Friday, March 29, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટઇન્દિરા ગાંધીએ શ્રીલંકાને ભેટમાં આપી દીધો હતો દ્વીપ, હવે પરત લેવાની માંગ;...

    ઇન્દિરા ગાંધીએ શ્રીલંકાને ભેટમાં આપી દીધો હતો દ્વીપ, હવે પરત લેવાની માંગ; જાણો ભારત માટે કેમ મહત્વનો

    તમિલનાડુના મુખ્યમંત્રીએ ગત વર્ષે જૂન મહિનામાં તેમજ આ વર્ષે એપ્રિલ મહિનામાં પીએમ મોદીને મળીને કચ્ચાતીવુ ટાપુ પુનઃ કબજે કરવા સંદર્ભે બે મેમોરેન્ડમ સુપરત કર્યા હતા.

    - Advertisement -

    પાડોશી દેશ શ્રીલંકા હાલ સંકટમાં છે. આમ તો ભારત અને શ્રીલંકાના સબંધો સદીઓ જૂના છે પરંતુ હાલ એક એવા ટાપુની ચર્ચા થઇ રહી છે જેને ભારતે શ્રીલંકાને ભેટ સ્વરૂપે આપ્યો હતો. પરંતુ આ દ્વીપ ઘણી સમસ્યાઓનું કારણ બની ગયો છે અને હવે તેને પરત લેવા માટેની માંગ ઉઠી છે. ભારતે શ્રીલંકાને ભેટમાં આપેલા આ ટાપુનું નામ કચ્ચાતીવુ છે. જે ભારતના રામેશ્વરમ પાસે બંને દેશોની સરહદ વચ્ચે આવેલો છે. પરંપરાગત રીતે તમિલનાડુ અને શ્રીલંકાના તમિલ માછીમારો તેનો ઉપયોગ કરતા આવ્યા છે. વર્ષ 1974 માં તત્કાલીન ભારતીય વડાંપ્રધાન ઇન્દિરા ગાંધીએ એક સમજૂતીના ભાગરૂપે આ દ્વીપ શ્રીલંકાને આપી દીધો હતો.

    1974 માં ઇન્દિરા ગાંધીએ શ્રીલંકન રાષ્ટ્રપતિ શ્રીમાવો ભંડારનાયકે સાથે એક સંધિ પર હસ્તાક્ષર કર્યા હતા અને ત્યારથી ટાપુ શ્રીલંકાના કબજે થઇ ગયો હતો. કચ્ચાતીવુ દ્વીપ શ્રીલંકાને અપાયાના થોડાં વર્ષોમાં જ ભારતમાં આ ટાપુ પરત લેવાની માંગ શરૂ થઇ ગઈ હતી. વર્ષ 1991 માં તમિલનાડુ વિધાનસભાએ એક પ્રસ્તાવ પારિત કર્યો હતો અને દ્વીપ પરત લેવાની માંગ કરી હતી. જે બાદ વર્ષ 2008 માં પણ આ મુદ્દો ચર્ચામાં આવ્યો હતો, જ્યારે તમિલનાડુનાં તત્કાલીન મુખ્યમંત્રી જયલલિતાએ સુપ્રીમ કોર્ટમાં આ મામલાને પડકારી આ દ્વીપને લઈને થયેલ સમજૂતી અમાન્ય ઠેરવવાની અપીલ કરી હતી.

    કચ્ચાતીવુ દ્વીપ સમુદ્રકિનારેથી દૂર આવેલ એક નિર્જન ટાપુ છે. 14મી સદીમાં થયેલા એક જ્વાળામુખી વિસ્ફોટ બાદ દ્વીપ બન્યો હોવાનું જાણવા મળે છે. બ્રિટીશ શાસન દરમિયાન આ દ્વીપનો ઉપયોગ ભારત અને શ્રીલંકા સંયુક્ત રીતે કરતા હતા. 1921 માં બંને દેશોએ દ્વીપ પર દાવો કર્યા બાદ વિવાદ વણઉકેલ્યો રહ્યો હતો.

