Friday, May 3, 2024
More
    હોમપેજદેશ'શ્રીલંકામાં રજાઓ ગાળો…ભારતનું સન્માન કેટલું છે એ સમજાશે': વિદેશમંત્રી એસ જયશંકરના નિવેદન...

    ‘શ્રીલંકામાં રજાઓ ગાળો…ભારતનું સન્માન કેટલું છે એ સમજાશે’: વિદેશમંત્રી એસ જયશંકરના નિવેદન પર ઓળઘોળ શ્રીલંકા, ક્રિકેટરોએ પણ આભાર માન્યો

    વિદેશ મંત્રી જયશંકરે ભારતીય પ્રબંધ સંસ્થાન મુંબઈ (IIM-B)માં એક વાર્તાલાપ દરમિયાન પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં કહ્યું કે, "હું સૌથી પહેલાં આપને સલાહ દેવા માંગીશ કે જો તમે આગામી રજાઓ ગાળવા માંગતા હોવ તો શ્રીલંકા જાઓ."

    - Advertisement -

    ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરે એક વાર્તાલાપ દરમિયાન ભારતીયોને રજાઓ ગાળવા શ્રીલંકા જવાની સલાહ આપી, જે બાદ તેમનો આ વિડીયો વાયરલ થઇ ગયો અને તેમની આ સલાહ શ્રીલંકન મીડિયામાં છવાઈ ગઈ. એસ જયશંકરના આ નિવેદન બાદ શ્રીલંકા ક્રિકેટ ટીમના ખેલાડીઓએ પણ ભારતના વિદેશ મંત્રીનો આભાર માન્યો.

    વિદેશ મંત્રી જયશંકરે ભારતીય પ્રબંધ સંસ્થાન મુંબઈ (IIM-B)માં એક વાર્તાલાપ દરમિયાન પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં કહ્યું કે, “હું સૌથી પહેલાં આપને સલાહ આપવા માંગીશ કે જો તમે આગામી રજાઓ ગાળવા માંગતા હોવ તો શ્રીલંકા જાઓ. હું આપને ગંભીરતાથી કહી રહ્યો છું કે શ્રીલંકા જઈને રજાઓ ગાળો અને ત્યાંના લોકોમાં ભળીને પૂછો કે તેઓ ભારત વિશે શું વિચારે છે. હું આપને વિશ્વાસ અપાવું છું કે તમે તેમનો જવાબ સાંભળીને સાતમા આસમાને પહોંચી જશો.”

    આ દરમિયાન એસ જયશંકરે શ્રીલંકાના આર્થિક સંકટ દરમિયાન ભારતે કરેલી સહાયનો પણ ઉલ્લેખ કર્યો. તેમણે જણાવ્યું કે, “એક સામાન્ય શ્રીલંકન માટે જે સમયે આખી દુનિયાએ પીઠ દેખાડી હતી, ત્યારે હું પોતે કોલંબોમાં હતો, લોકો ગાડીઓને ધક્કા મારી રહ્યા હતા. આખો દેશ સમસ્યાઓથી ઘેરાયેલો હતો. તેવામાં ભારત એક માત્ર દેશ હતો જે મદદ કરવા આગળ આવ્યો. આપણે 4.5 બિલિયન ડૉલર (અંદાજે 37,000 કરોડ) શ્રીલંકાને આપ્યા. આપને ઉદાહરણ માટે કહું તો માત્ર 3 બિલીયન ડૉલર (અંદાજે 25000 કરોડ) માટે શ્રીલંકાએ લાંબા સમય સુધી અંતરરાષ્ટ્રીય મુદ્રા કોષ (IMF) સાથે વાટાઘાટો કરવી પડી હતી.”

    - Advertisement -

    તેમણે જણાવ્યું કે, “જેના માટે વાતચીત ચાલી રહી હતી તે આપણે કરેલી મદદ કરતાં અડધી છે. આદર્શ રીતે કહીએ તો IMFએ પહેલાં મદદ કરવી જોઈતી હતી. કોઈ પણ દેશ આગળ નહોતો આવ્યો. મને લાગે છે કે જો કેટલાક પાડોશી દેશ આપણા વિરુદ્ધ થઈ રહ્યા હોય તો તે આપણી નિષ્ફળતા છે, આપણે પોતાનામાં વધુ આત્મવિશ્વાસ કેળવવો જોઈએ. આપણે તે વાસ્તવિકતા સ્વીકારવી પડશે કે ચીન પણ આપણું પાડોશી છે આને તે પણ આ બધા પર પ્રભાવ પાડશે.”

    ઉલ્લેખનીય છે કે શ્રીલંકા 2022માં મોટા આર્થિક સંકટમાં ફસાઈ ગયું હતું અને ભારતે તેને પેટ્રોલિયન તેમજ દવાઓ સહિત તમામ મદદ પહોંચાડી હતી.

    વિદેશ મંત્રી એસ જયશંકરનું આ નિવેદન સોશિયલ મીડિયા પર વાયરલ છે. હાલ તે શ્રીલંકન મીડિયામાં છવાયેલું છે. શ્રીલંકાની સહુથી મોટી સમાચાર એજન્સી ન્યૂઝ વાયરે તેને શ્રીલંકામાં જોર-શોરથી દર્શાવ્યું છે. તેના X હેન્ડલ પર મૂકવામાં આવેલો આ વિડીયો અત્યાર સુધી લગભગ 9 લાખ વખત જોવામાં આવી ચૂક્યો છે. આ ઉપરાંત શ્રીલંકા ટ્વિટ અને ડેલી મિરર જેવી વેબસાઈટે પણ તેને પ્રચારિત કર્યું છે. ભારતના શ્રીલંકા ટુરિઝમને વધારવાના અને સંકટ સમયે મદદ આપવાને શ્રીલંકાના ખેલાડીઓએ પણ બિરદાવ્યું છે.

    એસ જયશંકરના આ નિવેદન બાદ શ્રીલંકા ક્રિકેટ ટીમના પૂર્વ ખેલાડી સનત જયસૂર્યએ X પર લખ્યું, “ભારતીય વિદેશ મંત્રી માનનીય એસ જયશંકરને અમારા સહુથી કપરા સમયમાં મદદ કરવા બદલ ધન્યવાદ. આપના દ્વારા શ્રીલંકા ટુરિઝમને સમર્થન આપવું તે અમારા માટે અમૂલ્ય છે.” આ ઉપરાંત અમેરિકાની એક મોટી સોફ્ટવેર કંપની WSO2ના સંસ્થાપક સંજીવા વીરવર્ણાએ પણ ભારતનો આભાર માન્યો છે.

    તેમણે X પર લખ્યું, “ભારત દ્વારા શ્રીલંકાને કપરા સમયમાં આપવામાં આવેલી સહાયતા ક્યારેય નહીં ભૂલી શકાય. ધન્યવાદ વિદેશ મંત્રી એસ જયશંકર અને વડાપ્રધાન મોદી. અમે IMF તરફથી મળેલી 3 મીલીયનના સહાય પર બહુ હો-હા કરી હતી એ હજુ પણ કરી રહ્યા છીએ, જ્યારે ભારતે 2022માં ભારતે જરા પણ વાર લગાડ્યા વગર દેશને ચલાવવા 4.5 બિલિયન ડૉલર આપ્યા. મુશ્કેલીના તે સમયમાં સહાયતા કરવાવાળા જ સાચા મિત્ર હોય છે.”

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં