જમ્મુ-કાશ્મીરના પહલગામ ખાતે 22 એપ્રિલે થયેલા ભયંકર આતંકી હુમલામાં (Pahalgam Terrorist Attack) સુરતના શૈલેષ કળથિયા (Shailesh Kalathiya) (44)નું મૃત્યુ થયું હતું. આ હુમલામાં કુલ 28 લોકોના જીવ ગયા, જેમાંથી મોટાભાગના હિંદુ પ્રવાસીઓ હતા. શૈલેષના પરિવારે આ ઘટનાની આંખે જોયેલી વિગતો શેર કરી છે, જે રૂંવાડા ઉભા કરે છે. શૈલેષના પુત્ર નક્ષ અને પત્ની શીતલે આતંકીઓની નિર્દયતા વર્ણવી છે.
પહેલગામ હુમલાના મૃતક શૈલેષ કળથિયાના પુત્ર નક્ષે મીડિયા સાથે વાતચીતમાં કહ્યું કે, “કાશ્મીરતો બહુ સરસ છે, અમે પહલગામ ગયા હતા. ત્યાં ઘોડાથી જવાનું હોય છે. અમે ત્યાં ગયા બાદ 10-15 મિનિટમાં તે આતંકવાદીઓ આવી ગયા. જેથી અમે લોકો ભાગી ગયા અને સંતાઈ ગયા. આતંકવાદીઓએ અમને શોધી લીધા. અમને તો ટોટલ 2 જ આતંકવાદી જોવા મળ્યા હતા.”
#WATCH | Surat, Gujarat | Shailesh Kalthia, a native of Varachha area of Surat city, was killed in the Pahalgam terror attack on 22nd April.
— ANI (@ANI) April 24, 2025
His son, Naksh Kalthia, says, "We were at the 'mini Switzerland' point in Pahalgam, J&K. We heard gunshots… We hid once we realised… pic.twitter.com/t0tKrc5dtI
નક્ષે આગળ કહ્યું કે, “એકે કહ્યું કે મુસલમાન અલગ થઈ જાઓ અને હિંદુ અલગ થઈ જાઓ. પછી હિંદુ પુરુષોને બંદૂકથી ગોળી મારી દીધી અને પછી અચાનકથી તે જતા રહ્યા. પછી બધાએ કહ્યું કે, જે-જે બાળકો છે ભાગો નીચે. પછી અમે નીચે ભાગી ગયા. મમ્મી અને બહેને મને ઘોડા પર બેસાડી દીધો અને હું ઘોડાથી નીચે આવ્યો અને મમ્મી અને બહેન ચાલતા ઉતરીને નીચે આવ્યા હતા.”
નક્ષને ત્યાંની સ્થિતિ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું કે, “મને લાગ્યું કે આજે તો ગયા.. આતંકવાદીઓ કલામ-કલામ (કલમા) બોલી રહ્યા હતા. મુસલમાનોને તો તેમની ભાષા આવડતી જ હોય તેઓ 3 વખત કલમા બોલ્યા….અને જે હિંદુ હતા તેમણે શુટ કરી દીધા. અમે તો બે આતંકવાદી જોયા હતા. અમે લોકો 20-30 વ્યક્તિ હતા. આતંકવાદીઓ અને અમારી વચ્ચે 2-3 ફૂટનું જ અંતર હતું. અમે બધા ભગવાનને યાદ કરવા લાગ્યા હતા.”
આ મામલે શૈલેષના પત્ની શીતલ કળથિયાએ મીડિયા સાથે વાતચીત કરી હતી. તેમણે કહ્યું હતું કે, “ગોળીબારનો અવાજ સાંભળીને અમે છુપાઈ જવા દોડ્યા, પરંતુ આખો વિસ્તાર ઘેરાયેલો હતો, તેથી છુપાવવા માટે કોઈ જગ્યા નહોતી. અચાનક, એક આતંકવાદી અમારી સામે ઉભો રહ્યો… તેણે હિંદુઓને એક તરફ જવાનો આદેશ આપ્યો અને મુસ્લિમોને બીજી તરફ… જ્યારે આતંકવાદીએ દરેક વ્યક્તિને ‘કલામ’ (કલમા) કહ્યું ત્યારે મુસ્લિમોએ ‘મુસિલમીન’ કહીને જવાબ આપ્યો… પછી તેણે હિંદુઓને અલગ કર્યા અને બધાને ગોળી મારી દીધી…”
#WATCH | Surat, Gujarat | Shailesh Kalthia, a native of Varachha area of Surat city, was killed in the Pahalgam terror attack on 22 April.
— ANI (@ANI) April 24, 2025
His wife, Sheetal Kalthia, says, "… We ran to hide once we heard gunshots, but a boundary covered the whole area, so there was no place… pic.twitter.com/1K1Gj5MLvW
તેમણે આગળ કહ્યું કે, “તેની પાસે એક લાંબી બંદૂક હતી જેમાં કેમેરા જોડાયેલ હતો… તે ત્યાં ઊભો રહ્યો અને જે લોકોને ગોળી મારી હતી તેમની મરવાની રાહ જોતો રહ્યો… ગોળી મારીને તે હસી રહ્યા હતા…તેણે અમારી સામે 6-7 લોકોને ગોળી મારી. તેણે તેમને એટલી નજીકથી ગોળી મારી કે ગોળી લાગ્યા પછી તેઓ 2-3 મિનિટથી વધુ સમય સુધી બચી શક્યા નહીં… મારા પતિનું માથું મારા ખોળામાં હતું, અને હું કંઈ કરી શકી નહીં…હું મારા બાળકોને લઈને છૂપાઈ ગઈ હતી.”
શૈલેષ કળથિયા મુંબઈમાં સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયામાં નોકરી કરતા હતા. તે તેમનો 44મો જન્મદિવસ ઉજવવા પત્ની શીતલ, પુત્ર નક્ષ, પુત્રી અને પિતરાઈ ભાઈના ચાર બાળકો સાથે પહલગામ ગયા હતા. શૈલેષનો મૃતદેહ બુધવારે મોડી રાત્રે સુરત લાવવામાં આવ્યો હતો. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, સુરતના સાંસદ મુકેશ દલાલ અને અન્ય ભાજપ નેતાઓએ એરપોર્ટ પર તેમને શ્રદ્ધાંજલિ આપી હતી. 24 એપ્રિલની સવારે મોટા વરાછા ખાતે શૈલેષના કાકાના ઘરે અંતિમ સંસ્કારની વિધિ કરવામાં આવી હતી.