    - Advertisement -
    તસવીર સાભાર : The times of Update

    દરમ્યાન, બંને દેશોના માછીમારો એકબીજાના જળવિસ્તારમાંથી માછલી પકડવાનું કામ કરતા રહ્યા હતા પરંતુ વર્ષ 1974-76 માં બંને દેશોએ સમુદ્રી સીમા સમજૂતી પર હસ્તાક્ષર કર્યા ત્યારે બંને દેશો વચ્ચે આંતરરાષ્ટ્રીય સમુદ્ર સીમા નક્કી કરવામાં આવી.

    આ સમજૂતી બાદ ભારતીય માછીમારોને માત્ર દ્વીપ પર આરામ કરવા, નેટ સૂકવવા અને વાર્ષિક સેન્ટ એન્થોની ફેસ્ટીવલ માટે જ જવાની પરવાનગી આપવામાં આવતી હતી. તેમને દ્વીપ પર માછલી પકડવાની અનુમતિ ન હતી. જોકે, ત્યારબાદ પણ ભારતીય માછીમારો માછલી પકડવા માટે શ્રીલંકાની સમુદ્રસીમામાં જતા રહેતા હતા.

    થોડાં વર્ષો સામાન્ય પરિસ્થિતિ રહ્યા બાદ વર્ષ 2009 માં શ્રીલંકાએ સમુદ્ર સીમાની સુરક્ષામાં વધારો કરી દીધો. જેનો ઉદ્દેશ્ય એ હતો કે તમિલ વિદ્રોહી તેમના દેશમાં પરત ન જઈ શકે. 2010 માં યુદ્ધ ખતમ થયા બાદ શ્રીલંકન માછીમારો આ ક્ષેત્રમાં ફરી આવવા લાગ્યા અને દ્વીપ પર દાવો ઠોકી દીધો હતો.

    આ વર્ષની શરૂઆતમાં જ રામેશ્વરમના માછીમારો પર કચ્ચાતીવુ ટાપુ નજીક શ્રીલંકન નેવી દ્વારા હુમલો થવાની ઘટના બની હતી. માછીમારોએ જણાવ્યું હતું કે તેઓ આ ક્ષેત્રમાં માછીમારી કરી રહ્યા હતા ત્યારે શ્રીલંકન નેવીની પેટ્રોલ બોટ દ્વારા તેમની ઉપર જાણીજોઈને હુમલો કરવામાં આવ્યો હતો. જે બાદ તેમની એક બોટ નાશ પામી હતી અને માછીમારો સમુદ્રમાં પડી ગયા હતા. જોકે, તેમના સાથી માછીમારોએ તેમને બચાવી લીધા હતા.

    આવી અનેક ઘટનાઓ બાદ કચ્ચાતીવુ દ્વીપ ફરીથી મેળવવા માટેની માંગ શરૂ થઇ ગઈ છે. તમિલનાડુ સરકારે કહ્યું કે, કચ્ચાતીવુ દ્વીપ પર ફરીથી ભારતનું સાર્વભૌમત્વ પુનઃસ્થાપિત કરવું એ જ આ કાયમી સમસ્યાનો ઉકેલ હશે. તમિલનાડુના મુખ્યમંત્રીએ ગત વર્ષે જૂન મહિનામાં તેમજ આ વર્ષે એપ્રિલ મહિનામાં પીએમ મોદીને મળીને કચ્ચાતીવુ ટાપુ પુનઃ કબજે કરવા સંદર્ભે બે મેમોરેન્ડમ સુપરત કર્યા હતા. જેમાં તમિલનાડુના માછીમારોને થતાં નુકસાન અને સમસ્યાઓની વાત કરવામાં આવી હતી.

    વિદેશ મંત્રાલયની વેબસાઈટ અનુસાર, ભારત અને શ્રીલંકા વચ્ચે વર્ષ 1974 અને 1976 માં થયેલ સમજૂતી હેઠળ આ દ્વીપ શ્રીલંકાના હિસ્સામાં આવે છે. આ મામલે હાલ સુપ્રીમ કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે. શ્રીલંકાએ ભારતીયોને કોઈ પણ વિઝા વગર ધાર્મિક કારણોસર આ દ્વીપ પર આવવાની મંજૂરી આપી છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં