Thursday, May 9, 2024
More
    હોમપેજદેશકેરળમાં મૌલવીની હત્યામાં ફસાવાયેલા ત્રણ RSS કાર્યકરો નિર્દોષ છૂટ્યા: 7 વર્ષ સુધી...

    કેરળમાં મૌલવીની હત્યામાં ફસાવાયેલા ત્રણ RSS કાર્યકરો નિર્દોષ છૂટ્યા: 7 વર્ષ સુધી રહ્યા જેલમાં, કોર્ટે કહ્યું- એકપક્ષીય હતી તપાસ

    આરોપીઓ તરફથી હાજર રહેલા એડવોકેટ બીનુ કુલમ્મકડે કોર્ટમાં કહ્યું કે, “ત્રણ લોકોને અન્યાયી રીતે સાત વર્ષ સુધી જામીન વગર જેલમાં રાખવામાં આવ્યા હતા. પોલીસે શરૂઆતથી તેવું માનીને તપાસ શરૂ કરી હતી કે, હત્યા RSSએ જ કરી છે અને આ લોકોને પકડીને પોતાની પ્રતિષ્ઠા બચાવવાનો પ્રયાસ કર્યો હતો."

    - Advertisement -

    કેરળમાં એક મદરેસાના મૌલવીની હત્યા મામલે ખોટી રીતે ફસાવવામાં આવેલા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના (RSSના) ત્રણ સ્વયંસેવકોને આખરે ન્યાય મળ્યો છે. જાણવા મળી રહ્યું છે કે, શનિવારે (30 માર્ચ, 2024) કાસરગોડાની ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટે ત્રણેય સ્વયંસેવકોને નિર્દોષ જાહેર કર્યા છે. જોકે, તેમણે પોતાના જીવનનાં 7 અમૂલ્ય વર્ષો જેલમાં વિતાવવાં પડ્યાં. પરંતુ હવે તેમને ન્યાય મળ્યો છે.

    આરોપીઓ તરફથી હાજર રહેલા એડવોકેટ બીનુ કુલમ્મકડે કોર્ટમાં કહ્યું કે, “ત્રણ લોકોને અન્યાયી રીતે સાત વર્ષ સુધી જામીન વગર જેલમાં રાખવામાં આવ્યા હતા. પોલીસે શરૂઆતથી તેવું માનીને તપાસ શરૂ કરી હતી કે, હત્યા RSSએ જ કરી છે અને આ લોકોને પકડીને પોતાની પ્રતિષ્ઠા બચાવવાનો પ્રયાસ કર્યો હતો. આરોપીનો પીડિત સાથે અગાઉ કોઈ સંબંધ નહોતો અને તે ઘટના જ્યાં બની હતી તે જગ્યાથી પણ તેઓ અજાણ હતા.”

    જ્યારે સરકારી વકીલ ટી શાજિથે આ લોકો વિરુદ્ધ ઘણી દલીલો આપી હતી. કોર્ટે બંને પક્ષોને ધ્યાનપૂર્વક સાંભળ્યા હતા અને ફરિયાદ પક્ષ હત્યાનો હેતુ સાબિત કરવામાં નિષ્ફળ ગયો હતો. આ પછી ન્યાયાધીશ કેકે બાલાકૃષ્ણને અજેશ, નીતિન કુમાર અને અખિલેશને નિર્દોષ જાહેર કરવાનો નિર્ણય સંભળાવ્યો. કોર્ટે કહ્યું કે, “સરળતાથી એ નિષ્કર્ષ પર પહોંચી શકાય તેમ છે કે તપાસ એકપક્ષીય હતી. જેથી આરોપીઓને શંકાનો લાભ આપી શકાય તેમ છે.” કોર્ટે એમ પણ કહ્યું કે, પ્રોસિક્યુશન કોઈ પણ રીતે આરોપી અને RSS વચ્ચેનો સંબંધ સ્થાપિત કરી શકવામાં નિષ્ફળ ગયું છે.

    - Advertisement -

    આ તમામ લોકો છેલ્લા સાત વર્ષથી જેલમાં હતા. તેમને ક્યારેય જામીન પણ આપવામાં આવ્યા નહોતા. જે વ્યક્તિની હત્યામાં આ લોકોને ફસાવવામાં આવ્યા હતા, તેનું નામ રિયાસ મૌલવી હતું. 34 વર્ષીય રિયાસ મૌલવી મૂળ કર્ણાટકના કોડાગુ જિલ્લાનો રહેવાસી હતો. આ સાથે જ તે કાસરગોડના ચૂરી વિસ્તારમાં સ્થિત મુહાયુદ્દીન જુમ્મા મસ્જિદનો મુઈજ્જિમ અને તેની સાથે સંકળાયેલા ઈસ્સાતુલ ઈસ્લામ મદરેસાનો મૌલવી હતો.

    શું બની હતી ઘટના?

