Thursday, March 28, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટરવિન્દ્ર જાડેજાએ કન્યા કેળવણી માટે ઉપાડ્યું જબરદસ્ત પગલું: અહીં પણ કોંગ્રેસ...

    રવિન્દ્ર જાડેજાએ કન્યા કેળવણી માટે ઉપાડ્યું જબરદસ્ત પગલું: અહીં પણ કોંગ્રેસ સમર્થકોએ નફરત ફેલાવી અને આ સત્કાર્યની મજાક ઉડાવી

    ક્રિકેટર રવિન્દ્ર જાડેજાએ પોસ્ટ ઓફિસમાં 101 બાળકીઓના ખાતાંમાં 11-11 હજાર રૂપિયા જમા કરાવવાનું સત્કાર્ય તો કર્યું પરંતુ કેટલાક રાજકીય પક્ષના સમર્થકોએ આમાં પણ રાજકારણ જોયું.

    - Advertisement -

    ભારતીય ક્રિકેટ ટીમ માટે રમતા ક્રિકેટર રવિન્દ્ર જાડેજાએ ગઈકાલે સોશિયલ મીડિયા મારફતે કન્યા કેળવણી માટે સામાજિક કાર્ય અંગે અગત્યની જાહેરાત કરી હતી. તેમણે પુત્રી નિધ્યાનાબાના પાંચમા જન્મદિવસે જામનગર પોસ્ટ ઑફિસ ખાતે 101 દીકરીઓના સુકન્યા સમૃદ્ધિ ખાતા ખોલાવ્યાં હતાં. રવિન્દ્ર જાડેજા અને પત્ની રિવાબા જાડેજાએ આ દીકરીઓના ખાતામાં એક ખાતાદીઠ 11 હજાર રૂપિયા ડિપોઝીટ કરાવ્યા હતા. 

    રવિન્દ્ર જાડેજાએ આ જાહેરાત ટ્વિટર, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ મૂકીને કરી હતી. આ સાથે તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમજ રાજ્ય સરકારના મંત્રી દેવુસિંહ ચૌહાણનો પણ આભાર માન્યો હતો.

    જોકે, રવિન્દ્ર જાડેજાના આ ટ્વિટ બાદ અમુક યુઝરોએ આને નિવૃત્તિની જાહેરાત માની લીધી હતી. તેથી કેટલાક લોકો તેમને નિવૃત્તિ ન લેવાનું કહી રહ્યા હતા. બીજી તરફ, કેટલાક કોંગ્રેસ સમર્થકોએ જાડેજાની મશ્કરી કરી હતી અને આમાં પણ રાજકારણ ઘૂસાડી દીધું હતું. જોકે, ઘણા લોકોએ રવિન્દ્ર જાડેજા અને તેમની પત્નીના આ કાર્યને બિરદાવ્યું હતું.

    - Advertisement -

    એક યુઝરે જાડેજાના ટ્વિટ નીચે રિપ્લાય કરીને તેમને નિવૃત્તિ ન લેવા માટે અપીલ કરી હતી અને કહ્યું હતું કે તેઓ તેમને રમતા જોવા માંગે છે. જોકે, પછીથી અન્ય એક યુઝરે સ્પષ્ટતા કરી હતી. આવા અનેક ટ્વિટ જોવા મળ્યાં હતાં. 

    તો એક યુઝરે રવિન્દ્ર જાડેજાએ લખેલા લાંબા પેરેગ્રાફને લઈને કહ્યું કે કોઈ આટલો લાંબો પેરેગ્રાફ પોસ્ટ કરે તો સામાન્ય રીતે એવું જ લાગે છે કે નિવૃત્તિની જાહેરાત કરી હશે.

    આતિફ નામના એક યુઝરે રવિન્દ્ર જાડેજાને આની જાહેરાત કરવા પર પ્રશ્નો ઉભા કર્યા હતા અને કહ્યું કે સારી બાબત છે પણ તેની જાહેરાત કરવાની શું જરૂર છે? જોકે, પ્રજાના પૈસે અખબારોના પહેલા પાનાં પર મસમોટી જાહેરાતો આપતી સરકારો વિશે ઘણીવાર એક વર્ગ ચૂપ થઇ જતો હોય છે.

    તો મોહમ્મદ મહેબૂબ નામના એક યુઝરે રવિન્દ્ર જાડેજા પર રાજકારણ કરવાનો આરોપ લગાવી એમ પણ કહ્યું હતું કે તેમને પત્ની રિવાબા માટે ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપ તરફથી ટિકિટ જોઈતી હોવાના કારણે તેઓ આમ કરી રહ્યા છે. તો એક યુઝરે જાડેજા પર સત્કાર્ય કર્યું હોવા છતાં પણ ‘કેટલામાં વેચાયા?’ જેવા પ્રશ્નો કરીને અપમાનજનક ટિપ્પણી પણ કરી હતી. 

    ‘સ્માર્ટ બોય’ નામના એક યુઝરે તો રવિન્દ્ર જાડેજાને ભાજપમાં જોડાઈ જવા સુધીની સલાહ આપી દીધી હતી. અફરોઝ નામના એક યુઝરે જાડેજા પર ભાજપમાંથી વિધાનસભા ચૂંટણી લડવાની તૈયારી કરતા હોવાનો આરોપ લગાવ્યો હતો અને કટાક્ષ કરતા કહ્યું કે, બીજો વિકલ્પ હંમેશા ખુલ્લો રાખવો જોઈએ.

    જોકે, તે સિવાય બહુમતી યુઝરોએ રવિન્દ્ર જાડેજા અને તેમની પત્નીના આ નિર્ણયને આવકાર્યો હતો અને તેમની પ્રશંસા કરી હતી. યુઝરોએ કહ્યું કે જન્મદિવસે ખોટા ખર્ચ કરવા કરતાં સમાજને લાભ થાય તેવું કાર્ય કરીને જાડેજા દંપતીએ સમાજને નવી રાહ ચીંધી છે. તેમણે જાડેજાના કન્યા કેળવણી ક્ષેત્રે કરેલા આ કાર્યને ‘ઉત્કૃષ્ટ’ અને ‘બિરદાવવાલાયક’ ગણાવ્યું હતું. 

    જોકે, ડાબેરીઓ રવિન્દ્ર જાડેજા પર તૂટી પડ્યા હોય તેવો આ પ્રથમ કિસ્સો નથી. આ પહેલાં જાડેજાએ પોતાની સંસ્કૃતિ પર ગર્વ કરતો એક વિડીયો અપલોડ કર્યો હતો, જે બાદ લેફ્ટ લિબરલો દ્વારા તેમને નિશાન બનાવવામાં આવ્યા હતા.

    નોંધનીય છે કે સુકન્યા સમૃદ્ધિ યોજના વર્ષ 2015 માં ‘બેટી બચાઓ, બેટી પઢાઓ’ અભિયાન હેઠળ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા લૉન્ચ કરવામાં આવી હતી. આ યોજના હેઠળ દીકરીઓના અભ્યાસ માટે આકર્ષક વ્યાજદરો અને કરમાં પણ રાહત આપવામાં આવે છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં