ડાબેરી ઇતિહાસકારો કે લેખક-પત્રકારો કઈ રીતે ઐતિહાસિક તથ્યો સાથે છેડછાડ કરીને આત્મવિશ્વાસપૂર્વક રજૂ કરી શકે તેનું ઉદાહરણ રાજદીપ સરદેસાઈએ (Rajdeep Sardesai) ફરી એક વખત આપ્યું છે. તાજેતરમાં એક ચર્ચામાં તેમણે દાવો કર્યો કે છત્રપતિ શિવાજી મહારાજે (Chhatrapati Shivaji Maharaj) પશ્ચિમ બંગાળ પર હુમલો કર્યો હતો. કેન્દ્ર સરકારે NCERTનાં પાઠ્યપુસ્તકોમાં મુઘલ શાસકોની ક્રૂરતા ઉજાગર કરવા માટે અમુક ફેરફારો કર્યા બાદ ચાલતી ચર્ચામાં રાજદીપે આ વાત કહી હતી.
ચર્ચામાં રાજદીપ તરત મુઘલોની તરફદારી કરવા માટે છત્રપતિ શિવાજીને વચ્ચે લઈ આવ્યા અને ન માત્ર મુઘલોનો બચાવ કર્યો, પણ શિવાજી મહારાજને ડાકુઓ સાથે સરખાવીને દાવો કર્યો કે તેમની સેનાએ બંગાળ પર હુમલો કરીને તબાહી મચાવી હતી.
Rajeep @sardesairajdeep slanders Shivaji Maharaj.
— True Indology (@TrueIndology) July 19, 2025
He says "Shivaji raided Bengal. He didn't differentiate between Hindus and Muslims. He looted all people. Just like Mughals" (Timestamp 1.58).
FOOL,
Shivaji Maharaj never set his foot in Bengal. Neither did Shivaji's armies. pic.twitter.com/n3F1pelOT4
જોકે રાજદીપનું આ તૂત બહુ ચાલી શક્યું નહીં અને જેવો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો કે તરત લોકોએ વિરોધ કરવાનું શરૂ કરી દીધું. બીજી તરફ સત્ય પણ સામે આવવા માંડ્યું. ત્યારબાદ રાજદીપે એક ‘સુધારો’ કરવો પડ્યો. જેમાં કહ્યું કે, બંગાળ નહીં પણ છત્રપતિ શિવાજી મહારાજે સુરત પર હુમલો કર્યો હતો. પણ તેમ છતાં પત્રકારે પોતાની ભૂલ ન માની.
રાજદીપે ઇન્ડિયા ટુડેના શો ‘ડેમોક્રેટિક ન્યૂઝરૂમ’માં દાવો કર્યો હતો કે છત્રપતિ શિવાજી મહારાજે બંગાળ પર હુમલો કર્યો હતો અને તેમની સેનાએ લૂંટફાટ મચાવી હતી. સાથે તેમણે એવું દર્શાવવાનો પ્રયાસ કર્યો કે શિવાજી હોય કે મુઘલો, ક્રૂરતા બધાએ આચરી હતી. આમ કરીને બંનેને એક ત્રાજવે તોળવાનું કામ કર્યું.
આ ક્લિપ ફરતી થયા બાદ લોકોએ જ્યારે ખૂબ ટીકા કરી તો રાજદીપ સરદેસાઈએ સુધારો કરવા માટે એક નવી પોસ્ટ કરી, પણ તેમાં પણ ભૂલ ન સ્વીકારી.
‘કરેક્શન’ પોસ્ટમાં પત્રકારે લખ્યું કે, શિવાજી મહારાજે બંગાળ પર નહીં પરંતુ સુરત પર હુમલા કર્યા હતા, જે મુઘલોની તાકાત પરનો હુમલો હતો. તેમણે શિવાજી મહારાજને તેમના સમયના સૌથી શ્રેષ્ઠ શાસક પણ ગણાવ્યા. અન્ય પણ પ્રશંસા કરી પરંતુ જૂઠાણું ચલાવવા માટે સીધી રીતે કોઈ માફી ન માંગી.
સત્ય શું છે?
ઐતિહાસિક દસ્તાવેજો અનુસાર, છત્રપતિ શિવાજી મહારાજે ક્યારેય પણ બંગાળ પર હુમલો કર્યો ન હતો. તેમની સેના મોટેભાગે દક્ષિણ અને પશ્ચિમ ભારતમાં મુઘલો અને અન્ય સલ્તનતો સામે લડવામાં વધુ સક્રિય રહી. શિવાજી મહારાજની સેના લડતી તોપણ, તેઓ શૂરવીરતા ઉપરાંત યુદ્ધના નિયમોના પાલન માટે પણ જાણીતા હતા. ખાસ કરીને મહિલાઓના આત્મસન્માનની તેમણે રક્ષા કરી હતી.
મુઘલોની ક્રૂરતા
વર્ષો સુધી આ વાતો પર વામપંથી ઇતિહાસકારો અને પત્રકારો પડદો નાખતા રહ્યા, પરંતુ હવે વાસ્તવિકતાઓ ધીમેધીમે બહાર આવી રહી છે. મુઘલોએ ભારતમાં હુમલાઓ કર્યા અને સત્તા મેળવી. હિંદુઓને વિઘટિત કરવા માટે મંદિરો તોડવામાં આવ્યાં, નરસંહાર થયા, બળજબરીથી ધર્માંતરણ કરાવવામાં આવ્યાં. હિંદુઓ પર ભારેભરખમ કર લાદવામાં આવ્યા, ઇસ્લામ ન અપનાવ્યો તેમને યાતનાઓ આપવામાં આવી હતી.
બીજી તરફ શિવાજી મહારાજ પ્રજા માટે લડ્યા હતા. તેમનો સંકલ્પ હતો હિંદવી સ્વરાજ્ય. તેઓ ધર્મ માટે લડ્યા હતા. ક્યારેય પણ શિવાજી મહારાજ અને મુઘલો વચ્ચે સરખામણી ન થઈ શકે.
તેમ છતાં રાજદીપ જેવા પત્રકારો ઇતિહાસને એ રીતે રજૂ કરતા આવ્યા છે, અને એ પણ એટલા આત્મવિશ્વાસથી, કે તથ્યો સીધાં બદલાઈ જાય છે. વારંવાર એક જ વાત જુદા-જુદા સ્રોત તરફથી આવવા માંડે એટલે પહેલાં તેની ચર્ચા ચાલે છે અને પછી એક વ્યવસ્થિત નરેટિવ બનાવવામાં આવે છે, જેને પછીથી તરતો મૂકી દેવામાં આવે છે. ઇતિહાસની ઘણી બાબતો આ રીતે તોડીમરોડીને રજૂ કરવામાં આવી છે.