    કેરળમાં વર્ષ 2017માં 20-21 માર્ચની રાત્રે કેટલાક બદમાશોએ મસ્જિદ પરિસરમાં ઘૂસીને રિયાસ મૌલવીનો દરવાજો ખટખટાવ્યો હતો. જ્યારે મૌલવીએ દરવાજો ખોલ્યો તો બદમાશોએ તેના પર છરાના ઉપરાછાપરી 14 ઘણા ઝીંકી દીધા હતા અને ત્યાંથી ભાગી ગયા હતા. તેવું પોલીસે જણાવ્યું હતું. જોકે, આ પાછળનો હેતુ પોલીસ જણાવી શકી નથી. જેના કારણે કાસરગોડમાં સાંપ્રદાયિક તણાવની સ્થિતિ સર્જાઈ હતી.

    કેરળમાં મૌલવીની હત્યા બાદ ઇન્ડિયન મુસ્લિમ લીગે 21 માર્ચ 2017ના રોજ હડતાલ બોલાવીને વહીવટીતંત્ર પર દબાણ લાવવાનો પ્રયાસ કર્યો હતો અને તે જ દિવસે DGPએ કન્નુર ક્રાઈમ બ્રાન્ચના SP એ શ્રીનિવાસના નેતૃત્વમાં એક SITની રચના કરી હતી. 24 માર્ચે પોલીસે RSSના 19 વર્ષના એસ નિતિન, 20 વર્ષના એસ અજેશ અને 25 વર્ષના એન અખિલેશની ધરપકડ કરી હતી.

    SITના વડા શ્રીનિવાસે ઓનમનોરમા ઓનલાઈનને જણાવ્યું હતું કે, ત્રણેય આરોપીઓની મૃતક સાથે પહેલાંથી કોઈ ઓળખાણ નહોતી અને ના તો તેઓ રિયાસ મૌલવીને જાણતા હતા. આ હત્યા સાંપ્રદાયિક ધૃણાથી પ્રેરિત હતી. તે સિવાય આમાં કોઈ અન્ય કારણ નહોતું. આરોપી પક્ષના અન્ય વકીલ ટી સુનીલ કુમારે જણાવ્યું હતું કે, ફરિયાદી પક્ષ માત્ર આરોપો સાબિત કરવામાં નિષ્ફળ ગયો હતો એટલું જ નહીં પરંતુ તેમના અસીલો સામે નકામા પુરાવા પણ રજૂ કર્યા હતા. તેમણે કહ્યું કે, રિયાસ મૌલવીને કમર પર છરી વડે 14 ઘા કરવામાં આવ્યા હતા. તેના માથા અને ખભા પર પણ ઘા હતા. ફરિયાદી પક્ષે મૌલવીની લૂંગી પુરાવા તરીકે રજૂ કરી હતી.

    તેમણે કહ્યું, “લુંગી પર છરીના 14 ઘાના નિશાન હતા. જો આપણે ફરિયાદી પક્ષનું માનીએ તો આપણે સ્વીકારવું પડશે કે, જ્યારે હુમલો થયો ત્યારે મૌલવી પોતાના ઉપર લૂંગી ઓઢીને સૂતો હતો. પરંતુ એકલા રહેતા રિયાસ મૌલવીએ બદમાશો માટે દરવાજો ખોલવો પડ્યો હતો. કારણ કે ઘરમાં કોઈ બળજબરીથી પ્રવેશ્યું નહોતું.

    આ કેસનો પહેલો સાક્ષી હાશિમ હતો. હાશિમ એકમાત્ર વ્યક્તિ હતો જે હત્યાની ઘટના અને ગુનેગારોને જોઈ શકતો હતો. વકીલ કુમારે કહ્યું, “હાશિમ મસ્જિદ પરિસરમાં રહ્યો હતો. ગુનાના સ્થળે પહોંચનાર તે પ્રથમ વ્યક્તિ હતો. તેણે રિયાસ મૌલવીને લોહીથી લથપથ જોયો હતો, પણ તેણે પણ ગુનાહિત ઘટના અને ગુનેગારોને નહોતા જોયા.”

    તેમણે કહ્યું કે, પોલીસે ત્રણ યુવકોને એટલા માટે ઉઠાવ્યા હતા. કારણ કે, તેમના મોબાઈલનું લોકેશન ચૂરીનું મળ્યું હતું. તેમણે ઉમેર્યું, “દુર્ભાગ્યે તે બધા મલ્લિકાર્જુન શિવ મંદિરમાં ઉત્સવોમાં હાજરી આપીને એકસાથે અથવા અલગથી ઘરે પરત ફરી રહ્યા હતા.” ફરિયાદી પક્ષે મોબાઈલ ટાવરના લોકેશનને પણ કોર્ટમાં મહત્વનો પુરાવો ગણાવ્યો હતો. આખરે કોર્ટે તેમને નિર્દોષ જાહેર કર્યા.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં