Friday, April 19, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટપાંચ વર્ષ જૂના કેસમાં હાર્દિક પટેલ નિર્દોષ જાહેર, પોલીસની પરવાનગીનું ઉલ્લંઘન કરીને...

    પાંચ વર્ષ જૂના કેસમાં હાર્દિક પટેલ નિર્દોષ જાહેર, પોલીસની પરવાનગીનું ઉલ્લંઘન કરીને રાજકીય ભાષણ આપવાનો મામલો: જામનગરની કોર્ટે ચુકાદો આપ્યો

    આજે કોર્ટે હાર્દિક પટેલના વકીલોની દલીલ ગ્રાહ્ય રાખીને નિર્દોષ ઠેરવવા માટે ચુકાદો આપ્યો હતો.

    - Advertisement -

    ધારાસભ્ય અને પૂર્વ PAAS નેતા હાર્દિક પટેલને વિવાદાસ્પદ ભાષણના કેસમાં જામનગરની કોર્ટે નિર્દોષ જાહેર કર્યા છે. આજે જામનગર જ્યુડિશિયલ કોર્ટે આ ચુકાદો આપ્યો હતો. હાર્દિક પટેલ સાથે પાસ કન્વીનર અંકિત ઘેડીયાને પણ દોષમુક્ત ઠેરવવામાં આવ્યા છે. 

    જામનગરની સેશન્સ કોર્ટમાં આજે આ કેસનો ચુકાદો સંભળાવવામાં આવ્યો હતો. આ પહેલાં કોર્ટે તમામ દલીલો પૂર્ણ કરી લીધી હતી. ત્યારબાદ આજે કોર્ટે હાર્દિક પટેલના વકીલોની દલીલ ગ્રાહ્ય રાખીને નિર્દોષ ઠેરવવા માટે ચુકાદો આપ્યો હતો. 

    આ મામલો વર્ષ 2017નો છે. પાટીદાર આંદોલન ચાલી રહ્યું હતું તે દરમિયાન 4 નવેમ્બર 2017ના રોજ પૂર્વ પાસ નેતા હાર્દિક પટેલની આગેવાનીમાં જામનગરના ધૂળસિયામાં એક સભા યોજવામાં આવી હતી. સભા યોજ્યા અગાઉ શૈક્ષણિક હેતુસર તેની મંજૂરી લેવામાં આવી હતી પરંતુ પછીથી તેમાં રાજકીય ભાષણ થતાં કન્વીનર અંકિત ઘેડિયા અને હાર્દિક પટેલ સામે ગુજરાત પોલીસ એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. 

    - Advertisement -

    ત્યારથી આ મામલે જામનગરની કોર્ટમાં કેસ ચાલી રહ્યો હતો. દરમ્યાન, ગત જાન્યુઆરી મહિનામાં સુનાવણી વખતે હાર્દિક પટેલે પણ કોર્ટમાં હાજરી આપી હતી અને પોતાનું નિવેદન નોંધાવ્યું હતું. 

    મામલાની સુનાવણી દરમિયાન કોર્ટે નોંધ્યું હતું કે, કથિત ઘટનાના 70 દિવસ બાદ આ મામલે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી અને આ વિલંબ પાછળનું કારણ સમજાવવામાં પ્રોસિક્યુશન નિષ્ફ્ળ રહ્યું છે.

    કોર્ટે એમ પણ નોંધ્યું હતું કે, મામલાની તપાસ માટે આ ભાષણ અપાયાના સ્થળની મુલાકાત લેવામાં આવી ન હતી અને કોઈ પણ સાક્ષીએ હાર્દિક પટેલે રાજકીય નિવેદનો આપ્યાની જુબાની આપી ન હતી. કોર્ટે એ પણ અવલોકન કર્યું કે, પોલીસ દ્વારા સભાની પરવાનગી આપ્યા સમયે મૂકેલી શરતો પણ સ્પષ્ટ ન હતી અને તપાસ પણ યાંત્રિક રીતે કરવામાં આવી હતી. 

    ચુકાદા બાદ કોર્ટ પરિસરની બહાર હાર્દિક પટેલે તેમના વકીલોનો આભાર વ્યક્ત કરતાં કહ્યું કે, “મેં હંમેશા કહ્યું છે કે હું હંમેશા કોર્ટના નિર્ણયનો આદર કરીશ. કેસ જે કોઈ પ્રક્રિયા હેઠળ થયો હોય, મને ફરિયાદીઓ પ્રત્યે કોઈ વેરભાવ નથી. મામલો આંદોલન દરમિયાન દાખલ કરવામાં આવ્યો હતો. આ એક રાજકીય કેસ હતો, હત્યા કે બળાત્કારનો નહીં. મને વિશ્વાસ હતો કે હું નિર્દોષ સાબિત થઈશ.”

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં