ઉત્તર પ્રદેશના (Uttar Pradesh) અલીગઢમાં (Aligarh) દલિત પરિવારોએ (Dalit Families) મુસ્લિમ સમુદાયના (Muslims) લોકોની પ્રતાડનાના પગલે પલાયન કરવાની તૈયારીઓ શરૂ કરી દીધી હોવાનો મામલો સામે આવ્યો છે. સ્થાનિક લોકોનો આરોપ છે કે, મુસ્લિમ સમુદાયના લોકો તેમને રોજ માર મારે છે અને હેરાન કરે છે. આ કારણે તેઓ ઘર વેચવા મજબૂર છે. તેમણે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પાસે મદદ પણ માંગી છે.
અહેવાલ અનુસાર, આ સમગ્ર મામલો ઉત્તર પ્રદેશના અલીગઢ જિલ્લાના જવાં પોલીસ સ્ટેશન વિસ્તારના દાઉદપુર કોટા ગામનો છે. આ ગામમાં 400 મુસ્લિમ પરિવારો અને માત્ર 60 હિંદુ પરિવારો રહે છે. જેમાંથી 20 પરિવારો દલિત સમુદાયના છે. ત્યારે ગામના લોકોનો મુસ્લિમ સમુદાય પર એવો આરોપ છે કે, દલિત સમુદાયના લોકો પર દબાણ ઉભું કરવામાં આવી રહ્યું છે.
આરોપ છે કે, શાળામાં દલિત સમુદાયના બાળકોને પરેશાન કરવામાં આવે છે. ઉપરાંત બહેન-દીકરીઓ પરના અત્યાચારથી લઈને લગ્નમાં ડીજે વગાડવાના વિવાદો સુધી, ગામમાં વાતાવરણ તંગ બની ગયું છે. અહીં દલિત દીકરીઓના લગ્ન કરાવવા મુશ્કેલ બની ગયા છે. તાજેતરમાં, લગ્નના સરઘસ દરમિયાન થયેલી હિંસાની ઘટનામાં એક મહિલાના મૃત્યુથી આ મામલો વધુ ગંભીર બન્યો છે.
દલિત મહિલા પર કર્યો હુમલો
આ મામલે ગામની દલિત મહિલા જયંતી દેવીએ જણાવ્યું હતું કે, તેમના પાડોશી દરકશાની બકરી તેમના ઘરમાં ઘૂસી ગઈ તથા લોટ અને દૂધ બગાડી નાખ્યું હતું. જ્યારે તેણે વિરોધ કર્યો ત્યારે દરકશાએ તેમના પર હુમલો કરી દીધો હતો. ત્યારપછી તેમના પુત્ર પર પણ હુમલો કરવામાં આવ્યો હતો અને તેના પતિએ તેને માર માર્યો હતો. જયંતિ દેવીનો આરોપ છે, આવું પ્રથમ વાર નથી બન્યું.
જયંતી દેવીએ આરોપ લગાવ્યો હતો કે, આ લોકો તેમને દરરોજ આ રીતે હેરાન કરે છે, જેના કારણે તેમણે ઘર વેચવા માટેના પોસ્ટર લગાવ્યા છે. તેમણે કહ્યું હતું કે, “લગભગ દરરોજ આ લોકો અમારા ઘરે આવે છે અને બાળકોની નાની-નાની બાબતો માટે પણ અમને માર મારે છે. હવે, આ દબંગ લોકો દ્વારા થતી મુશ્કેલીને કારણે અમારે કંઈક તો કરવું પડશે. અમારી પાસે બીજો કોઈ રસ્તો નથી. હવે અમને અમારું ઘર ખાલી કરીને વેચવાની ફરજ પડી છે.”
દરરોજ કરવામાં આવે છે પરેશાન
પીડિત પરિવારોનું કહેવું છે કે, તેમણે ઘણી વખત પોલીસમાં ફરિયાદ કરી હતી, પરંતુ કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નહોતી. ગામના સ્થાનિક લોકોનો આરોપ છે કે, મુસ્લિમ સમુદાયના પ્રભાવશાળી લોકો કેસ દબાવવા માટે પોલીસને લાંચ આપે છે. દાઉદપુર કોટાના ગ્રામજન મોહિત કુમારે જણાવ્યું હતું કે, પથ્થરમારાથી ઘરોની બહાર પાર્ક કરેલા વાહનોના કાચ પણ તોડી નાખવામાં આવે છે.
તેમણે કહ્યું હતું કે, “ઘણીવાર ઘરો પર કચરો પણ ફેંકવામાં આવે છે. નાની નાની બાબતોમાં તેના પરિવારના સભ્યો સાથે ઝઘડા થાય છે. ગામમાં તેમના પરિવારની મહિલાઓ અને દીકરીઓ પણ સુરક્ષિત નથી. એટલા માટે અમને ઘર વેચવાની ફરજ પડી છે.” ત્યારે પીડિત પરિવારોએ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને સુરક્ષા પૂરી પાડવાની અપીલ કરી છે. જોકે, પોલીસ કાર્યવાહી પછી આ પોસ્ટર હટાવી લેવામાં આવ્યા હતા.