકલ શિંગોળાવાળા ઘરના બાથરૂમમાંથી બેભાન હાલતમાં મળી આવ્યાં. પછીથી પરિવારજનોએ તેમને હૉસ્પિટલ ખસેડ્યાં, પણ ટૂંકી સારવાર બાદ દમ તોડી દીધો. એક તરફ મહિલાના કરુણ મૃત્યુ પાછળનું કારણ જાણવા માટે પોસ્ટમોર્ટમ અને અન્ય પ્રક્રિયા ચાલી રહી હતી ત્યાં બીજી તરફ તેઓ BLO હોવાની હકીકત બહાર આવતાં મીડિયા અને રાજકારણીઓના એક વર્ગ સમગ્ર ઘટનાનો ઉપયોગ SIR પ્રક્રિયા વિરુદ્ધ પોતાનો એજન્ડા ચલાવવા માટે કરવાનો શરૂ કરી દીધો.
વિગતો એવી છે કે ડિંકલ શિંગોળાવાળા સુરત મહાનગરપાલિકાના વરાછા ઝોનમાં ટેકનિકલ આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવતાં હતાં. હાલ ચાલતી SIR કામગીરીમાં તેમને શહેરના એક વિસ્તારમાં BLOની પણ કામગીરી સોંપવામાં આવી હતી. સોમવારે સવારે તેઓ ફરજ પર હાજર થાય તે પહેલાં ઘરના બાથરૂમમાંથી બેભાન હાલતમાં મળી આવ્યાં.
તેમના પરિજનોએ પછીથી હૉસ્પિટલ ખસેડ્યાં, પરંતુ ફરજ પર હાજર તબીબોએ તેમને મૃત ઘોષિત કર્યાં. પછીથી મૃતદેહ પોસ્ટમૉર્ટમ અને ફોરેન્સિક માટે ખસેડવામાં આવ્યો. બીજી તરફ એ હકીકતના આધારે કે તેઓ BLO હતાં, એજન્ડા ચલાવવાનું કામ શરૂ થઈ ગયું.
આમ આદમી પાર્ટીના નેતા અને ભૂતકાળમાં 1 કરોડની ખંડણી માગવાના કેસમાં FIRનો સામનો કરી ચૂકેલા યુવરાજસિંહ જાડેજાએ એક પોસ્ટમાં મહિલા BLOના મૃત્યુનું કારણ હાર્ટ અટેક જણાવી દીધું. પોસ્ટમાં યુવરાજ લખે છે, “તેઓ BLO તરીકે સર જે. જે સ્કૂલમાં ફરજ બજાવતાં હતાં. શિક્ષિકાને ઘરે જ હાર્ટઅટેક આવતાં દમ તોડ્યો હતો.”
#સુરત : 26 વર્ષીય મહિલા #BLO નું મોત
— Yuvrajsinh Jadeja (@YAJadeja) November 24, 2025
જામનગરમાં પણ BLOની તબિયત લથડી…
26 વર્ષીય BLO રિંકલ સીગોડાવાલાનું મોત થયું છે.
શિક્ષિકા વરાછા ઝોનમાં આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવતા હતા.
તેઓ BLO તરીકે સર જે જે સ્ફૂલમાં ફરજ બજાવતા હતા. શિક્ષિકાને ઘરે જ હાર્ટ એટેક આવતા દમ તોડ્યો હતો.… pic.twitter.com/pPUVreTkNe
યુવરાજે પોસ્ટમાં SIRની કામગીરીમાં જોડાયેલા અન્ય BLOનાં મોત થયાં હોવાનું કહીને ઉમેર્યું કે તેમાંથી મોટાભાગનાનાં મોત હાર્ટઅટેકના કારણે અથવા અસહ્ય ભારણ અને માનસિક તણાવના કારણે થયાં છે. કોઈએ આપઘાત કરીને જીવન ટૂંકાવ્યું છે.” પોસ્ટમાં ‘જસ્ટિસ ફૉર BLO’ અને ‘સ્ટોપ વર્ક પ્રેશર’, ‘SIR ફેલ્યોર’ અને ‘સિસ્ટમેટિક નેગ્લિજન્સ’ વગેરે હૅશટેગનો પણ ઉપયોગ કરવામાં આવ્યો.
આ જ રીતે ‘ઝી 24 કલાક’નાં ‘પત્રકાર’ નિધિ પટેલે એક પોસ્ટમાં સમાચાર આપતાં લખ્યું, ‘SIRની કામગીરી દરમિયાન વધુ એક દુઃખદ મૃત્યુ.’ અહીં SIRની કામગીરી દરમિયાન મૃત્યુ થયું હોવાનું જણાવવામાં આવ્યું છે.
SIR ની કામગીરી દરમિયાન વધુ એક દુઃખદ મૃત્યુ ..@Zee24Kalak pic.twitter.com/j5zRVVlRKm
— Nidhi patel (@nidhirpatel6) November 24, 2025
અન્ય પણ અમુક રિપોર્ટ અને પોસ્ટમાં આ પ્રકારના દાવા કરવામાં આવ્યા છે, જેમાં મહિલા કર્મચારીનું મોત કામના ભારણના કારણે થયું હોવાનું જણાવાયું.
હકીકત એ છે કે મહિલાનું દુઃખદ મૃત્યુ બાથરૂમમાં ગેસ ગીઝરમાંથી. ગેસ લીકેજ થવાના કારણે થયું છે. પોસ્ટ મોર્ટમ રિપોર્ટ અનુસાર, શ્વાસ રૂંધાવાના કારણે મૃત્યુ થયું હતું. તપાસ કરી તો જાણવા મળ્યું કે બાથરૂમમાં ગેસ ગીઝરમાંથી ગેસ લીક થયો હતો.
દિવ્ય ભાસ્કરના રિપોર્ટ અનુસાર, સુરત સિવિલ હૉસ્પિટલમાં ફોરેન્સિક વિભાગના વડા ડૉ. ચંદ્રેશ ટેલરે જણાવ્યું કે પોસ્ટમોર્ટમ ર્પોર્ટમાં કાર્બન મોનોક્સાઇડ ગેસના કારણે મૃત્યુ થયું હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે. આવા કેસમાં ચોક્કસ વિસ્તારમાં ઘેરાઈ ગયેલો કાર્બન ડાયોક્સાઇડ સાયલન્ટ કિલર તરીકે કામ કરે છે, જેથી વ્યક્તિ પહેલાં અચાનક બેભાન થઈ જાય અને ત્યારબાદ 5થી 7 મિનિટમાં મૃત્યુ થઈ શકે છે.”
એટલે અહીં મૃત્યુ કોઈ કામના ભારણના કારણે કે હાર્ટ અટેકના કારણે નહીં પરંતુ ગેસ લીકેજ બાદ શ્વાસ રુંધાવાના કારણે થયું હતું. તેમ છતાં યુવરાજ અને ગેંગે SIR કામગીરી સામે ભયનો માહોલ ઉભો કરવા એક મહિલાના મૃત્યુ કેસનો ઉપયોગ કર્યો.
આ લખાય રહ્યું છે ત્યાં સુધીમાં યુવરાજ અને અન્યોએ પોસ્ટ હટાવી નથી કે ચોખવટ પણ કરી નથી.


