Friday, May 17, 2024
More
    હોમપેજગુજરાત‘મારા માટે જામસાહેબની પાઘડી મોટો પ્રસાદ છે’: જામનગરના મહારાજાને મળ્યા પીએમ મોદી,...

    ‘મારા માટે જામસાહેબની પાઘડી મોટો પ્રસાદ છે’: જામનગરના મહારાજાને મળ્યા પીએમ મોદી, કહ્યું- તેઓ વિજય ભવ: કહે એટલે વિજય નિશ્ચિત જ હોય

    જામસાહેબે પ્રેમથી મને પાઘડી પહેરાવી અને આશીર્વાદ આપ્યા અને જ્યારે જામસાહેબ વિજયી ભવ કહે છે, ત્યારે વિજય નિશ્ચિત થઈ જાય છે: પીએમ મોદી

    - Advertisement -

    વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકસભા ચૂંટણીના પ્રચાર માટે ગુજરાત પ્રવાસે આવ્યા છે. ગુરુવારે (2 મે) તેમણે ચાર ઠેકાણે જાહેરસભાઓ યોજી હતી. આણંદ, વઢવાણ અને જૂનાગઢમાં જનસભાઓ સંબોધ્યા બાદ તેઓ જામનગર પહોંચ્યા, જ્યાં વિશાળ જનસભા સંબોધી હતી. તે પહેલાં તેમણે જામસાહેબ શત્રુશલ્યસિંહ જાડેજા સાથે પણ મુલાકાત કરી. 

    પીએમ મોદી જામનગર એરપોર્ટથી સીધા જામસાહેબને મળવા માટે પહોંચ્યા હતા. જ્યાં જામસાહેબે તેમને ખાસ પાઘડી પણ પહેરાવી. સોશિયલ મીડિયા પર તસવીરો સામે આવી છે, જેમાં બંને વ્યક્તિઓ એકબીજાનું અભિવાદન કરતા અને વાતચીત કરતા નજરે પડે છે.  

    વડાપ્રધાને પોતાના સંબોધનમાં પણ આ મુલાકાતનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું, “હું આવતી વખતે જામસાહેબના દર્શન કરવા ગયો હતો. મારું સૌભાગ્ય છે કે મારા ઉપર તેમનો ખૂબ અનન્ય પ્રેમ રહ્યો છે. જામસાહેબ પઘડી પહેરાવે પછી કંઈ બાકી જ ન રહે. મારા માટે જામસાહેબની પાઘડી મોટો પ્રસાદ છે.” 

    - Advertisement -

    તેમણે કહ્યું કે, “જામસાહેબે પ્રેમથી મને પાઘડી પહેરાવી અને આશીર્વાદ આપ્યા અને જ્યારે જામસાહેબ વિજયી ભવ કહે છે, ત્યારે વિજય નિશ્ચિત થઈ જાય છે.” તેમણે અખંડ ભારત માટે પેઢીઓનું રાજપાટ આપી દેનારા રાજા-મહારાજાઓને યાદ કર્યા અને કહ્યું કે, સ્વતંત્રતા બાદ તેમના યોગદાનને નકારી દેવામાં આવ્યું અને આજે પણ શાહજાદા જે ભાષા બોલે છે તે આ દેશ સ્વીકારી ન શકે.

    ભાષણમાં તેમણે ક્ષત્રિય સમાજના અગ્રણીઓનો પણ ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે, “હું સીએમ હતો ભૂચર મારીના યુદ્ધના કોઇ વિષયને લઇને આગેવાનો મને નિમંત્રણ આપવા આવ્યા હતા અને કહ્યું હતું કે અમને ખબર છે કે તમે નહીં આવો, પરંતુ અમારું કર્તવ્ય છે. મેં પૂછ્યું ત્યારે કહ્યું હતું કે એવી માન્યતા છે કે જ્યાં આટલા વીરો શહીદ થયા ત્યાં જવાથી મુખ્યમંત્રી પોતાનું પદ ગુમાવી દે છે.” તેમણે આગળ ઉમેર્યું કે, “મેં કહ્યું કે મારા ક્ષત્રિય સમાજના બલિદાન સામે મારા મુખ્યમંત્રી પદની કોઇ કિંમત નથી. અને હું આવ્યો અને ઠાઠથી કાર્યક્રમને વધાવ્યો પણ ખરો અને વધાર્યો પણ ખરો.”

    અહીં નોંધવું જોઈએ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જામનગરના જામસાહેબ વચ્ચેના નિકટભર્યા સંબંધો વિશે હવે ગુજરાતમાં કોઇ અજાણ નથી. મુખ્યમંત્રી હતા ત્યારે પણ નરેન્દ્ર મોદી કાયમ તેમના સંપર્કમાં રહેતા હતા. વડાપ્રધાન બન્યા બાદ પણ જામનગરની મુલાકાત વખતે પીએમ મોદી જામસાહેબને મળવા અચૂક જાય છે. 

    તાજેતરમાં પરષોત્તમ રૂપાલા વિવાદમાં જ્યારે ક્ષત્રિય સંકલન સમિતિએ આંદોલન ઉપાડ્યું ત્યારે પણ જામસાહેબે એક પત્ર જાહેર કરીને રૂપાલાને માફી આપીને રાષ્ટ્રહિતમાં પીએમ મોદીને સમર્થન આપવા માટે અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, “આ ચૂંટણી શ્રી નરેન્દ્ર મોદીજીને ત્રીજી વખત વડાપ્રધાન બનાવવાની ચૂંટણી છે. ગુજરાતના શ્રી નરેન્દ્ર મોદીએ દેશને ખૂબ આગળ વધાર્યો છે અને સમૃદ્ધ અને સુરક્ષિત કર્યો છે. આપણાં ધર્મ અને સંસ્કૃતિનું વિશ્વમાં માન વધાર્યું છે. આ ધ્યાને લઈને આપણે આગળ વધવું જોઈએ.”

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં