Saturday, April 27, 2024
More
    હોમપેજક્રાઈમદિલ્હીમાં AAP નેતા દિપક સિંગલાના ઠેકાણાં પર EDના દરોડા: લિકર પોલિસી કૌભાંડ...

    દિલ્હીમાં AAP નેતા દિપક સિંગલાના ઠેકાણાં પર EDના દરોડા: લિકર પોલિસી કૌભાંડ સાથે સંકળાયેલા મની લોન્ડરિંગ કેસ મામલે થઈ રહી છે કાર્યવાહી

    EDનો આરોપ છે કે, ગોવા વિધાનસભા ચૂંટણીમાં લિકર પોલિસી કૌભાંડમાંથી મળેલા ₹45 કરોડ આમ આદમી પાર્ટીએ ખર્ચ્યા હતા. તે મામલે જ આ આખી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ સાથે એજન્સી જલ બોર્ડ કેસ પણ જોઈ રહી છે.

    - Advertisement -

    એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની ટીમ દારૂ નીતિ કૌભાંડ મામલે સખત કાર્યવાહી હાથ ધરી રહી છે. લિકર પોલિસી કૌભાંડ સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ કરી લેવામાં આવી હતી. જે બાદ હવે EDએ બીજા એક AAP નેતાના ઠેકાણાં પર દરોડા પાડયા છે. દિલ્હીમાં આમ આદમી પાર્ટીના પૂર્વ વિધાનસભા ઉમેદવાર દિપક સિંગલાના ઠેકાણાં પર દરોડા પાડવામાં આવ્યા છે. દિપક સિંગલા પૂર્વ દિલ્હીની પ્રખ્યાત મીઠાઈની દુકાન સિંગલા સ્વિટસના માલિક છે.

    બુધવારે (27 માર્ચ, 2024) EDએ દિલ્હીમાં કાર્યવાહી તેજ કરી હતી. વહેલી સવારે AAP નેતાના ઠેકાણાં પર દરોડા પાડવામાં આવ્યા હતા. AAP નેતા દિપક સિંગલાના ઘર સહિત દિલ્હી-NRCમાં ઘણી જગ્યાએ એજન્સીએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. દિપક સિંગલા વિશ્વાસ નગરથી આમ આદમી પાર્ટીના વિધાનસભા ઉમેદવાર હતા. હાલ તેઓ આમ આદમી પાર્ટીના ગોવા પ્રભારી છે. ED એ તપાસ કરી રહી છે કે, શું એક્સાઈઝ પોલિસી કૌભાંડમાંથી મળેલી રકમ ગોવાની વિધાનસભા ચૂંટણીમાં ખર્ચવામાં આવી હતી કે કેમ.

    EDનો આરોપ છે કે, ગોવા વિધાનસભા ચૂંટણીમાં લિકર પોલિસી કૌભાંડમાંથી મળેલા ₹45 કરોડ આમ આદમી પાર્ટીએ ખર્ચ્યા હતા. તે મામલે જ આ આખી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ સાથે એજન્સી જલ બોર્ડ કેસ પણ જોઈ રહી છે. પરંતુ આ વખતના દરોડા લિકર પોલીસ કૌભાંડ સાથે સંકળાયેલા મની લોન્ડરિંગ કેસ મામલે પડ્યા હોવાનું સામે આવી રહ્યું છે. નોંધનીય છે કે, લિકર પોલિસી કેસ મામલે જ EDએ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ કરી હતી.

    - Advertisement -

    ઉલ્લેખનીય છે કે, અરવિંદ કેજરીવાલની ધરપકડના બે દિવસ પછી જ EDએ આમ આદમી પાર્ટીના અન્ય એક નેતા ગુલાબ સિંઘ યાદવના ઘરે દરોડા પાડ્યા હતા. EDની એક ટીમ શનિવારે (23 માર્ચ) સવારે AAP ધારાસભ્ય ગુલાબ સિંઘના ઘરે પહોંચી હતી. વહેલી સવારે જ એજન્સીએ તેમના ઘરે દરોડા પાડયા હતા. અરવિંદ કેજરીવાલને EDની કસ્ટડીમાં મોકલ્યા બાદ બીજા દિવસે જ આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. સર્ચ ઓપરેશન દરમિયાન એજન્સીની ટીમ સાથે ભારે માત્રામાં સુરક્ષા દળોના જવાનો હાજર હતા. આ સાથે જ ઘરમાં અવરજવર પર પણ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો હતો.

    આ સમયે દર વખતની જેમ તે વખતે પણ આમ આદમી પાર્ટીના નેતાઓએ કેન્દ્ર સરકાર અને ED પર આરોપો લાગવાના શરૂ કરી દીધા હતા. દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી અને AAP નેતા સૌરભ ભારદ્વાજે કેન્દ્ર સરકાર પર આરોપો લગાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે, તમામ વિપક્ષી નેતાઓને જેલમાં બેસાડવા માટે કેન્દ્ર સરકાર સેન્ટ્રલ એજન્સીઓનો ઉપયોગ કરી રહી છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં