Sunday, May 5, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટમહારાષ્ટ્ર બસ અકસ્માત: ડ્રાઈવર દાનિશ શેખની અટકાયત, IPC અને મોટર વેહિકલ એક્ટની...

    મહારાષ્ટ્ર બસ અકસ્માત: ડ્રાઈવર દાનિશ શેખની અટકાયત, IPC અને મોટર વેહિકલ એક્ટની કલમો હેઠળ કેસ દાખલ; અકસ્માતમાં 26 લોકોનાં થયાં હતાં મોત

    માત્ર દાનિશ શેખ જ બસનું ટાયર ફાટવાના કારણે અકસ્માત થયો હોવાની વાત કરી રહ્યો છે. તેવામાં પૂર્ણ તપાસ થયા બાદ જ સામે આવી શકશે કે આ દાવામાં વાસ્તવિકતા છે કે મામલો કઈક બીજો છે.

    - Advertisement -

    મહારાષ્ટ્રમાં ભયાનક બસ અકસ્માત બાદ મહારાષ્ટ્ર પોલીસે ડ્રાઈવર દાનિશ શેખ સામે IPCની કલમ 304 (બેદરકારીના લીધે મૃત્યુ) અને મોટર વેહિકલ એક્ટની કલમ 279, 184 અને 134 હેઠળ ગુનો દાખલ કરીને તેની અટકાયત કરી છે. આ ઉપરાંત, કંડક્ટર અરવિંદ જગતાપને પણ હિરાસતમાં લેવામાં આવ્યો છે. આ અકસ્માતમાં 26 લોકોનાં મોત થયાં હતાં.

    મહારાષ્ટ્રના બુલઢાણા બસ અકસ્માત પર મંત્રી ગીરીશ મહાજને જણાવ્યું હતું કે બસના ચાલક અને કંડકટરની અટકાયત કરી લેવામાં આવી છે. તેમણે જણાવ્યું હતું કે, “બસના ડ્રાઈવર અને કંડકટરને એક ઉઝરડો પણ નથી આવ્યો. કહેવામાં આવી રહ્યું છે કે ડ્રાઈવરને ઊંઘનું ઝોકું આવી જતાં આ અકસ્માત સર્જાયો હતો. ડ્રાઈવરનું કહેવું છે કે ટાયર ફાટી ગયું હતું, પણ વાસ્તવિકતા શું હતી તે જોવું પડશે.”

    તેમણે જણાવ્યું કે મુખ્યમંત્રી એકનાથ શિંદે અને ઉપમુખ્યમંત્રી દેવેન્દ્ર ફાડણવીસ ઘટના સ્થળે જવાના છે. તદુપરાંત મૃતદેહો એ હદે સળગી ગયા છે કે તેમની ઓળખ કરવી અઘરી બની ગઈ છે. હાલ ફોરેન્સિક ટીમ મૃતદેહો ઓળખી કાઢવા કામગીરી કરી રહી છે તેમ મહાજને જણાવ્યું હતું. તો બીજી તરફ અકસ્માતમાં બચી ગયેલા વીરેન્દ્ર ડારનાનું કહેવું છે કે, “આ અમારા પરિવારની જ બસ છે, અમે આ બસ 2020માં લીધી હતી. લોકડાઉનમાં બસ સદંતર બંધ જ રહી હતી, બસ હજુ નવી નક્કોર જ છે અને તેના બધા કાગળો પણ બરાબર છે.”

    - Advertisement -

    ડ્રાઈવર દાનિશને લઈને તેમણે જણાવ્યું હતું કે, “તે અનુભવી ડ્રાઈવર છે, તેના કહેવા મુજબ ટાયર ફાટી ગયું અને બસ ડિવાઈડર સાથે અથડાઈ ગઈ. યાત્રામાં જે સહુથી વધુ જ્વલનશીલ પદાર્થમાં…ફેવિકોલ હોય છે, પ્લાઈ, ફોમ તેમજ 300-400 લીટર ડિઝલ પણ હોય છે. જેના કારણે તેમાં આગ લાગી ગઈ હશે તેવું અમને લાગી રહ્યું છે. અમારી સૂચિ મુજબ બસમાં કુલ 27 યાત્રીઓ હતા.”

    મહારાષ્ટ્રના બુલઢાણા બસ અકસ્માત વખતે આબાદ બચેલા યાત્રી લોકેશ રામદાસ ગવઈએ જણાવ્યું કે, “હું નાગપુર અને ઔરંગાબાદ જવા માટે વિદર્ભ ટ્રાવેલ્સમાં બેઠો હતો. સમૃદ્ધિ પહોંચતાં જ ગાડીનો અકસ્માત થઈ ગયો અને પલટી ખાતાંની સાથે જ તેમાં આગ લાગી ગઈ. ત્યાર બાદ અમે 4-5 જણા કાંચ તોડીને બહાર આવી ગયા, મેં એક છોકરાને પણ ખેંચી લીધો. જેવા અમે નીચે કુદ્યા, બસમાં વિસ્ફોટ થઈ ગયો.

    માત્ર દાનિશ શેખ જ બસનું ટાયર ફાટવાના કારણે અકસ્માત થયો હોવાની વાત કરી રહ્યો છે. તેવામાં પૂર્ણ તપાસ થયા બાદ જ સામે આવી શકશે કે આ દાવામાં વાસ્તવિકતા છે કે મામલો કઈક બીજો છે. બસમાં આગ લાગ્યા બાદ તેના તમામ ટાયરો સળગી ચૂક્યા છે. તેવામાં દાવાની પુષ્ટિ કરવી ખૂબ અઘરી છે.

    ઉલ્લેખનીય છે કે આ ઘટનામાં 3 બાળકો સહિત 26 લોકો આગ લાગવાના કારણે મૃત્યુ પામ્યા હતા, તમામ મૃતદેહોના DNA ટેસ્ટ કરવા માટે બુલઢાણા સરકારી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા છે. તો બીજી તરફ 33 લોકોમાંથી 5 યાત્રીઓ ઘાયલ થયા છે, જેમની સારવાર ચાલી રહી છે. બાકીના 2 સપૂર્ણ સુરક્ષિત છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં