નવરાત્રી પહેલાથી વિવિધ હિંદુ સંગઠનો દ્વારા ગરબાના ગ્રાઉન્ડમાં બિનહિંદુઓને પ્રવેશ ન આપવા માટે અનેક પગલાઓ લેવામાં આવ્યા. હિંદુઓના મહાપર્વ નવરાત્રીના જ્યાં પણ ગરબા યોજાય છે, તે તમામ સ્થળોએ વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગ દળ સહિતના સંગઠનો ચાંપતી નજર રાખી રહ્યા છે. તેવામાં અમદાવાદના YMCA ક્લબના ગરબામાં મુસ્લિમ યુવક બજરંગ દળના હાથે ઝડપાયો હતો. આ મુસ્લિમ યુવક હિંદુ જેવા કપડાં પહેરીને ગરબા મંડપમાં ઘુસ્યો હતો. હિંદુ સંગઠને તેની વાસ્તવિકતાની ખરાઈ કરીને તેને ચાલતી પકડાવી હતી.
અમદાવાદના YMCA ક્લબના ગરબામાં ઘુસેલા મુસ્લિમ યુવક અને બજરંગ દળના કાર્યકર્તાઓ વચ્ચે થયેલી માથાકૂટનો એક વિડીયો પણ સામે આવ્યો છે. આ વિડીયોમાં જોઈ શકાય છે કે બજરંગ દળના કાર્યકર્તાઓ એક યુવકને ઘેરીને ઉભા છે અને તેનું ઓળખપત્ર જોઈ રહ્યા છે. આ દરમિયાન તેમને ખ્યાલ આવી જાય છે કે આ યુવક મુસ્લિમ છે, જેથી કાર્યકર્તાઓ તેને ગરબામાં આવવા પાછળનું કારણ પૂછી રહ્યા છે.
અમદાવાદના YMCA ક્લબમાં વિધર્મી પકડાયો તો બજરંગદળના કાર્યકર્તાઓએ ટપલીદાવ કરી બહાર કાઢ્યો #Navratri #Navratri2023 #Gujarat #Ahmedabad pic.twitter.com/FfOhB9558z
— Zee 24 Kalak (@Zee24Kalak) October 18, 2023
વિડીયોમાં એક કાર્યકર્તાને તેમ કહેતા પણ સાંભળી શકાય છે કે, “તમે લોકો ભગવાનને નથી માનતા, તો તમે શા માટે અહીં આવો છો? આ કોઈ ડિસ્કોથેક નથી, અહીં નહીં આવવાનું.” ત્યારબાદ બજરંગદળના કાર્યકર્તાઓ મુસ્લિમ યુવકને ધક્કા મારીને કાઢી મુકે છે.
નવરાત્રિ પહેલા જ આયોજકોને અપાઈ હતી ચેતવણી
ઉલ્લેખનીય છે કે નવરાત્રીના મહાપર્વને લઈને વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગ દળ જેવા હિંદુ સંગઠનોએ નવરાત્રીનું આયોજન કરતા આયોજકોને પહેલેથી જ આ મામલે ચેતવણી આપી હતી. તેઓએ કહ્યું હતું કે ગરબાના મંડપમાં હિંદુ સિવાય અન્ય કોઈ ધર્મના લોકોને પ્રવેશ ન આપવામાં આવે.
એટલું જ નહીં, સંગઠનોએ તેવા પણ નિર્દેશ આપ્યા હતા કે ગરબા આયોજકો દ્રારા ગ્રાઉન્ડ પર કેમેરામેન, ફોટોગ્રાફર, ખાણીપીણીના સ્ટોલવાળા કે પછી સાઉન્ડવાળા કોઈ પણ જગ્યાએ કોઈ જ બિનહિંદુ વ્યક્તિ ન હોય તેની ખરાઈ કરીને પછી જ કામ આપવું. સાથે જ ગરબામાં પ્રવેશ મેળવતા લોકો પર ગૌમૂત્રનો છંટકાવ અને તિલક કરીને બાદમાં જ પ્રવેશ આપવાની વ્યવસ્થા કરવાનું કહેવામાં આવ્યું હતું.
બાગેશ્વરધામ સરકારે પણ આ મુદ્દો ઉઠાવ્યો હતો
બીજી તરફ બાગેશ્વરધામના મહંત પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ પણ અંબાજી ખાતે યોજાયેલા દરબારમાં આવી જ વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, ગરબામાં આવતા તમામ લોકોને કપાળે તિલક કરી, ગંગાજળ અને ગૌમૂત્રનું આચમન કરાવીને જ પ્રવેશ આપવો જોઈએ. સાથે તેમણે એવું પણ કહ્યું કે મુસ્લિમ યુવકો ભાઈચારો નિભાવવા માટે ગરબામાં પ્રવેશે છે તો તેમણે પોતાની બહેનને પણ સાથે લાવવી જોઈએ અને બહેનચારો પણ નિભાવવો જોઈએ.
પત્રકાર પરિષદમાં જ્યારે બાગેશ્વરધામના પીઠાધિશ ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીને લવ જેહાદ પર સવાલ પૂછવામાં આવ્યો તો તેમણે કહ્યું કે, “લવ જેહાદ સ્કૂલ-કોલેજમાં ફેલાઈ રહ્યો છે. નવરાત્રિમાં ગરબામાં ભાઈચારાના નામે આવતા મુસ્લિમ યુવકો પોતાની બહેનોને પણ ગરબામાં લાવી બહેનચારો પણ નિભાવે. આયોજકોએ ગરબામાં આવતા તમામ લોકોને તિલક કરી, ગંગાજળ-ગૌમૂત્રનું આચમન કરાવીને જ પ્રવેશ આપવો જોઈએ.” બાબા બાગેશ્વરે આ નિવેદન નવરાત્રિમાં થતાં લવ જેહાદના કિસ્સાઓને લઈને આપ્યું હતું.