ગુજરાત હાઇકોર્ટે (Gujarat High Court) ફરજમાં બેદરકારીને (Negligence) લીધે 9 પોલીસકર્મીઓને બરતરફ કરવાના નિર્ણયને માન્ય રાખ્યો છે. સાથે કોર્ટે એ પણ નોંધ્યું છે કે, જો તે પોલીસકર્મીઓએ 2002માં ગોધરા(Godhra) રેલવે સ્ટેશન પર થયેલી ઘટના પહેલાં યોગ્ય પ્રક્રિયાઓનું પાલન કર્યું હોત તો સંભવતઃ તે દુર્ઘટનાને ટાળી શકાઈ હોત. કોર્ટે 24 એપ્રિલના રોજ આ તમામ પોલીસકર્મીઓને બરતરફ કરવાના નિર્ણયને યોગ્ય ઠેરવ્યો હતો.
નોંધવા જેવું છે કે, 27 ફેબ્રુઆરી 2002ની સવારે સાબરમતી એક્સપ્રેસના S-6 કોચમાં યાત્રા કરી રહેલા કુલ 59 હિંદુ તીર્થયાત્રીઓને (જેમાં 27 મહિલાઓ અને 10 બાળકો સામેલ હતાં) મુસ્લિમ ટોળાંએ જીવતા સળગાવી દીધા હતા. આ નરસંહાર ગોધરા રેલવે સ્ટેશન પાસે કરવામાં આવ્યો હતો. પહેલાંથી આયોજિત કાવતરાના ભાગરૂપે આ આખી ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો.
કોર્ટે સુનાવણી દરમિયાન કહ્યું કે, બરતરફ કરાયેલા આ પોલીસકર્મીઓ જો બેદરકાર ન રહ્યા હોત આ ઘટનાને ટાળી શકાઈ હોત. કોર્ટે કહ્યું કે, “જો અરજદારો અમદાવાદ પહોંચવા માટે સાબરમતી એક્સપ્રેસ ટ્રેનથી જ રવાના થયા હોત તો ગોધરામાં બનેલી ઘટનાને રોકી શકાઈ હોત. અરજદારોએ પોતાની ફરજ પ્રત્યે બેદરકારી દર્શાવી હતી. તે આરોપો સાબિત થયા છે.”
બરતરફ કરાયેલા પોલીસકર્મીઓમાં ગુલાબસિંહ દેવુસિંહ ઝાલા, ખુમાનસિંહ જિતસિંહ રાઠોડ, નાથાભાઈ ધુલાભાઈ ભાભી, વિનોદભાઈ બીજલભાઈ, જાબીર હુસૈન રસુલ મિયાં શેખ, રસિકભાઈ રાજાભાઈ પરમાર, કિશોરભાઈ દેવાભાઈ પરમાર, કિશોરભાઈ બાલુભાઈ પટણી અને પુનાભાઈ મોટાભાઈ બારિયા સામેલ હતા.
કોર્ટે નોંધ્યું કે, રેલવે પોલીસ ફોર્સના (RPF) 9 કર્મચારીઓ તે દુર્ઘટનાના દિવસે દાહોદથી સાબરમતી એક્સપ્રેસમાં ચડવાના હતા, પરંતુ તેમણે તેમ ન કર્યું. તેના બદલે તેમણે રજિસ્ટરમાં ખોટી એન્ટ્રીઓ કરી અને શાંતિ એક્સપ્રેસ દ્વારા અમદાવાદ પાછા ફર્યા. ગુજરાત હાઇકોર્ટે ચુકાદો આપ્યો કે 2005માં પોલીસ કર્મચારીઓને સેવામાંથી દૂર કરવામાં આવ્યા તે વ્યાજબી હતું. કોર્ટે તેમાં ઉમેર્યું હતું કે, સાબરમતી એક્સપ્રેસમાં તેમની હાજરી 27 ફેબ્રુઆરી 2002ના રોજ જે બન્યું તેમાં ફરક લાવી શકી હોત.
આ 9 પોલીસકર્મીઓ પર પહેલાં જ તેમની સોંપાયેલ ફરજ છોડી દેવા, ડ્યુટી રજિસ્ટરમાં ખોટા દસ્તાવેજો રજૂ કરવા અને જે ટ્રેનમાં તેઓ એસ્કોર્ટ કરવાના હતા તેમાં મુસાફરી ન કરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. ગુજરાત હાઇકોર્ટે કહ્યું કે, “અરજદારોનેને આટલું મહત્વપૂર્ણ કામ સોંપવામાં આવ્યું હતું, પરંતુ તેમણે બેદરકારીથી તેમને સોંપવામાં આવેલી યાત્રા ન કરી અને શાંતિ એક્સપ્રેસમાં યાત્રા કરીને અમદાવાદ પરત ફર્યા.”
ગોધરા રેલવે સ્ટેશન પર મુસ્લિમ ટોળાંએ સાબરમતી એક્સપ્રેસમાં લગાવી હતી આગ
નોંધનીય છે કે, 27 ફેબ્રુઆરી, 2002ના રોજ અયોધ્યાથી પરત ફરી રહેલા 59 કારસેવકોને સાબરમતી એક્સપ્રેસના કોચમાં મુસ્લિમ ટોળાંએ જીવતા સળગાવી દીધા હતા. કુલ 31 મુસ્લિમોને સાબરમતી એક્સપ્રેસમાં આગ લગાડવાના દોષી જાહેર કરવામાં આવ્યા હતા. તેમાંથી 11 દોષિતોને 1 માર્ચ, 2011ના રોજ સ્પેશ્યલ ફાસ્ટ-ટ્રેક કોર્ટે મૃત્યુદંડની સજા સંભળાવી હતી. તેમના નામ અબ્દુલ રઝાક કુરકુર, ઈસ્માઈલ સુલેજા, જબ્બીર બિન્યામીન બહરા, રમજાની બિન્યામીન બહરા, મહબૂબ હસન, સિરાઝ બાલા, ઈરફાન કલંદર, ઈરફાન પટાડીયા, હસન લાલુ, મહેબૂબ ચંદા અને સલીમ જરદા હતા.
ઑક્ટોબર, 2017માં આ તમામ દોષિતોની મૃત્યુદંડની સજાને આજીવન કારાવાસની સજામાં બદલી નાખવામાં આવી હતી. દોષિતોમાં અન્ય 20ને પણ આજીવન કારાવાસની સજા સંભળાવવામાં આવી હતી. આ તમામ ગુનેગારો મુસ્લિમ સમુદાયના હતા. તેમણે જ અયોધ્યાથી પરત ફરી રહેલા હિંદુઓને જીવતા સળગાવી નાખવા માટેની યોજના બનાવી હતી.