ભુજમાં સરકારી જમીન પચાવી પાડનાર ચાર ઈસમો સામે સ્થાનિક પ્રશાસને કાર્યવાહી કરીને બુલડોઝર ફેરવી દેવામાં આવ્યાં છે.
જેમની સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી તેમની ઓળખ સાજિદ રહેમતુલ્લા મોખા, રજબઅલી બરકતઅલી પઠાણ, તૌસિફ મામદ લાખા અને રિયાઝ મેમણ તરીકે થઈ છે. તમામ અનેક ગુનાઓમાં સંડોવાયેલા હતા અને ભુજ બી ડિવિઝન પોલીસ મથકે તેમની સામે એક કરતાં વધુ કેસ નોંધાયા છે.
ભુજમાં અસામાજિક તત્વો સામે કાર્યવાહી #bhuj #gujarat #sandeshnews pic.twitter.com/iKt1YJXrUD
— Sandesh (@sandeshnews) September 15, 2025
પશ્ચિમ ભુજ પોલીસે સોમવારે (15 સપ્ટેમ્બર) સવારથી જ અતિક્રમણ વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી હતી અને બુલડોઝરની મદદથી સરકારી જમીન પર દબાણ કરીને તાણી બાંધવામાં આવેલાં મકાનો જમીનદોસ્ત કરીને લાખોની કિંમતની જમીન ખાલી કરાવવામાં આવી હતી. જાણકારી અનુસાર પોલીસે આ કાર્યવાહીમાં કુલ 45 લાખની કિંમતની જમીન ખાલી કરાવી છે.
ડિમોલિશન કાર્યવાહીના વિડીયો પણ સોશિયલ મીડિયા પર સામે આવ્યા છે, જેમાં બુલડોઝર પાકાં મકાનો તોડતાં જોવા મળે છે. એક્શન સમયે કડક પોલીસ બંદોબસ્ત મૂકવામાં આવ્યો હતો, જે પણ જોઈ શકાય છે.
અસમાજિક તત્વો વિરુદ્ધ કચ્છ માં અવિરત રીતે બુલડોઝર કાર્યવાહી જારી.
— Kaushik Kanthecha (@Kaushikdd) September 15, 2025
પશ્ચિમ કચ્છ ના ભુજ માં B DIV પોલીસ સ્ટેશન વિસ્તાર માં અનેક ગુના ના હિસ્ટ્રીશિટરો આરોપીઓ સાજીદ રહેમતુલ્લા મોખા, રજબઅલી બરકતઅલી પઠાણ, તોસીફ ઉર્ફે જેન્ગો મામદ લાખા, રીયાઝ ભચુ મમણ ના દબાણો પર બુલડોઝર ફરી વળ્યું.… pic.twitter.com/TbGX7kCO7c
ગાંધીધામ બજારમાં પણ અતિક્રમણ હટાવવામાં આવ્યું
કચ્છના જ ગાંધીધામમાં પણ સોમવારે (15 સપ્ટેમ્બર) અતિક્રમણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. મહાનગરપાલિકાએ પોલીસને સાથે રાખીને મુખ્ય બજાર વિસ્તારમાં દબાણો હટાવ્યાં હતાં.
આ મામલે ફેબ્રુઆરી મહિનામાં પાલિકાએ દબાણ કરનારાઓને નોટિસ આપી હતી. ગત શુક્રવારે જનસુનાવની પણ યોજવામાં આવી અને બે દિવસમાં સ્વૈચ્છિક રીતે દબાણો હટાવવા માટે સૂચના આપવામાં આવી.
સમયમર્યાદા પૂર્ણ થયા બાદ સોમવારે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે કાર્યવાહી શરૂ કરાઈ અને સરકારી જમીન પરનાં અતિક્રમણ દૂર કરવામાં આવ્યાં. કામગીરીમાં PGVCLનો પણ સહયોગ લેવામાં આવ્યો. દબાણો હટાવવાથી ટ્રાફિકની સમસ્યામાંથી ઘણીખરી રાહત મળશે તેવું મનપાના અધિકારીઓએ જણાવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે કચ્છ જિલ્લો સરહદ પર સ્થિત હોવાથી આંતરિક સુરક્ષાની દ્રષ્ટિએ પણ બહુ અગત્યનો છે. અહીં સમયે-સમયે પોલીસ અને સ્થાનિક જિલ્લા પ્રશાસન આ પ્રકારે કાર્યવાહી હાથ ધરતાં રહે છે. અગાઉ પણ અનેક મજહબી બાંધકામો સહિતનાં દબાણો હટાવવામાં આવી ચૂક્યાં છે. ખાસ કરીને સરહદીય ગામડાંમાં આ પ્રકારની કાર્યવાહી થતી રહે છે. અગાઉ પણ અનેક હિસ્ટ્રીશીટરોએ અતિક્રમણ કરીને તાણી બાંધેલાં મકાનો પણ આ પ્રકારની કાર્યવાહીમાં ધરાશાયી કરીને કરોડોની જમીન ખુલ્લી કરાવવામાં આવી છે.


