AAP નેતા અને દિલ્હીના પૂર્વ નાયબ મુખ્યમંત્રી કમ શિક્ષણ મંત્રી મનીષ સિસોદિયા (Manish Sisodia) અને દિલ્હીના પૂર્વ PWDના મંત્રી સત્યેન્દ્ર જૈન (Satyendra Jain) વિરુદ્ધ હવે ભ્રષ્ટાચારનો (Corruption) ગુનો દાખલ કરવામાં આવ્યો છે. કૌભાંડનો આ કેસ ક્લાસરૂમ અને શાળાઓના બિલ્ડિંગ નિર્માણ સાથે જોડાયેલો છે. ACBની તપાસમાં સામે આવ્યું છે કે, AAPના કાર્યકાળ દરમિયાન 12,748 ક્લાસ/બિલ્ડિંગના નિર્માણમાં ₹2,000 કરોડનો કૌભાંડ (Scam) થયો હતો અને તેનો આરોપ AAPના આ બંને નેતાઓ પર લાગ્યો છે.
આરોપ એવા છે કે, ક્લાસરૂમ/બિલ્ડિંગનો કુલ નિર્માણ ખર્ચ વધારીને દર્શાવવામાં આવ્યો હતો અને તે સિવાય એક પણ કામ નિર્ધારિત અવધિમાં પૂર્ણ કરવામાં આવ્યું ન હતું. આરોપ છે કે, નિર્માણ કાર્ય માટે કંસલટેન્ટ અને આર્કિટેક્ટની નિમણૂક પણ મનસ્વી રીતે કરવામાં આવી હતી અને તેના આધારે જ નિર્માણનો ખર્ચ વધારે દર્શાવવામાં આવ્યો હતો. ACBએ આ કેસમાં ભ્રષ્ટાચાર નિરોધક અધિનિયમની કલમ 17-A હેઠળ FIR નોંધી છે.
કોન્ટ્રાક્ટ પણ પાર્ટીના કોન્ટ્રાકટરોને આપવામાં આવ્યા હોવાનો આરોપ
ACBની તપાસમાં એ પણ ઘટસ્ફોટ થયો છે કે, ક્લાસરૂમ સેમી પરમેનેન્ટ સ્ટ્રક્ચર (SPS) તરીકે બનાવવામાં આવ્યા હતા, જેની આવદરા 30 વર્ષની હોય છે. પરંતુ તેનો ખર્ચ RCC ક્લાસરૂમ જેટલો દર્શાવવામાં આવ્યો હતો. RCC ક્લાસરૂમની આવરદા 75 વર્ષની હોય છે. વધુમાં એ પણ આરોપ છે કે, આ પ્રોજેક્ટનો કોન્ટ્રાક્ટ 34 કોન્ટ્રાકટરોને આપવામાં આવ્યો હતો, જેમાં મોટાભાગના AAP સાથે જોડાયેલા હતા.
ACBના રિપોર્ટ અનુસાર, એક ક્લાસરૂમનું નિર્માણ ₹5 લાખમાં થઈ શક્યું હોત, પરંતુ તેનો ખર્ચ ₹24.86 લાખ સુધી પહોંચાડવામાં આવ્યો છે. રિપોર્ટમાં તેવું પણ કહેવાયું છે કે, SPS નિર્માણનો ખર્ચ ₹2292 પ્રતિ વર્ગ ફૂટ દર્શાવવામાં આવ્યો છે, જે પાક્કા સ્કૂલ ભવનોના ખર્ચ ₹2044થી ₹2416 પ્રતિ વર્ગ ફૂટના લગભગ બરાબર છે. AAP નેતાઓ પર ભ્રષ્ટાચારની ફરિયાદ ભાજપના પ્રવક્તા હરીશ ખુરાના, ધારાસભ્ય કપિલ મિશ્રા અને નીલકંઠ બક્ષીએ નોંધાવી હતી.
નોંધનીય છે કે, ભાજપ સાંસદ મનોજ તિવારીએ પણ 2019માં ઝોન 23, 24 અને 28ની સરકારી શાળાઓમાં વધુ ક્લાસરૂમના નિર્માણમાં ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો હતો. તેમણે પોતાની ફરિયાદમાં કહ્યું હતું કે, AAP સરકારે એક ક્લાસરૂમમાં ₹28 લાખ ખર્ચ કર્યા છે, જ્યારે તેની કિંમત માત્ર ₹5 લાખ સુધીની થઈ શકે છે.
આ કેસમાં ટેન્ડર વગર કુલ ₹326.25 કરોડનો ખર્ચ વધારી દેવામાં આવ્યો હતો, જેમાં ₹205.45 કરોડ માત્ર ‘રિચર સ્પેસિફિકેશન’માં વપરાયા હતા. આ કેસમાં ACBએ ઊંડી તપાસ શરૂ કરી છે. જેથી આખા કૌભાંડનું સત્ય સામે આવે અને ગુનેગારોને સજા આપી શકાય. ACB પ્રમુખ મધુર વર્માએ કહ્યું છે કે, તપાસમાં અજ્ઞાત સરકારી અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની ભૂમિકાની પણ તપાસ કરવામાં આવશે.