Sunday, May 5, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટવડાપ્રધાન પદે નરેન્દ્ર મોદી જ લોકોની પહેલી પસંદ, માત્ર 9 ટકા લોકોએ...

    વડાપ્રધાન પદે નરેન્દ્ર મોદી જ લોકોની પહેલી પસંદ, માત્ર 9 ટકા લોકોએ રાહુલ ગાંધી પર પસંદગી ઉતારી: આજે ચૂંટણી થાય તો ફરી બનશે એનડીએ સરકાર

    આઠ વર્ષે પણ પીએમ મોદીની લોકપ્રિયતા એટલી જ રહી છે અને આજે પણ બહુમતી લોકો માને છે કે તેઓ જ દેશનું નેતૃત્વ કરે.

    - Advertisement -

    વડાપ્રધાન નરેન્દ્ર મોદી છેલ્લાં 8 વર્ષથી સત્તા પર છે, પરંતુ હજુ પણ વડાપ્રધાન પદે તેઓ દેશના લોકોની પહેલી પસંદ છે. આજે પણ 53 ટકા લોકો ઈચ્છે છે કે નરેન્દ્ર મોદી જ 2024માં ફરીથી વડાપ્રધાન બને. આ બાબત એક સરવેમાં સામે આવી છે. તેમજ સરવેમાં એ પણ જાણવા મળ્યું છે કે જો આજે લોકસભા ચૂંટણી થાય તો ભાજપના નેતૃત્વમાં એનડીએની જ સરકાર બનશે. 

    ઇન્ડિયા ટૂડે અને સી વોટર દ્વારા હાથ ધરવામાં આવેલા ‘મૂડ ઑફ ધ નેશન’ સરવેમાં આ વિગતો સામે આવી છે. જેમાં 53 ટકા લોકોએ કહ્યું છે કે તેઓ દેશમાં આગામી વડાપ્રધાન તરીકે પણ નરેન્દ્ર મોદીને જ જોવા માંગે છે. જ્યારે રાહુલ ગાંધી પર 9 ટકા લોકોએ પસંદગી ઉતારી છે. 7 ટકા લોકો એવા છે જેઓ ઈચ્છે છે કે અરવિંદ કેજરીવાલ પીએમ બને. 

    સરવે અનુસાર, જો આજે લોકસભા ચૂંટણી યોજવામાં આવે તો ભાજપના નેતૃત્વમાં એનડીએને કુલ 543માંથી 307 બેઠકો મળે, જ્યારે યુપીએને 125 બેઠકો મળે. તેમજ અન્ય પાર્ટીઓને બાકીની 111 બેઠકો મળે. જોકે, બિહારમાં નીતીશ કુમારે પલટી મારીને ભાજપ સાથેનું ગઠબંધન તોડી નાંખ્યા બાદ ત્યાં એનડીએને નુકસાન થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આ સંજોગોમાં ભાજપને 21 બેઠકોનું નુકસાન થઇ શકે તેમ જણાવવામાં આવ્યું છે. 

    - Advertisement -

    આ ઉપરાંત, વિપક્ષ તરીકે કોંગ્રેસના પ્રદર્શનને લઈને 40 ટકા લોકોએ કહ્યું છે કે, પાર્ટી વિપક્ષની ભૂમિકામાં સારું પ્રદર્શન કરી રહી છે, જ્યારે 34 ટકા લોકોનું માનવું છે કે કોંગ્રેસ વિપક્ષ તરીકે નિષ્ફ્ળ ગઈ છે અને પ્રદર્શન નબળું રહ્યું છે. 

    સરવેમાં સામે આવ્યું છે કે, 23 ટકા લોકો માને છે કે કોંગ્રેસને ફરી બેઠી કરવા માટે રાહુલ ગાંધી જ શ્રેષ્ઠ છે. જ્યારે 16 ટકાએ આ માટે મનમોહન સિંઘ પર પસંદગી ઉતારી છે તો 14 ટકા લોકો આ માટે સચિન પાયલટને યોગ્ય નેતા માને છે. 9 ટકા લોકો એવા પણ છે જેઓ માને છે કે પ્રિયંકા ગાંધી કોંગ્રેસને ફરી બેઠી કરી શકશે. 

    આ સરવે ઇન્ડિયા ટૂડે અને સી-વોટર દ્વારા સાથે મળીને ફેબ્રુઆરી 2022 થી ઓગસ્ટ 2022 દરમિયાન કરવામાં આવ્યો હતો. જેમાં દેશની જનતાનો મૂડ જાણવા માટે 1,22,016 લોકોના અભિપ્રાય લેવામાં આવ્યા હતા. 

    પીએમ મોદી 21 વર્ષથી રાજકારણમાં સક્રિય છે અને છેલ્લાં 8 વર્ષથી વડાપ્રધાન છે. જોકે, 2019માં લોકોએ ફરીથી જંગી બહુમતીએ વિજયી બનાવ્યા બાદ હજુ પણ બહુમતી લોકો ઈચ્છે છે કે 2024માં પણ તેઓ જ દેશનું નેતૃત્વ કરે. એટલું જ નહીં, પરંતુ એનડીએની સરકારને પણ લોકોએ સમર્થન આપ્યું છે. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં