Sunday, May 5, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટઆતંકી સંગઠન PFI સંબંધિત ફુલવારી શરીફ કેસમાં NIA દ્વારા મહત્વની કાર્યવાહી: બિહાર,...

    આતંકી સંગઠન PFI સંબંધિત ફુલવારી શરીફ કેસમાં NIA દ્વારા મહત્વની કાર્યવાહી: બિહાર, કેરળ અને કર્ણાટકમાં કુલ 25 સ્થળોએ પાડ્યા દરોડા

    આ કેસમાં પહેલાં પણ NIAની ટીમ વિવિધ સ્થળોએ દરોડા પાડી ચૂકી છે. તાજેતરમાં આ મામલે છ લોકોની ધરપકડ કરવામાં આવી હતી અને તપાસ દરમિયાન તેમની પાસેથી પીએફઆઈ સંબંધિત વાંધાજનક લેખ અને દસ્તાવેજ જપ્ત કરવામાં આવ્યા હતા.

    - Advertisement -

    નેશનલ ઇન્વેસ્ટીગેશન એજન્સી (NIA)એ બુધવારે (31 મે, 2023) પ્રતિબંધિત ઇસ્લામિક સંગઠન PFI સંબંધિત ફુલવારી શરીફ કેસમાં દેશભરમાં 25 સ્થળોએ દરોડા પાડ્યા છે. બિહારના ફુલવારી શરીફ વિસ્તારમાં આતંકી સંગઠનના એક શંકાસ્પદ ટેરર મોડ્યુલ સામે તપાસના ભાગરૂપે એજન્સીએ બિહાર, કેરળ અને કર્ણાટકમાં પીએફઆઈ સંબંધિત સ્થળોએ દરોડા પાડ્યા હતા.

    PFI સંબંધિત ફુલવારી શરીફ કેસમાં NIA દ્વારા કર્ણાટકમાં હાલ 16 જગ્યાએ દરોડા પાડવામાં આવી રહ્યા છે, જેમાં દક્ષિણ કન્નડના કેટલાક જિલ્લાઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, એજન્સી બિહારના કટિહારના હસનગંજ પોલીસ સ્ટેશન વિસ્તારના યુસુફ ટોલામાં PFI નેતા મોહમ્મદ નદવીના સંબંધી પાસે પહોંચી છે.

    આ કેસમાં પહેલાં પણ NIAની ટીમ વિવિધ સ્થળોએ દરોડા પાડી ચૂકી છે. તાજેતરમાં આ મામલે છ લોકોની ધરપકડ કરવામાં આવી હતી અને તપાસ દરમિયાન તેમની પાસેથી પીએફઆઈ સંબંધિત વાંધાજનક લેખ અને દસ્તાવેજ જપ્ત કરવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, બિહારના પટના જિલ્લાના ફુલવારી શરીફ વિસ્તારમાં પીએફઆઈનું ટેરર મોડ્યુલ સામે આવ્યા બાદ કેસની તપાસ NIAને સોંપવામાં આવી હતી.

    - Advertisement -

    11 જુલાઈ 2022ના રોજ પટના પોલીસે ફુલવારી શરીફમાં એડીપીઆઈ અને પીએફઆઈના કાર્યાલયે દરોડા પાડ્યા હતા. જ્યાંથી ઝારખંડ પોલીસના રિટાયર્ડ પોલીસકર્મી જલાલુદ્દીન અને અન્ય એક શખ્સ અતહરને પકડવામાં આવ્યો હતો. શરૂઆતમાં એવી વિગતો બહાર આવી હતી કે પીએમના કાર્યક્રમ દરમિયાન હુમલો કરવાનું ષડ્યંત્ર રચવામાં આવી રહ્યું હતું, પરંતુ પછીથી સમગ્ર ષડ્યંત્રનો પર્દાફાશ થયો હતો.

    આ કેસ ફુલવારી શરીફ પોલીસ સ્ટેશનમાં ગયા વર્ષે 12 જુલાઈ 2022ના રોજ નોંધવામાં આવ્યો હતો, જેને કેન્દ્રીય ગૃહ મંત્રાલયે નેશનલ ઇન્વેસ્ટીગેશન એજન્સીને સોંપ્યો હતો.

    એજન્સીએ ફેબ્રુઆરીમાં બિહારના મોતિહારીમાં આઠ સ્થળોએ પાડ્યા હતા દરોડા

    ઉલ્લેખનીય છે કે, ગત ફેબ્રુઆરીમાં NIAએ બિહારના મોતિહારીમાં આઠ સ્થળોએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું અને બે લોકોની ધરપકડ કરી હતી, જેમણે પીએમની હત્યાને અંજામ આપવા માટે હથિયાર અને દારૂગોળાની વ્યવસ્થા કરી હતી. આરોપીઓની ઓળખ તનવીર રઝા ઉર્ફે બરકતી અને મોહમ્મદ આબિદ ઉર્ફે આર્યન તરીકે થઈ હતી. એજન્સીએ કહ્યું હતું કે, આરોપીઓએ કાવતરાને અંજામ આપવા માટે રેકી કરી હતી અને હથિયાર અને દારૂગોળો પીએફઆઈ ટ્રેનર યાકુબને સોંપ્યા હતા, જે પીએફઆઈ કેડરોને તાલીમ આપતો હતો.

    સપ્ટેમ્બર 2022માં પીએફઆઈ પર મૂકવામાં આવ્યો હતો પ્રતિબંધ

    ઉલ્લેખનીય છે કે, કેન્દ્રીય ગૃહ મંત્રાલયે સપ્ટેમ્બર 2022માં આતંકવાદી જૂથો સાથેના જોડાણને કારણે પીએફઆઈ અને તેના સહયોગીઓ પર પાંચ વર્ષ માટે પ્રતિબંધ લગાવી દીધો હતો. પીએફઆઈ પર સાંપ્રદાયિક સૌહાર્દને ખલેલ પહોંચાડવા ષડ્યંત્ર રચવાનો આરોપ છે.

    NIAએ ગયા વર્ષે દેશના જુદા-જુદા ભાગોમાંથી PFI સાથે જોડાયેલા લગભગ 350 લોકોની ધરપકડ કરી હતી. કેન્દ્રીય તપાસ એજન્સીઓને આતંકી સંગઠન વિરુદ્ધ પૂરતા પુરાવા મળ્યા હતા, જેના આધારે પ્રતિબંધ લગાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં