Sunday, October 6, 2024
More
    હોમપેજગુજરાતગાંધીનગરમાં ગરબા ગ્રાઉન્ડના ગેટ પર તિલક કરવા પહોંચેલા બજરંગ દળ કાર્યકર્તાઓ અને...

    ગાંધીનગરમાં ગરબા ગ્રાઉન્ડના ગેટ પર તિલક કરવા પહોંચેલા બજરંગ દળ કાર્યકર્તાઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ: લાઠીચાર્જ થયો હોવાનો બજરંગીઓનો આરોપ, પોલીસે નકાર્યો

    બજરંગીઓ કોઈ બિનહિંદુ વ્યક્તિ પવિત્ર ગરબામાં ન આવે, કે પછી લવ જેહાદ જેવાં દૂષણો ન ફેલાય તે હેતુથી ખેલૈયાઓને તિલક કરી-કરીને ગ્રાઉન્ડ પર એન્ટ્રી આપી રહ્યા હતા.

    - Advertisement -

    પવિત્ર પર્વ નવરાત્રિનો રંગેચંગે શુભારંભ થઈ ગયો છે અને શુક્રવારે (4 ઑક્ટોબર, 2024) માઈભક્તોએ બીજું નોરતું ઉજવ્યું. આ પાવન અવસરે સનાતન સંકૃતિની ગરિમા જળવાય તે હેતુથી હિંદુ સંગઠનો ગરબા આયોજનો પર ચાંપતી નજર રહીને બેઠાં છે. ઉત્સવ પહેલાં જ ઘણે ઠેકાણે જાહેર કરી દેવામાં આવ્યું હતું કે, પવિત્ર ગરબામાં બિનહિંદુઓ ન આવે અને શક્ય બને તો તિલક કરીને જ પ્રવેશ આપવામાં આવે. આ જ ઉપક્રમના ભાગરૂપે ગાંધીનગરમાં બજરંગ દળ કાર્યકર્તાઓ ગરબા આયોજનના સ્થળે તિલક લગાવવા માટે પહોંચ્યા હતા, પરંતુ અહીં પોલીસ સાથે તેમનું ઘર્ષણ થયું હતું.

    બજરંગ દળ કાર્યકર્તાઓએ પોલીસ અધિકારીઓ ઉપર બળપ્રયોગ કરીને લાઠીચાર્જ કરવાના આરોપ લગાવ્યા છે. બીજી તરફ, પોલીસનું કહેવું છે કે નાનકડું ઘર્ષણ થયું હતું અને મામલો શાંત પડી ગયો છે.

    પ્રાપ્ત માહિતી અનુસાર, ઘટના ગાંધીનગરના સરઘાસણ ખાતેના એક ગરબા આયોજનની છે. શુક્રવારે અહીં વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગ દળના કાર્યકર્તાઓ અહીં પહોંચ્યા હતા અને કોઈ બિનહિંદુ વ્યક્તિ પવિત્ર ગરબામાં ન આવે તે માટે ખેલૈયાઓને તિલક કરી-કરીને ગ્રાઉન્ડ પર એન્ટ્રી આપી રહ્યા હતા. ખેલૈયાઓ પણ હોંશે-હોંશે તિલક કરીને ગ્રાઉન્ડમાં પ્રવેશ કરી રહ્યા હતા.

    - Advertisement -

    આ દરમિયાન વ્યવસ્થામાં હાજર પોલીસ કર્મચારીઓ સાથે બજરંગીઓને બોલાચાલી થઈ ગઈ હતી. દાવો છે કે પોલીસ દ્વારા તેમને તિલક કરતા અટકાવવામાં આવ્યા હતા. વાત ત્યાં સુધી પહોંચી કે પોલીસ અને કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ થઇ ગયું. હિંદુ સંગઠન પોલીસના આ વર્તનથી ખૂબ નારાજ થયું. બીજી તરફ પોલીસે લાઠીચાર્જ કર્યો હોવાનું પણ બજરંગ દળના કાર્યકર્તાઓ કહી રહ્યા છે.

    આ ઘટનાનો એક વિડીયો પણ સામે આવ્યો છે. આ વિડીયો બજરંગ દળના ગુજરાત પ્રાંતના સત્તાવાર X હેન્ડલ પરથી મૂકવામાં આવ્યો છે. વિડીયોમાં અફરાતફરીભર્યો માહોલ જોઈ શકાય છે અને પોલીસ અને કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણની સ્થિતિ સર્જાઈ હોય તેમ પણ નજરે પડે છે.

    આ વિડીયો પોસ્ટ કરીને બજરંગ દળે લખ્યું, ‘ગાંધીનગરમાં પાર્ટી પ્લોટમાં ગરબા મહોત્સવ ચાલી રહ્યો હતો અને PI હાર્દિકસિંહ પરમાર અને PI ખેરે ગેટની આગળ તિલક કરતા બજરંગ દળ કાર્યકર્તાઓ પર લાઠીચાર્જ કર્યો. તિલક કરવવામાં હિંદુઓને કોઈ સમસ્યા ન હોય તો હર્ષ સંઘવીની પોલીસને કેમ?” જોકે, પોલીસ સાથે વિવાદનું સમાધાન થયા બાદ સંગઠને વિડીયો હટાવી લીધો હતો.

    પોલીસ અધિકારીએ કહ્યું- થોડું ઘર્ષણ થયું હતું, મામલો પતી ગયો છે

    પછીથી આ વિડીયો સોશિયલ મીડિયા પર પણ ખૂબ વાયરલ થયો અને લોકોએ નારાજગી વ્યક્ત કરી હતી. બીજી તરફ, આ મામલે ઑપઇન્ડિયાએ PI ખેરનો પણ સંપર્ક કર્યો. તેમણે જણાવ્યું કે, “સંગઠનના લોકો બળજબરીથી ગ્રાઉન્ડ પર પ્રવેશ કરી રહ્યા હતા, જેના કારણે થોડું ઘર્ષણ થયું હતું. પરંતુ થોડી જ વારમાં પરિસ્થિતિ શાંત થઈ ગઈ હતી.” તેમણે લાઠીચાર્જની વાતો નકારી કાઢી છે અને કહ્યું કે, હાલ વિવાદ પતી ગયો છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં