Tuesday, March 19, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટનવાબ મલીક પર કેસ કર્યાના બીજા દિવસેજ પૂર્વ એનસીબી અધિકારી સમીર વાનખેડેને...

    નવાબ મલીક પર કેસ કર્યાના બીજા દિવસેજ પૂર્વ એનસીબી અધિકારી સમીર વાનખેડેને હત્યાની ધમકી, કહ્યું: ‘તે જે કર્યું તેનો હિસાબ આપવો પડશે, તને ખતમ કરી દઈશું’

    આર્યન ખાન વિરુદ્ધ તપાસ ચલાવનાર અધિકારી સમીર વાનખેડેને નવાબ મલિક વિરુદ્ધ માનહાનીનો કેસ દાખલ કર્યાના બીજા જ દિવસે ટ્વિટર પર ધમકી મળી છે.

    - Advertisement -

    પૂર્વ એનસીબી અધિકારી સમીર વાનખેડેને હત્યાની ધમકી મળી હોવાના અહેવાલો સામે આવી રહ્યા છે. મુંબઈ NCBના ભૂતપૂર્વ ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડેને સોશિયલ મીડિયા પર આ પ્રકારની ધમકીઓ મળી હતી. નોંધનીય છે કે જે દિવસે વાનખેડે દ્વારા NCP નેતા અને પૂર્વ મંત્રી નવાબ મલિક વિરુદ્ધ માનહનીનો કેસ દાખલ કર્યો હતો, કેસ નોંધ્યાના બીજા જ દિવસે સમીર વાનખેડેને હત્યાની ધમકી મળી હતી.

    મળતી માહિતી મુજબ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB)ના ભૂતપૂર્વ અધિકારી સમીર વાનખેડેને જાનથી મારી નાખવાની ધમકી ટ્વીટર પર મળી હતી, ‘અમન’ નામના ટ્વિટર હેન્ડલે 14 ઓગસ્ટે સમીર વાનખેડેને મેસેજ કર્યો હતો. મેસેજમાં વ્યક્તિએ લખ્યું, ‘તને નથી ખબર તે શું કર્યું છે, તારે તેનો હિસાબ આપવો પડશે, તને ખતમ કરી દઈશું’. આ પછી સમીર વાનખેડેએ ગોરેગાંવ પોલીસનો સંપર્ક કર્યો અને તેઓ એફઆઈઆર નોંધવાની પ્રક્રિયામાં છે. ગુરુવારે વાનખેડેનું નિવેદન નોંધવામાં આવ્યું હતું.

    અહેવાલોમાં જણાવ્યાં અનુસાર મુંબઈ પોલીસે જણાવ્યું હતું કે સમીર વાનખેડેની ફરિયાદ બાદ ગોરેગાંવ પોલીસે નવાબ મલિક વિરુદ્ધ કેસ નોંધ્યો હતો. ત્યારબાદ હવે સમીર વાનખેડેએ ગોરેગાંવ પોલીસ સ્ટેશનને પોતાને મળેલી ધમકીની જાણ કરી છે. આ સાથે તેમણે પોતાને મળેલો મેસેજ પણ પોલીસને શેર કર્યો છે, જેના પછી પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.

    - Advertisement -

    તાજેતરમાંજ મળી હતી ક્લીનચિટ

    સમીર વાનખેડે આર્યન ખાન ડ્રગ કેસ બાદ ચર્ચામાં આવ્યા હતા. આ પછી NCP નેતા નવાબ મલિકે તેમના પર ઘણા આરોપો લગાવ્યા હતા. એક આરોપમાં મલિકે કહ્યું હતું કે વાનખેડે જન્મથી મુસ્લિમ છે, તેમણે અનામતનો લાભ મેળવવા માટે બનાવટી જન્મ પ્રમાણપત્ર મેળવ્યું હતું. જો કે આ કેસમાં વાનખેડેને જાતી આયોગ તરફથી ક્લીનચીટ મળી હતી.

    નવાબ મલિક સામે ફરિયાદ દાખલ

    વાનખેડેને જાતિ આયોગ તરફથી ક્લીનચીટ મળ્યા બાદ તેમણે NCP નેતા અને પૂર્વ મંત્રી નવાબ મલિક વિરુદ્ધ વિરુદ્ધ માનહાનિની ​​ફરિયાદ નોંધાવી હતી. નવાબ માલિકે વાનખેડે વિરુદ્ધ આક્ષેપો લગાવ્યા હતા કે સરકારી નોકરી મેળવવા માટે તેમણે ખોટા જાતિ પ્રમાણપત્રનો ઉપયોગ કર્યો હતો. જોકે પુરતી તપાસ અને કાર્યવાહી બાદ સમીર વાનખેડેને આ આક્ષેપ પરથી કલીનચીટ મળી ગઈ છે. જે પછી સમીર વાનખેડે દ્વારા NCP નેતા અને પૂર્વ મંત્રી નવાબ મલિક વિરુદ્ધ વિરુદ્ધ માનહાનિની ​​ફરિયાદ નોંધવામાં આવી હતી, જે પછી ગત દિવસે માલિક ઉપર IPCની કલમ 500, 501 અને SC/ST એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો.

    નોંધનીય છે કે સમીર વાનખેડેએ અગાઉ પણ મહારાષ્ટ્ર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી કે તેની ગતિવિધિઓ પર નજર રાખવામાં આવી રહી છે. સમીર વાનખેડેએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે સિવિલ કપડા પહેરેલા ઘણા લોકો તેનો પીછો કરી રહ્યા હતા.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં