પ્રવર્તન નિદેશાલયએ (ED) તાજેતરમાં ગુરુગ્રામ જમીન કૌભાંડમાં કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીના (Priyanka Gandhi) પતિ રોબર્ટ વાડ્રા (Robert Vadra) વિરુદ્ધ ગંભીર આરોપો લગાવ્યા છે. EDએ 17 જુલાઈએ દાખલ કરેલ ચાર્જશીટમાં જણાવ્યું છે કે, વાડ્રાએ ગુરુગ્રામના (Gurugram) સેક્ટર-83માં 3.5 એકર જમીન લાંચમાં લીધી હતી. વાડ્રા તેમના દાવા મુજબ આ જમીન માટે ₹7.5 કરોડ ચૂકવ્યા હોવાનું કહે છે, પરંતુ EDની તપાસમાં આ દાવા ખોટા અને બનાવટી સાબિત થયા છે. આ કેસમાં મની લોન્ડરિંગના આરોપો પણ લગાવવામાં આવ્યા છે, જેમાં ₹58 કરોડની ‘અપરાધની આવક’ને વૈધાનિક બનાવવાનો આરોપ છે. આ ઉપરાંત પ્રિયંકા ગાંધીને પણ કેરળ હાઇકોર્ટમાં તેમના ચૂંટણી એફિડેવિટમાં સંપત્તિઓની અધૂરી માહિતીને લઈને નોટિસ મોકલવામાં આવી છે.
શું છે સમગ્ર મામલો?
આ કૌભાંડ 2008ના વર્ષમાં શરૂ થયું હતું, જ્યારે ઓંકારેશ્વર પ્રોપર્ટીઝ પ્રાઈવેટ લિમિટેડએ (OPPL) સ્કાઈલાઈટ હોસ્પિટાલિટી પ્રાઈવેટ લિમિટેડને (SLHPL) ગુરુગ્રામના સેક્ટર-83માં 3.5 એકર જમીન વેચી હોવાનું દેખાડ્યું હતું. SLHPLમાં રોબર્ટ વાડ્રા ડિરેક્ટર છે. EDની તપાસ અનુસાર, આ જમીન કોઈ પણ ચૂકવણી વિના લાંચ તરીકે આપવામાં આવી હતી. તેના બદલામાં વાડ્રાએ તેમના વ્યક્તિગત પ્રભાવનો ઉપયોગ કરીને OPPLને તે જ વિસ્તારમાં હાઉસિંગ લાઈસન્સ મેળવવામાં મદદ કરી હતી.
EDની ચાર્જશીટમાં જણાવાયું છે કે, “ઓંકારેશ્વર પ્રોપર્ટીઝ પ્રાઈવેટ લિમિટેડે આ જમીન સ્કાઈલાઈટ હોસ્પિટાલિટી પ્રાઈવેટ લિમિટેડને કોઈ પણ ચૂકવણી વિના લાંચ તરીકે આપી હતી, જેથી રોબર્ટ વાડ્રા, SLHPLના ડિરેક્ટર, તેમના વ્યક્તિગત પ્રભાવથી તત્કાલીન ટાઉન એન્ડ કન્ટ્રી પ્લાનિંગ મંત્રી અને તત્કાલીન મુખ્યમંત્રી ભૂપિન્દર સિંઘ હુડ્ડાને OPPLને હાઉસિંગ લાઈસન્સ આપવા માટે પ્રભાવિત કરે.” વાડ્રા તત્કાલીન કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીના જમાઈ હોવાથી, તેમનો હુડ્ડા પર વ્યક્તિગત પ્રભાવ હતો.
જમીનના વેચાણ દસ્તાવેજમાં (સેલ ડીડ નંબર 4928, તારીખ 12 ફેબ્રુઆરી 2008) ₹7.5 કરોડની ચૂકવણી ચેક નંબર 607251થી કરી હોવાનું દેખાડવામાં આવ્યું હતું. પરંતુ EDની તપાસમાં સાબિત થયું કે આ ચેક ક્યારેય કેશ થયો નહીં અને વાસ્તવિક ચૂકવણી 6 મહિના પછી અન્ય ચેકથી કરવામાં આવી હતી. આ ચેક સ્કાઈલાઈટ રિયલ્ટી પ્રાઈવેટ લિમિટેડના (SLRPL) નામે હતો. SLHPLની મૂડી માત્ર ₹1 લાખ હતી અને ₹45 લાખની સ્ટેમ્પ ડ્યુટી પણ વાડ્રાની કંપનીએ નહીં પરંતુ વેચનારે ચૂકવી હતી. EDએ આને બનાવટી અને બેનામી સોદા તરીકે વર્ણવ્યો છે.
