સુરતના આમ આદમી પાર્ટીના નેતા રામ ધડુકે રવિવારે (27 એપ્રિલ) સવારે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરીને રસ્તા પર ચોંટાડવામાં આવેલા પાકિસ્તાનના ઝંડા સામે વાંધો ઉઠાવ્યો અને તેને ‘રાષ્ટ્રદ્રોહ’નું કૃત્ય ગણાવી દીધું હતું. જોકે પછીથી કૉમેન્ટ બોક્સમાં લોકોએ સભ્ય ભાષામાં ઠમઠોરતાં ફેરવી તોળીને પોસ્ટ એડિટ કરી વાળવાનો પ્રયાસ કર્યો હતો.
રામ ધડુકે અમુક ફોટો પોસ્ટ કરીને લખ્યું કે, “સુરતના યોગીચોક વિસ્તારમાં આવેલ સાવલિયા સર્કલ પર પાકિસ્તાનના નકશા દોરેલ પતાકડાંનું સર્કલ બનાવવામાં આવ્યું છે. આવી હરકત કરી કોણ માહોલ બગાડવા માંગે છે? યોગ્ય પોલીસ તપાસ કરી ગુનેગારોને પકડી રાષ્ટ્રદ્રોહ બદલ કડક કાર્યવાહી કરવી જોઈએ.”

જે ફોટાઓ પોસ્ટ કરવામાં આવ્યા તેમાં જાહેર માર્ગ ઉપર પાકિસ્તાનના ઝંડાઓ ચોંટાડેલા જોવા મળે છે. નીચે ઈંગ્લિશમાં ‘પાકિસ્તાન’ લખવામાં પણ આવ્યું છે.
લોકોએ જોકે ધડુકને કૉમેન્ટ બોક્સમાં પૂછ્યું કે આખરે પાકિસ્તાનના ઝંડાઓ રસ્તા પર ચોંટાડીને વિરોધ કરવામાં આવતો હોય, આક્રોશ વ્યક્ત કરવામાં આવતો હોય તો તેમાં તકલીફ શું છે? તેનાથી માહોલ કઈ રીતે બગડે અને ખાસ તો આને ‘રાષ્ટ્રદ્રોહ’ કઈ રીતે કહી શકાય, જેના કારણે પોલીસ કાર્યવાહીની માંગ થઈ રહી છે?
વધારે પડતું થઈ ગયું હોવાની જાણ થતાં પછીથી AAP નેતાએ પોસ્ટ એડિટ કરીને રાષ્ટ્રદ્રોહવાળી લાઇનો હટાવી દીધી હતી અને ડાહીડાહી વાતો શરૂ કરી દીધી હતી.

એડિટ કર્યા બાદ પાકિસ્તાનના નકશા દોરેલાં પતાકડાંનું સર્કલ બનાવીને કોઈ માહોલ બગાડવા માંગતું હોવાનું કહીને ઉમેર્યું કે પોલીસે તપાસ કરવી જોઈએ. પછી કહ્યું કે, તેમના વિસ્તારના રહીશો પાકિસ્તાનનો ઝંડો નથી ઈચ્છતા અને પાકિસ્તાનનો વિરોધ કરનાર જાહેરમાં ઝંડો સળગાવે પણ છૂપી રીતે આવી હરકતો કરવાનો કોઈ બદઈરાદો હોય શકે છે. આ વિશે કન્ટ્રોલ રૂમમાં પણ જાણ કરવામાં આવી હોવાનું પોસ્ટમાં લખવામાં આવ્યું છે.
લોકોએ કૉમેન્ટ બોક્સમાં રામ ધડૂકને પ્રશ્ન કર્યા હતા કે આખરે પાકિસ્તાનના ઝંડા ચોંટાડીને આક્રોશ વ્યક્ત કરવામાં આવે તેનાથી તકલીફ કેમ થઈ રહી છે? લોકોએ પૂછ્યું કે પાકિસ્તાનનો વિરોધ કરવો એ માહોલ બગાડવા બરાબર કઈ રીતે કહી શકાય? જવાબમાં આ ભાઈએ ગોળગોળ વાતો કરી હતી.