રાજસ્થાનની અજમેર શરીફ દરગાહ (Ajmer Sharif Dargah) ખાતે ચાલતા ઉર્સ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Modi) દર વર્ષની જેમ ચાદર મોકલી હતી. પરંતુ તેને લઈને હવે વિવાદ સર્જાયો છે. હિંદુ સેનાએ કોર્ટમાં એક અરજી કરીને આ ચાદર ચડાવવા પર રોક લગાવવાની માંગ કરી છે. તેમણે કારણ આપ્યું કે દરગાહનો એક કેસ કોર્ટમાં પડતર છે અને પીએમ મોદી દ્વારા મોકલવામાં આવેલી ચાદર ચડાવવામાં આવે તો આ કેસ પર અસર પડી શકે છે, કારણ કે તેમાં સરકાર પણ એક પાર્ટી છે. શનિવારે (4 જાન્યુઆરી) આ મામલે કોર્ટ સુનાવણી હાથ ધરશે તેમ જણાવવામાં આવ્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, હિંદુ સેના અધ્યક્ષ વિષ્ણુ ગુપ્તા દ્વારા કોર્ટમાં અરજી કરીને પીએમ મોદીના કાર્યાલય તરફથી આવેલી ચાદર દરગાહમાં ન ચડાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. તેમનું કહેવું છે કે વડાપ્રધાન મોદીની ચાદર જો દરગાહમાં ચડશે તો તે બાબત તેમના કેસ પર અસર કરી શકે છે. વાસ્તવમાં ગુપ્તાએ અજમેર શરીફ દરગાહ પહેલાં શિવાલય હોવાનો દાવો કરીને અહીં ASI સર્વેક્ષણની માંગ કરતી અરજી દાખલ કરી હતી, જે મામલે હાલ કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે.
વડાપ્રધાન મોદી તરફથી આવેલી ચાદર જો અજમેર શરીફ દરગાહ પર ચડાવવામાં આવે, તો મુસ્લિમ પક્ષ દ્વારા તે બાબતને કેસમાં અલગ રીતે રજૂ કરીને કેસને નબળો પડવાનું કામ કરશે- આ પ્રકારના દાવા સાથે વિષ્ણુ ગુપ્તાએ કોર્ટમાં પીએમઓ તરફથી આવેલી ચાદર ચડાવવાની ગતિવિધિ પર રોક લગાવવાની માંગ કરી છે. આ કેસની સુનાવણી અજમેરના સિવિલ જજ મનમોહનની બેન્ચ દ્વારા કરવામાં આવશે તેમ જાણવા મળ્યું છે.
क्या अजमेर शरीफ दरगाह पर नहीं चढ़ेगी पीएम मोदी की चादर? हिंदू सेना की अर्जी पर आज होगी सुनवाई #AjmerSharif #ajmersharifdargah #Chadar #Controversyhttps://t.co/Is9B9DDHcW
— IBC24 News (@IBC24News) January 4, 2025
શું કહેવાયું છે અરજીમાં?
નોંધવું જોઈએ કે અજમેર શરીફ દરગાહ વિવાદમાં આગામી 24 જાન્યુઆરી, 2025ના રોજ સુનાવણી હાથ ધરવામાં આવનાર છે. આ કેસમાં કેન્દ્ર સરકાર પણ મહત્વપૂર્ણ ભાગ ભજવી રહી છે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે, આ સંજોગોમાં જો પીએમઓ તરફથી મોકલવામાં આવેલી ચાદર ચડાવવામાં આવે તો તે કેસ પર માઠી અસર કરી શકે છે અને કેસને પ્રભાવિત કરી શકે છે. વિષ્ણુ ગુપ્તાએ પોતાની અરજીમાં કહ્યું છે કે જો કેન્દ્ર સરકાર આ પ્રકારે સીધી ચાદર મોકલી આપે અને તેને વિવાદિત સ્થળ પર ચડાવવામાં આવે, તો એક રીતે એ બાબતની પુષ્ટિ કરી કહેવાશે કે સ્થળ દરગાહ જ છે. આ બાબત સીધી રીતે તેમના ન્યાયિક સ્વતંત્રતા અને નિષ્પક્ષ સુનાવણીના અધિકારને પણ બાધિત કરવા સક્ષમ છે.
ઉલ્લેખનીય છે કે દરગાહ પર દર વર્ષે ઉર્સની ઉજવણી કરવામાં આવે છે. ભારતના પૂર્વ વડાપ્રધાનોએ દર વર્ષે આ ઉર્સમાં ચાદર મોકલવાની પરંપરા શરૂ કરી હતી. છેલ્લાં દસ વર્ષથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યાલય તરફથી પણ અહીં ચાદર મોકલાવીને પરંપરા જાળવી રાખવામાં આવી છે. ભૂતકાળમાં અનેક બાબતોને લઈને વિવાદોમાં આવી ચૂકેલી દરગાહ હાલ સર્વેક્ષણની માંગ સાથે ચર્ચામાં છે. ત્યારે હવે વડાપ્રધાન કાર્યાલય પરથી મોકલવામાં આવેલી ચાદર અહીં ચડાવવામાં આવશે કે કેમ તે જોવું રહ્યું.