22 એપ્રિલ, 2025ના (મંગળવાર) દિવસે જમ્મુ-કાશ્મીરના પહલગામમાં ફરવા માટે આવેલા પ્રવાસીઓ પર ઇસ્લામી આતંકવાદીઓએ ઘાતકી હુમલો કરી દીધો અને સ્થળ પર આવેલા પ્રવાસીઓમાંથી હિંદુઓને નામ પૂછીને, ધર્મ પૂછીને અલગ તારવીને મારી નાખવામાં આવ્યા. તેમના પરિજનોને છોડીને કહ્યું કે જઈને મોદીને કહેજો કે અમે શું કર્યું. અમુક પાસે આતંકવાદીઓએ પહેલાં કલમા પઢાવ્યા હતા. જેઓ પઢી ન શક્યા (હિંદુઓ) તેમને ગોળી મારીને મારી નાખવામાં આવ્યા. પરંતુ આ બધામાં એક હિંદુ પ્રોફેસર એવા પણ હતા, જેમનો જીવ એટલા માટે બચ્યો કારણ કે તેમને કલમા પઢતાં આવડતું હતું. ઘટના બાદ તેમણે આપવીતી જણાવતાં કહ્યું કે આતંકવાદીઓએ તેમને કેમ છોડી મૂક્યા હતા.
આ પ્રોફેસર છે મૂળ આસામના દેબાશિષ ભટ્ટાચાર્ય. હુમલામાંથી બચ્યા પછી ભટ્ટાચાર્યએ મીડિયા સાથે વાતચીત કરી હતી. જેમાં તેમણે જણાવ્યું કે તેઓ તેમની પત્ની અને પુત્ર સાથે પહલગામના બૈસરન (જે સ્થળે હુમલો થયો એ) રજાઓ માણવા ગયા હતા. દરમ્યાન જ્યારે ખુલ્લા મેદાનમાં એક ઝાડ નીચે આરામ કરી રહ્યા હતા, ત્યારે અચાનક ત્યાં આવી ચડેલા આતંકવાદીઓએ ગોળીબાર શરૂ કરી દીધો.
ભટ્ટાચાર્યએ કહ્યું કે, “હું મારા પરિવાર સાથે એક ઝાડ નીચે ઊંઘી રહ્યો હતો ત્યારે અચાનક મને મારી આસપાસ કોઈનો અવાજ સંભળાયો– મેં જોયું તો લોકો કલમા પઢી રહ્યા હતા.” દેબાશિષના જણાવ્યા અનુસાર, આતંકવાદીઓએ તેમના પરિવારને બંદૂકની અણીએ રાખીને કલમા પઢવાનું કહ્યું હતું. તેમણે કહ્યું કે, “મેં પણ કલમા પઢવાનું શરૂ કર્યું, થોડીવાર પછી આતંકવાદીઓમાંથી એક અમારી તરફ આવ્યો અને મારી બાજુમાં બેઠેલા માણસના માથામાં ગોળી મારી દીધી.”
તેમણે આગળ કહ્યું કે, “પછી બંદૂકધારી મારી તરફ વળ્યો. તેણે સિદ્ધુ મારી સામે જોયું અને પૂછ્યું– તું શું કરી રહ્યો છે? મેં વધુ જોરથી કલમા પઢવાનું શરૂ કરી દીધું. આ સાંભળીને તે મોં ફેરવીને ચાલ્યો ગયો.” તેમણે કહ્યું, “જ્યારે આતંકવાદીએ મારી બાજુની વ્યક્તિને ગોળી મારી ત્યારે મને લાગ્યું કે હવે મારો વારો છે. પરંતુ કલમા પઢવાથી મને અને મારા પરિવારને જીવનદાન મળ્યું.” તેમણે કહ્યું હતું કે તેઓ હજુ વિશ્વાસ કરી શકતા નથી કે તે જીવિત છે.
તેમણે જણાવ્યું હતું કે તક મળતાં જ પછીથી તેઓ તેમની પત્ની અને પુત્ર સાથે ત્યાંથી ભાગી ગયા હતા. તેમણે કહ્યું, “અમે ચઢાણ ચડ્યા, વાડ ઓળંગી, અને રસ્તા પર ઘોડાઓના પગનાં નિશાનની પાછળ-પાછળ લગભગ બે કલાક ચાલ્યા. આખરે અમે એક ઘોડેસવાર સાથે જોડાયા અને અમારી હોટેલ પાછા ફરવામાં સફળ થયા.” મીડિયા સાથેની વાતચીતમાં દેબાશિષે આ ઘટનાને ‘આઘાતજનક અને ભયાનક’ ગણાવી હતી.