Saturday, May 4, 2024
More
    હોમપેજગુજરાત‘સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો સનાતન પરંપરાનો ભાગ’: સાળંગપુર મંદિર ટ્રસ્ટે બનાવી સંતોની સમિતિ,...

    ‘સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો સનાતન પરંપરાનો ભાગ’: સાળંગપુર મંદિર ટ્રસ્ટે બનાવી સંતોની સમિતિ, કહ્યું- હિંદુ ધર્મના હિતમાં નિર્ણય કરીને વિવાદનો અંત લાવીશું  

    મંદિરે સંત સમિતિની નિમણૂક કરી, કહ્યું- જલ્દીથી વિવાદનો ઉકેલ લાવીશું. આજે સંપ્રદાયના 50થી વધુ સંતોની બેઠક મળી હતી.

    - Advertisement -

    સાળંગપુર મંદિરે હનુમાનજીનાં વિવાદિત ભીંતચિત્રોને લઈને ચાલતા વિવાદનું નિરાકરણ હવે નજીક છે તેમ જણાઈ રહ્યું છે. આજે સાધુ-સંતોએ સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો સાથે બેઠક કરીને 2 દિવસમાં વિવાદનો ઉકેલ લાવવાની વાત કરી હતી તો બીજી તરફ સાંજે સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોની પણ બેઠક મળી. આ બેઠક બાદ કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર દ્વારા અખબારી યાદી જાહેર કરવામાં આવી છે. 

    આ મંદિર વડતાલ સ્વામિનારાયણ સંસ્થા સંચાલિત કરે છે. સંસ્થાએ પ્રેસ નોટમાં જણાવ્યું કે, સમસ્ત સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો સનાતન પરંપરાના એક ભાગ છે. આ વિવાદનો સુખદ ઉકેલ લાવવામાં આવે તેવી સૌએ પ્રાર્થના કરી છે અને સામાજિક, ધાર્મિક અને રાજકીય અગ્રણીઓ સાથે બેઠક કરીને એક સંત સમિતિની નિમણૂક કરવામાં આવી છે તેવી પણ જાહેરાત કરવામાં આવી છે. 

    આગળ જણાવવામાં આવ્યું કે, આ સમિતિ ચર્ચા-વિચારણા કરીને ટૂંક સમયમાં નિર્ણય લેશે અને જે સનાતન હિંદુ ધર્મના હિતમાં હશે. 

    - Advertisement -

    શું છે વિવાદ?

    આ વિવાદ લગભગ એક સપ્તાહ પહેલાં શરૂ થયો હતો, જ્યારે સોશિયલ મીડિયા પર સાળંગપુર સ્થિત હનુમાનજીની પ્રતિમા ‘કિંગ ઑફ સાળંગપુર’ની નીચે લગાવવામાં આવેલાં અમુક ભીંતચિત્રોના ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થઇ ગયા હતા. આ ફોટોગ્રાફ્સમાં હનુમાનજીને સ્વામિનારાયણ સંપ્રદાયોના સ્થાપક સહજાનંદ સ્વામીના કિશોરાવસ્થાના સ્વરૂપ નીલકંઠવર્ણીને પ્રણામ બતાવવામાં આવ્યા છે. સનાતનમાં આરાધ્ય દેવનું સ્થાન ધરાવતા હનુમાનજીના અપમાનથી ગુજરાતભરમાં રોષ ફાટી નીકળ્યો અને વિવાદ મોટો થયો હતો. 

    આ વિવાદમાં પછીથી સાધુ-સંતો પણ મેદાનમાં આવ્યા અને હનુમાનજીના અપમાન સામે અવાજ ઉઠાવ્યો હતો. બીજી તરફ સોશિયલ મીડિયા પર પણ ભારે ચર્ચાઓ ચાલી હતી. દરમ્યાન, રવિવારે વિવાદના ઉકેલના સંકેતો દેખાયા અને સાધુ-સંતોએ સ્વામિનારાયણ સંતો સાથે બંધબારણે કરેલી બેઠકમાં સ્વામિનારાયણ સંતોએ વિવાદના નિરાકરણ માટે 2 દિવસનો સમય માગ્યો હતો અને યોગ્ય નિર્ણયનું આશ્વાસન આપ્યું હતું. 

    ત્યારબાદ સ્વામિનારાયણ સંપ્રદાયના લગભગ 50 સંતોની એક બેઠક મળી અને જેમાં તેમણે વિવાદના સમાધાન માટે એક સમિતિ બનાવવાની ઘોષણા કરી હતી. આ સમિતિ હવે યોગ્ય નિર્ણય લેશે તેમ જણાવવામાં આવ્યું છે. એક તરફ ભીંતચિત્રોને હટાવવાની માંગ થઇ રહી છે ત્યારે આવનારા સમયમાં મંદિર શું નિર્ણય લે છે તેની ઉપર સૌની નજર ટકેલી છે. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં