ઉત્તર પ્રદેશના ગોરખપુરમાં એક ગેરકાયદેસર બનાવવામાં આવેલી મસ્જિદના ડિમોલિશનનું કામ ચાલી રહ્યું છે. ગોરખપુર ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે મઝહબી ઢાંચના બાંધકામ માટે કોઈ પ્લાન મંજૂર કરાવવામાં આવ્યો ન હતો. ગેરકાયદેસર બાંધકામ હટાવવા માટે 15 દિવસનો સમય આપવામાં આવ્યો હતો અને કહ્યું હતું કે જો હટાવવામાં ન આવે તો 15 દિવસ બાદ પ્રશાસન સ્વયં કાર્યવાહી કરશે. પરંતુ તે પહેલાં મસ્જિદ સમિતિએ જાતે જ તોડવાનું કામ શરૂ કરી દીધું છે.
શનિવારે (1 માર્ચ) મસ્જિદ સમિતિએ જાતે જ ઢાંચો તોડવાનું કામ શરૂ કરી દીધું હતું. આ મસ્જિદ ગોરખપુર ઘોષ કંપની ચાર રસ્તા પર આવેલી અબુ હુરેરા મસ્જિદ હોવાનું મીડિયા અહેવાલો જણાવી રહ્યા છે.
મસ્જિદ ગેરકાયદેસર અને કોઈ પણ પ્રકારના કન્સ્ટ્રક્શન પ્લાન મંજૂર કરાવ્યા વગર બનાવવામાં આવી હોવાનું સામે આવતાં ગોરખપુર ડેવલપમેન્ટ ઓથોરિટી (GDA) દ્વારા અગાઉ પણ નોટિસ આપવામાં આવી હતી.
સ્થાનિકોનું કહેવું છે કે જમીન પર લગભગ 40 વર્ષ પહેલાં કબજો થવાનું શરૂ થયું હતું. અમુક મેકેનિક અસ્થાયી નિર્માણ બનાવીને ગાડીઓ રિપેર કરવાનું કામ કરતા હતા. ત્યારબાદ મુસ્લિમ સમુદાયના લોકોએ શેડ પાડીને નાનાં-નાનાં ઘર બનાવવાનું શરૂ કર્યું. પછીથી ત્યાં એક મસ્જિદ પણ ઊભી કરી દેવામાં આવી.
વાસ્તવમાં ઘોષ કંપની ચાર રસ્તા પાસે નગર નિગમની લગભગ 20492 વર્ગ ફિટ જમીન છે. જેમાં એક મસ્જિદ પણ હતી. 624 સ્ક્વેર ફિટ જમીન મસ્જિદ માટે અને 660 સ્ક્વેર ફિટ ત્યાં જવા માટે હતી. અહીં જ્યારે અતિક્રમણ હટાવવામાં આવ્યું તો મસ્જિદ પણ તૂટી ગઈ હતી. ત્યારબાદ નગર નિગમમાંથી 624 સ્ક્વેર ફિટ જમીન મસ્જિદ સમિતિને આપવામાં આવી, જેની ઉપર નિર્માણ કરવામાં આવ્યું.
મસ્જિદ ચાર માળ જેટલી બાંધી દેવામાં આવી, પરંતુ તેનો નકશો પાસ કરાવવામાં આવ્યો ન હતો. ત્યારબાદ ગોરખપુર વિકાસ પ્રાધિકરણે તેનું બાંધકામ અટકાવીને ધ્વસ્ત કરવાનો આદેશ આપ્યો હતો. ત્યારબાદ મસ્જિદ સમિતિ કોર્ટમાં પણ ગઈ હતી, જે મામલે 3 માર્ચના રોજ સુનાવણી હાથ ધરવામાં આવશે. પરંતુ તે પહેલાં જ તોડવાનું કામ શરૂ કરી દેવામાં આવ્યું.
GDA દ્વારા મસ્જિદ સમિતિને 28 ફેબ્રુઆરી સુધીનું એલ્ટિમેટમ આપીને કહેવામાં આવ્યું હતું કે જો ત્યારબાદ પણ બાંધકામ હટાવવામાં ન આવે તો પ્રશાસન પોતાની રીતે કાર્યવાહી શરૂ કરી દેશે. જેના કારણે શનિવારે (1 માર્ચ) સવારથી મસ્જિદ સમિતિએ જાતે જ ડિમોલિશન શરૂ કરી દીધું હતું, જે રવિવારે પણ ચાલી રહ્યું છે. મસ્જિદ સમિતિ ઉપરના બે માળ હટાવી રહી છે.
મસ્જિદ સમિતિએ કહ્યું- જમીન અમારી, GDAએ કહ્યું- વાત માલિકીની નથી, નકશો પાસ કરાવ્યા વગર થયું હતું બાંધકામ
મસ્જિદ સમિતિના પ્રમુખ આ મામલે કહી રહ્યા છે કે નિર્માણ GDAની સહમતિ બાદ જ કરવામાં આવ્યું છે. તેમણે કહ્યું, “આ મસ્જિદ જાન્યુઆરી 2024માં જૂના ઢાંચાને હટાવવામાં આવ્યા બાદ નગર નિગમની સહમતિથી જ બનાવવામાં આવી છે. આ જમીન અમને ફાળવવામાં આવી હતી, છતાં કેમ GDA ગેરકાયદેસર ગણાવે છે?”
GDAએ આ મામલે સ્પષ્ટતા કરતાં કહ્યું કે, મામલો જામીનની માલિકીનો છે જ નહીં. આ કેસ સ્વીકૃત નકશા વગર નિર્માણ કરવાનો છે. જો નકશો પાસ કરવામાં ન આવ્યો હોય તો કાર્યવાહી થવાની એ સ્વાભાવિક વાત છે.