IIT ગાંધીનગરના (IIT Gandhinagar) હ્યુમેનિટીઝ એન્ડ સોશિયલ સાયન્સ વિભાગમાં થતા અમુક રિસર્ચ પ્રોજેક્ટ પર ચાલતા વિવાદ વચ્ચે હવે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે (ABVP) ઝંપલાવ્યું છે. સંગઠને પ્રશાસનને સંશોધન પ્રક્રિયામાં પારદર્શિતા પુનઃસ્થાપિત કરવાની અને જવાબદાર પ્રોફેસરો વિરુદ્ધ કાર્યવાહી કરવાની અપીલ કરીને કહ્યું છે કે કોઈ વિદ્યાર્થીને ધમકાવવામાં ન આવે તે સુનિશ્ચિત કરવામાં આવે. જો કોઈ પગલાં લેવામાં ન આવે તો સંગઠને આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે.
ABVPએ IIT ગાંધીનગર ફરતે ચાલતા વિવાદ પર ચિંતા જાહેર કરતાં કહ્યું કે, આ ઘટનાક્રમો સ્પષ્ટપણે વૈચારિક પક્ષપાત, અસહમતિને દબાવવાના પ્રયાસો અને વિદ્યાર્થીઓ– ખાસ કરીને હિંદુ સમુદાયના વિદ્યાર્થીઓની સાંસ્કૃતિક અને રાષ્ટ્રીય ભાવનાઓને અવગણવામાં આવી રહી હોવાનું સૂચવે છે.
HSS વિભાગમાં રિસર્ચના નામે અમુક મજહબી નરેટિવને પ્રોત્સાહન આપવામાં આવતું હોવાનું સામે આવ્યાનું કહીને સંગઠન ઉમેરે છે કે, તેમાંથી ઘણા થિસીસ પ્રોજેક્ટ ઇસ્લામિક બાબતો પર આધારિત હતા અને તેના કારણે શૈક્ષણિક નિષ્પક્ષતા પર પ્રશ્ન ઉઠે છે. ખાસ કરીને ગુજરાત રમખાણો પર આધારિત એક રિસર્ચ પ્રોજેક્ટનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જે વિશે ABVPનું કહેવું છે કે એકદમ ગોપનીય રીતે અકાદમિક મૂલ્યાંકનની પ્રક્રિયાને બાજુ પર રાખીને પૂર્ણ કરવામાં આવ્યો હતો. સંગઠન કહે છે કે, તેનાથી સંસ્થાની પારદર્શિતા પર પણ ગંભીર પ્રશ્નો ઉઠે છે.
Press Release
— ABVP Gujarat (@ABVPGujarat) May 4, 2025
ABVP Gujarat expresses grave concerns over ideological bias and cultural insensitivity at IIT Gandhinagar.
04/05/2025
Karnavati
Akhil Bharatiya Vidyarthi Parishad (ABVP) Gujarat expresses grave concern and unequivocal condemnation over a disturbing sequence of… pic.twitter.com/37XHU2l2Dl
સંગઠને સત્તાવાર નિવેદનમાં જણાવ્યું છે કે, જે વિદ્યાર્થીઓએ આ મુદ્દો ઉઠાવ્યો અને ચિંતા વ્યક્ત કરી તેમને ‘શિક્ષાત્મક પગલાં’ લેવાની ધમકીઓ આપવામાં આવી. પ્રેસ વિજ્ઞપ્તિમાં IIT ગાંધીનગરના HSS વિભાગના પ્રોફેસર નિશાંત ચોક્સીના એ મેઇલનો પણ ઉલ્લેખ છે, જેના વિશે ઑપઇન્ડિયાએ વિગતવાર જાણકારીઓ રિપોર્ટમાં આપી હતી. મેઇલમાં વિદ્યાર્થીઓને થિસીસ પ્રોજેક્ટ્સના વિષયો સાર્વજનિક કરવા બદલ શિક્ષાત્મક પગલાં લેવાની ચીમકી આપવામાં આવી હતી. વિદ્યાર્થી સંગઠને આ મામલે પણ સવાલો ઉઠાવ્યા છે.
આગળ કેમ્પસમાં લક્ષ્મી પૂજાની પરવાનગી આપવામાં ન આવી હોવાની બાબતનો ઉલ્લેખ કરીને કહેવામાં આવ્યું કે, દિવાળીના દિવસે હિંદુ વિદ્યાર્થીઓને મંજૂરી ન અપાઈ, પરંતુ એ જ દિવસે ડીજે પાર્ટીનું આયોજન થયું હતું અને તેમાં અશ્લીલ ગીતો પણ વગાડવામાં આવ્યાં હતાં. આ સિવાય મહાશિવરાત્રી પર ‘રિડલ્સ ઑફ હિંદુઇઝમ’ જેવાં આપત્તિજનક સાહિત્ય કેમ્પસમાં વહેંચવાની પ્રવૃત્તિ પર પણ સંગઠને વાંધો ઉઠાવ્યો અને કહ્યું કે, આ સ્પષ્ટપણે દર્શાવે છે કે ઘટનાઓ છૂટીછવાઈ બનતી નથી પરંતુ ભારતનાં સાંસ્કૃતિક મૂલ્યોને ક્રમશઃ બાજુ પર મૂકીને એક વૈચારિક દૃષ્ટિકોણને શૈક્ષણિક સંસ્થામાં સ્થાન આપવાના પ્રયાસો જણાય છે.
ABVPએ આગળ કહ્યું કે, IIT ગાંધીનગરમાં આવી ઘટનાઓ ચિંતા ઉપજાવે છે અને તેની ઉપર તાત્કાલિક પગલાં લેવાની જરૂર છે. તેમણે પ્રશાસનને તાત્કાલિક રિસર્ચ પ્રક્રિયામાં પારદર્શિતા લાવવા, વિદ્યાર્થીઓને ધાકધમકીઓ અને કાર્યવાહીથી બચાવવા અને જે ફેકલ્ટી સભ્યો આવું વાતાવરણ ઊભું કરી રહ્યા છે તેમની સામે કાર્યવાહી કરવા માટે અપીલ કરી હતી. સાથે એમ પણ જણાવ્યું કે, આ મામલાઓમાં જે કોઈની બેદરકારી સામે આવે તેમની વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવવી જોઈએ.
સંગઠને અંતે જણાવ્યું છે કે જો પ્રશાસન તેમની માંગ પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં નિષ્ફળ રહેશે તો ABVP આગળ પરિસરવ્યાપી પ્રદર્શનો શરૂ કરશે.