મની લોન્ડરિંગના આરોપો
વાડ્રાએ આ જમીન પછીથી રિયલ એસ્ટેટ કંપની DLFને ₹58 કરોડમાં વેચી દીધી હતી, જેમાંથી તેમને આશરે ₹50.5 કરોડનો નફો થયો હતો. EDએ આને ‘અપરાધની આવક’ તરીકે વર્ગીકૃત કરી છે અને તેને વૈધાનિક બનાવવાના આરોપમાં વાડ્રા સહિત 10 વ્યક્તિઓને આરોપી બનાવ્યા છે. આમાં OPPLના પ્રમોટર-ડિરેક્ટર સત્યાનંદ યાજી અને કેવલ સિંઘ વિર્ક પણ સામેલ છે.
16 જુલાઈએ EDએ વાડ્રા સાથે જોડાયેલી ₹37 કરોડથી વધુની સંપત્તિઓ જપ્ત કરી હતી. તપાસમાં ઓછામાં ઓછા 20 સાક્ષીઓના નિવેદનો લેવામાં આવ્યા છે, જેમાં હરિયાણા સરકારના અધિકારીઓ અને OPPLના પ્રમોટર્સ સામેલ છે. EDએ સાક્ષીઓના તે નિવેદનોને ખોટા ગણાવ્યા છે, જેમાં વાડ્રાએ ₹7.5 કરોડની ચૂકવણી કરી હોવાનું કહેવામાં આવ્યું હતું.
કોર્ટની કાર્યવાહી
આ કેસમાં વિશેષ PMLA કોર્ટે રોબર્ટ વાડ્રાને 28 ઑગસ્ટના રોજ હાજર થવા માટે નોટિસ જારી કરી છે. જો કોર્ટ EDના તારણોથી સંમત થશે તો આરોપો નક્કી કરવાની પ્રક્રિયા શરૂ થઈ શકે છે. આ કેસની તપાસમાં વાડ્રા અને અન્ય આરોપીઓ પર મની લોન્ડરિંગ પ્રિવેન્શન એક્ટ (PMLA) હેઠળ કાર્યવાહી કરવામાં આવી રહી છે.
આ કૌભાંડની અસર પ્રિયંકા ગાંધી પર પણ પડી રહી છે. તેમણે નવેમ્બર 2024માં વાયનાડ લોકસભા ચૂંટણીમાં આપેલા શપથપત્રમાં વાડ્રા સાથે જોડાયેલી ઓછામાં ઓછી ત્રણ મોંઘી સંપત્તિઓનો ઉલ્લેખ કર્યો નથી. જેને લઈને કેરળ હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરવામાં આવી છે અને કોર્ટે પ્રિયંકા ગાંધીને નોટિસ જારી કરી છે. જનપ્રતિનિધિત્વ અધિનિયમ, 1951 હેઠળ આને ભ્રષ્ટ આચરણ માનવામાં આવે છે, જેમાં અયોગ્યતા અને જેલની સજા થઈ શકે છે.
વાડ્રા અને તેમની કંપનીઓ પર અગાઉ પણ જમીન સોદાઓને લઈને આરોપો લાગ્યા છે, પરંતુ આ વખતે EDની તપાસમાં ચોક્કસ પુરાવા અને જપ્તીઓએ કેસને વધુ મજબૂત બનાવ્યો છે. વાડ્રા તરફથી હજુ કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આવી નથી, પરંતુ તેઓ અગાઉ આવા આરોપોને રાજકીય પ્રેરિત ગણાવી ચૂક્યા છે. આ કેસની તપાસ હજુ ચાલુ છે અને આગામી સુનાવણીઓમાં વધુ વિગતો સામે આવી શકે છે. જો EDના આરોપો સાબિત થશે તો તે વાડ્રા અને ગાંધી પરિવાર માટે મોટો કાયદાકીય અને રાજકીય પડકાર બની શકે છે.


