અમેરિકાનાં પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ (US President Donald Trump) દ્વારા રશિયા (Russia) ઉપર 100% ટેરિફ અને પ્રતિબંધ મુકવાની ચીમકી બાદ, હવે નાટોએ (NATO) પણ ભારત સહિત વિશ્વભરના દેશોને રશિયા સાથે વેપાર બંધ કરવા માટે અલ્ટીમેટમ આપ્યું છે. જેમાં આ વખતે તેઓએ સ્પષ્ટ રીતે ભારતનું પણ નામ લીધું છે.
પ્રેસિડેન્ટ ટ્રમ્પે મંગળવારે (15 જુલાઈ) રશિયાને ચેતવણી આપી હતી કે, તેણે 50 દિવસના સમયગાળાની અંદર યુક્રેન સાથે શાંતિ કરાર કરવો પડશે અથવા તેઓ તેના પર 100% ટેરિફ લાદશે. આ ઉપરાંત તેમની સાથે વેપાર કરતા અન્ય દેશો ઉપર પણ સેકન્ડરી ટેરિફ લાદવામાં આવશે. આ મામલે ટ્રમ્પે નાટો સેક્રેટરી જનરલ માર્ક રૂટ સાથે પણ બેઠક કરી હતી.
પ્રેસિડેન્ટ ટ્રમ્પે તેમની મુલાકાતમાં રૂટને કહ્યું હતું કે, જો શાંતિ કરાર નહીં થાય તો રશિયાના ઉત્પાદનો પર 100% સુધીનો ટેરિફ લાદવામાં આવશે. આ ઉપરાંત રશિયા સાથે વેપાર કરતા દેશો ઉપર પણ સેકન્ડરી ટેરિફ અથવા પ્રતિબંધો લાદવામાં આવશે.
આ મામલે NATOના સેક્રેટરી જનરલ માર્ક રુટે પણ કહ્યું કે, “જો બ્રાઝિલ, ચીન અને ભારત સહિત અન્ય કોઈપણ દેશ રશિયા સાથે વેપાર ચાલુ રાખશે, તો તે તમામ દેશો પર કડક પ્રતિબંધો લાદવામાં આવશે.” નોંધનીય છે કે, આ બધા પ્રતિબંધો રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા સંઘર્ષને રોકવા માટે લાદવામાં આવી રહ્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પે આ યુદ્ધને રોકવા માટે પહેલાથી જ ઘણા પ્રયાસો કર્યા છે, પરંતુ અત્યાર સુધી રશિયા સામે તેઓને સફળતા મળી નથી. આવી સ્થિતિમાં, હવે તેઓ કૂટનીતિનો ઉપયોગ કરી રશિયા પર પોતાનો ટેરિફ બોમ્બ ફોડી રહ્યા છે.
આ મામલે સેક્રેટરી જનરલ માર્ક રુટે કહ્યું કે, “જો તમે બેઇજિંગ, દિલ્હી કે બ્રાઝિલમાં રહો છો અથવા ત્યાંથી આવો છો. તો સાવચેત રહો. આ સેકન્ડરી પ્રતિબંધો તમારા માટે નુકશાનકારક હોઈ શકે છે.” રુટે બધા દેશોને અપીલ કરી છે કે તેઓ રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને ફોન કરે અને તેમને શાંતિ વાટાઘાટો માટે મનાવે, નહીતર કોઈ પણ દેશ સેકન્ડરી પ્રતિબંધોથી બચી શકશે નહીં.
રશિયાની સાથે ભારત ઉપર પણ દબાણ
અમેરિકી પ્રેસિડેન્ટ ટ્રમ્પ આ પહેલાં પણ અનેક વાર ભારત અને રશિયા વચ્ચેના વેપારી સબંધો પર વાંધો ઉઠાવી ચૂક્યા છે. જોકે, અમેરિકાના વાંધાને અવગણીને ભારતે રશિયા સાથે વેપાર ચાલુ રાખ્યો છે. ત્યારે હવે રશિયા પર ટેરિફ લાદવાનો કે અન્ય દેશો પર સેકન્ડરી પ્રતિબંધનો નિર્ણય ભારતને પણ નુકસાન પહોંચાડી શકે છે.
નોંધનીય છે કે અમેરિકાએ યુરોપિયન યુનિયન, બ્રાઝિલ, મ્યાનમાર, બાંગ્લાદેશ અને અન્ય કેટલાક દેશો પર 20 થી 50% સુધીના ટેરિફ લાદ્યા છે. અમેરિકાની જાહેરાત મુજબ આ ટેરિફ 1 ઓગસ્ટથી અમલમાં આવશે. ભારત હજુ પણ આ યાદીમાંથી બહાર છે. આ સાથે, અમેરિકા અને ભારત વચ્ચે વેપાર કરાર પણ તેની અંતિમ ચરણમાં છે. ત્યારે આવી સ્થિતિમાં રશિયા સાથે વેપાર પર આ પ્રકારના આકરા પ્રતિબંધો અથવા પ્રતિબંધોની અસર ભારતના અર્થતંત્ર પર પડશે તે નક્કી છે.
રશિયા પર હજુ કોઈ અસર નહીં
જોકે, રશિયા હજુ પણ અમેરિકાની આ ધમકીઓને અવગણી રહ્યું છે. મંગળવારે (15 જુલાઈ) શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO) સ્થિત વિદેશ મંત્રીઓની બેઠકમાં, રશિયાના વિદેશ મંત્રી સેરગેઈ લવરોવે કહ્યું કે, અમેરિકાના પ્રતિબંધોનો સામનો કરવા માટે મોસ્કો સંપૂર્ણપણે તૈયાર છે. લાવરોવે વધુમાં કહ્યું કે, રશિયા પહેલાથી જ પ્રતિબંધોનો સામનો કરી રહ્યું છે. તેથી, રશિયા પાસે નવા પ્રતિબંધોનો સામનો કરવાની ક્ષમતા છે.


