એક તરફ રાજ્યમાં ગણેશોત્સવ માટે તૈયારીઓ ચાલી રહી છે અને બીજી તરફ વડોદરામાં હિંદુઓની ધાર્મિક લાગણી દુભાવવા માટે ગણેશજીની પ્રતિમા પર ઈંડાં ફેંકવાનું કારસ્તાન સામે આવ્યું હતું. મંગળવારે (26 ઑગસ્ટ) મધ્ય રાત્રિએ જ્યારે હિંદુ યુવાનો ગણેશજીની પ્રતિમા લઈને આવી રહ્યા હતા ત્યારે મુસ્લિમ બહુમતી વિસ્તારમાં શ્રીજીની પ્રતિમા પર ઈંડાં ફેંકવામાં આવ્યાં હતાં. ઘટનાની જાણ થતાં જ ન્યાયની માંગ સાથે હિંદુ સંગઠનો સ્થળ પર પહોંચ્યાં હતાં અને પોલીસે પણ મામલો હાથ પર લીધો હતો. તપાસને અંતે પોલીસે ગણતરીના કલાકોમાં એક સગીર સહિત ત્રણ આરોપીઓની ધરપકડ કરી લીધી છે.
આરોપીઓની ઓળખ સુફિયાન સલીમ મન્સૂરી અને શાહનવાઝ મોહમ્મદ ઇર્શાદ કુરેશી તરીકે થઈ છે. ત્રીજો એક આરોપી સગીર છે, તેની પણ અટકાયત કરવામાં આવી છે. વડોદરાનાં જોઇન્ટ પોલીસ કમિશનર લીના પાટીલે ઑપઇન્ડિયા સાથેની વાતચીતમાં આરોપીઓની ધરપકડની પુષ્ટિ કરી હતી. તેમણે વધુમાં જણાવ્યું કે આ મામલે પોલીસ વધુ તપાસ અને કાર્યવાહી કરી રહી છે અને આ કૃત્યમાં વધુ આરોપીઓ સંડોવાયેલા છે કે કેમ તે પણ તપાસ ચાલી રહી છે. જો અન્ય આરોપીઓની સંડોવણી પણ હશે તો તેમની પણ ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરવામાં આવશે.
વડોદરા પોલીસે આ મામલે એક પ્રેસ કૉન્ફરન્સ પણ યોજી હતી, જેમાં જણાવવામાં આવ્યું કે પોલીસે રાત્રે જ આ મામલે અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી હતી. ત્યારબાદ CCTV ફૂટેજની ચકાસણી, હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સ વગેરેની મદદથી ગણતરીના કલાકોમાં આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા. હાલ આ મામલે વધુ તપાસ ચાલી રહી છે અને આરોપીઓની વિગતવાર પૂછપરછ પણ હાથ ધરવામાં આવશે.
‘પૂર્વનિયોજિત કાવતરું, કડક સજા કરવામાં આવે’- હિંદુ સંગઠન
ઑપઇન્ડિયા સાથેની વાતચીતમાં વિશ્વ હિંદુ પરિષદ વડોદરા મહાનગર મંત્રી વિષ્ણુ પ્રજાપતિએ જણાવ્યું હતું કે, આ ઘટના એક પૂર્વનિયોજિત કાવતરાના ભાગરૂપે બનવા પામી છે. તેમણે જણાવ્યું કે ઘટનાસ્થળનો વિસ્તાર મુસ્લિમ બહુમતી ધરાવે છે અને જે મદાર માર્કેટ બિલ્ડિંગમાંથી ઈંડાં ફેંકાયાં છે, ત્યાં પણ મોટેભાગે મુસ્લિમ સમુદાયના લોકો રહે છે. તેમણે ઘટનાને લઈને જણાવ્યું છે કે, પોલીસની હાજરીમાં ઈંડાં ફેંકાયાં છે. તેમણે આ મામલે કડક કાર્યવાહીની માંગણી કરી હતી.

પ્રજાપતિએ આરોપ લગાવ્યો છે કે, આ પૂર્વનિયોજિત કાવતરાના ભાગરૂપે કરવામાં આવ્યું છે, કારણ કે રોડની બંને સાઈડથી એક સાથે ઈંડાં ફેંકવામાં આવી રહ્યાં હતાં. તેમણે કહ્યું કે, આ ઘટનામાં હિંદુ કાર્યકર્તાઓ પર પણ ઈંડાં ફેંકવામાં આવ્યાં હતાં. આ ઘટનામાં સામેલ તમામ વ્યક્તિઓની તાત્કાલિક ધરપકડ કરીને યોગ્ય સજા આપવામાં આવે તેવી માંગ સાથે તેમણે ઉમેર્યું કે, “અસામાજિક તત્વોને દાખલો બેસે એવી સજા આપવામાં આવવી જોઈએ, નહીં તો આવું વારંવાર બનતું રહેશે.”


