ઉત્તર પ્રદેશના (Uttar Pradesh) બાગપતમાં (Baghpat) બકરીદ (Bakrid) પહેલાં 650 બકરાઓને (Goats) નવું જીવન મળ્યું છે. જાણવા મળી રહ્યું છે કે, બકરીદ પર કુરબાની માટે વેચવા લવાયેલા 600થી વધુ બકરાઓને જૈન સમાજના જીવદયા સંગઠનોએ વધુ કિંમત આપીને ખરીદી લીધા છે. વધુમાં તે તમામ બકરાઓને અમીનગરની ‘બકરશાળા’માં લઈ જવામાં આવ્યા છે. ગૌશાળાની જેમ જૈન સમાજે બકરશાળા બનાવી છે, જેથી કરીને બકરીદ પર બકરાઓને કાપતા બચાવી શકાય. જૈન સમાજના કાર્યકર્તાઓએ કહ્યું છે કે, તેઓ શક્ય હશે ત્યાં સુધી કોઈપણ બકરાની કુરબાની આપવા નહીં દે.
સંસ્થાના એક સભ્ય દિનેશ જૈને મીડિયાને વાતચીતમાં જણાવ્યું હતું કે, હમણાં સુધીમાં તેમણે 2000થી વધુ બકરાઓને કુરબાનીથી બચાવ્યા છે. તેમણે એવું પણ કહ્યું કે, દેશના ખૂણે-ખૂણેથી બકરાઓને ખરીદવામાં આવે છે અને તેમને બકરશાળા લાવવામાં આવે છે. જેથી કરીને બકરાઓને સારી રીતે પાળી શકાય અને કુરબાનીથી તેમને બચાવી શકાય. વધુમાં તેમણે જણાવ્યું કે, કિંમત ગમે તે હોય, બસ બકરાના જીવ બચી જવા જોઈએ. સાથે તેમણે ઉમેર્યું કે, એક જૈન સંતની પ્રેરણા બાદ આ પ્રકારનું અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું.
दिनांक 6 जून 2025, शुक्रवार को जीव दया संस्थान बकरा शाला, अमीनगर सराय का यह मनोरम दृश्य जीव दया के अद्भुत उदाहरण को दर्शाता है।
— Manoj Kumar Jain (@immanojjain) June 6, 2025
पूज्य आचार्य श्री विद्यासागर जी महाराज के पावन आशीर्वाद एवं मार्गदर्शन से स्थापित इस बकरा शाला में वे सभी बकरे लाए गए हैं, जिन्हें बलि से बचाया गया।… pic.twitter.com/QaCzG7q4J5
જીવદયા સંસ્થાના અધ્યક્ષ મનોજ જૈન, સંરક્ષક સત્યભૂષણ જૈન, મહામંત્રી મનોજ જૈને જણાવ્યું કે, દર વર્ષે બકરીદ પહેલાં દેશભરમાં રહેતા જૈન સમાજના લોકો અલગ-અલગ સ્થળો પર જઈને બકરાઓને ખરીદીને કુરબાનીથી બચાવે છે. આ તમામ બકરાઓને બકરશાળામાં રાખવામાં આવ્યા છે. સાથે તેમણે એવું પણ કહ્યું છે કે, દિલ્હીથી પણ 101 બકરાઓના જીવ બચાવીને બકરશાળામાં લાવવામાં આવ્યા હતા.
જૈન સંતે આપી પ્રેરણા અને શરૂ થયું અભિયાન
બકરશાળાના મેનેજર સચિન જૈને મીડિયાને જણાવ્યું છે કે, લગભગ 10 વર્ષ પહેલાં તેમના ઘર પર જૈન સંત પધાર્યા હતા. તેમણે વિસ્તારના લોકોને પ્રેરણા આપી હતી અને કહ્યું હતું કે, બકરાઓને પણ કુદરતી મૃત્યુ મળવું જોઈએ. તેમણે ઈચ્છા વ્યક્ત કરતા કહ્યું હતું કે, આપણી પરંપરામાં ગૌશાળા ખૂબ છે, પરંતુ બકરશાળા એક પણ નથી. આ કારણે તેમણે બકરશાળા શરૂ કરવાની પ્રેરણા આપી હતી. સચિને જણાવ્યું કે, ધીમે-ધીમે લોકોના સહયોગથી આ અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી.
વધુમાં સચિને જણાવ્યું કે, શરૂઆતમાં 800 ગજની જમીન પર બકરશાળા શરૂ કરવામાં આવી હતી. પરંતુ બાદમાં લોકોએ સહયોગ આપ્યો અને હવે વધુ 5000 વર્ગ ફૂટની નવી જમીન ખરીદવામાં આવી છે. બકરશાળામાં ડૉક્ટરની વ્યવસ્થા પણ છે. રાજસ્થાનથી બકરાઓ માટે ચારો મંગાવવામાં આવે છે. આ સાથે જ કેટલાક સ્થાનિક લોકોને પણ હાયર કરવામાં આવ્યા છે, જે બકરાઓને સુરક્ષિત રીતે ચરાવવા માટે લઈ જાય છે. તેમણે કહ્યું કે, બકરાઓને બાળકોની જેમ પાળવામાં આવે છે. તેમને સવારે સ્નાન કરાવવામાં આવે છે, ડેટોલથી મોં સાફ કરવામાં આવે છે નિયમિત ચેકઅપ પણ કરવામાં આવે છે.
સંસ્થાના ડૉક્ટર શશિકાંતે જણાવ્યું છે કે, ભગવાન મહાવીર સ્વામીનો સંદેશ છે કે, જીવો અને જીવવા દો. તેમની પ્રેરણાથી આ સંસ્થા ખોલવામાં આવી છે. આ સંસ્થા બકરાઓને બાળકોની જેમ સાચવીને તેમની સંભાળ રાખે છે. બીમાર બકરાઓને સમયે-સમયે સારવાર પણ આપવામાં આવે છે. તેમણે કહ્યું કે, એક તરફ બકરાઓની કુરબાની આપવામાં આવી રહી છે અને બીજી તરફ જીવદયા સંગઠનો બકરાઓને જીવનદાન આપવાનું કામ કરી રહ્યા છે.