Tuesday, April 29, 2025
More
    હોમપેજરાજકારણવિપક્ષી દળો મોદી વિરોધમાં બન્યા એટલા અંધ કે ન જોઈ શક્યા પહલગામના...

    વિપક્ષી દળો મોદી વિરોધમાં બન્યા એટલા અંધ કે ન જોઈ શક્યા પહલગામના પીડિતોની વ્યથા!: ધર્મના આધારે હિંદુઓની હત્યાના સાક્ષીઓને નકાર્યા, આતંકીઓના નાપાક ઈરાદાઓ પર સફેદી ચીતરવા સેટ કરી રહ્યા છે નેરેટિવ

    કોંગ્રેસ શાસિત કર્ણાટકના આબકારી મંત્રી આર. બી. થિમ્માપુરે કહ્યું, “હું વ્યક્તિગત રીતે માનું છું કે હુમલાખોરોએ પર્યટકોના નામ કે ધર્મ પૂછ્યા નથી. આ ફક્ત ગુપ્તચર નિષ્ફળતાને ઢાંકવા માટે ધાર્મિક રંગ આપવાનો પ્રયાસ છે.”

    - Advertisement -

    22 એપ્રિલ, 2025ના રોજ જમ્મુ-કાશ્મીરના પહલગામના (Pahalgam Terrorist Attack) બૈસરન વેલીમાં થયેલા આતંકી હુમલામાં 26 નિર્દોષ પર્યટકોનો જીવ ગયો. આ હુમલામાં આતંકીઓએ હિંદુ પર્યટકોને નિશાન બનાવી, તેમના નામ, આઈડી કાર્ડ ચેક કરી, કલમા પઢવાની ફરજ પાડી અને ધાર્મિક ઓળખના આધારે હત્યાઓ કરી હોવાનું સાક્ષીઓએ જણાવ્યું છે. આ ઘટનાએ દેશભરમાં આઘાત અને આક્રોશ ફેલાવ્યો છે. જોકે, આ ગંભીર ઘટના વચ્ચે કેટલાક રાજકીય નેતાઓએ પીડિતો અને પ્રત્યક્ષદર્શીઓના નિવેદનોને ખોટા ઠેરવી, હુમલાની વાસ્તવિકતા સ્વીકારવાનો ઇનકાર કર્યો છે. આવા નિવેદનો ન માત્ર પીડિતોની વેદનાનું અપમાન કરે છે, પરંતુ આતંકવાદના મૂળ સ્વરૂપને પણ ઢાંકવાનો પ્રયાસ કરે છે.

    બીજુ જનતા દળ એટલે કે BJDના રાજ્યસભા સાંસદ સુલતા દેવે પહલગામ હુમલા અંગે નિવેદન આપતાં કહ્યું, “જેટલા લોકો માર્યા ગયા અને જેટલા ઓછા સમયમાં હત્યા કરવામાં આવી, તેમાં ધર્મ પૂછવો કે ધર્મની ચકાસણી કરવી શક્ય જ નથી. આતંકનો કોઈ ધર્મ કે જાતિ નથી હોતી.”

    સુલતા દેવનું આ નિવેદન પ્રત્યક્ષદર્શીઓની સાક્ષીને સ્પષ્ટ રીતે નકારી રહ્યું છે. પીડિતોએ સ્પષ્ટપણે જણાવ્યું છે કે આતંકીઓએ હિંદુઓને ઓળખવા માટે નામ પૂછ્યા, આઈડી કાર્ડ ચેક કર્યા અને ધાર્મિક ચકાસણી કરી. આવું નિવેદન આપીને દેવે હુમલાના ધર્મની આધારે હત્યાના મામલાને ગૌણ બનાવીને પીડિતોના દુ:ખને ઓછું આંક્યું હોય એમ લાગી રહ્યું છે. આ નિવેદન રાજકીય સ્વાર્થને પ્રાથમિકતા આપે છે અને આતંકવાદના સાચા સ્વરૂપને ઢાંકવાનો પ્રયાસ કરે છે, જે રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરનાક છે.

    - Advertisement -

    મહારાષ્ટ્રમાંથી કોંગ્રેસના ધારાસભ્ય વિજય વાડેત્તીવારે પણ આવું જ નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે, “સરકાર કહે છે કે આતંકીઓએ ધર્મ પૂછીને લોકોને માર્યા. શું આતંકીઓ પાસે આટલો સમય હોય છે? આ બધી અટકળો છે. આતંકીઓની કોઈ જાત કે ધર્મ નથી. જવાબદાર લોકોને પકડો અને કાર્યવાહી કરો.”

    વાડેત્તીવારનું નિવેદન પીડિતોનું અપમાન છે. પ્રત્યક્ષદર્શીઓએ સ્પષ્ટ કર્યું છે કે આતંકીઓએ હિંદુઓને નિશાન બનાવવા માટે પુરુષોના પેન્ટ ઉતરાવીને સુન્નત કરાવેલી છે કે નહીં ત્યાં સુધી ચકાસણી કરી હતી. આવું નિવેદન આપીને વાડેત્તીવારે તેમની વોટબેંકને સુરક્ષિત રાખવાનો પ્રયાસ કર્યો હોય એમ લાગે છે. આવા બેજવાબદાર નિવેદનો આતંકવાદના મૂળ કારણોને અવગણીને સમાજમાં અવિશ્વાસ પેદા કરે છે.

    કોંગ્રેસ શાસિત કર્ણાટકના આબકારી મંત્રી આર. બી. થિમ્માપુરે બાગલકોટમાં મીડિયા સાથે વાત કરતાં કહ્યું, “હું વ્યક્તિગત રીતે માનું છું કે હુમલાખોરોએ પર્યટકોના નામ કે ધર્મ પૂછ્યા નથી. આ ફક્ત ગુપ્તચર નિષ્ફળતાને ઢાંકવા માટે ધાર્મિક રંગ આપવાનો પ્રયાસ છે.”

    થિમ્માપુરનું નિવેદન હુમલાની ગંભીરતાને ઓછી આંકે છે અને પીડિતોની વ્યથાને અવગણે છે. આતંકીઓએ હિંદુઓને નિશાન બનાવવા માટે ધાર્મિક ઓળખની ચકાસણી કરી હોવાના પુરાવા સ્પષ્ટ છે, છતાં થિમ્માપુરે આ હકીકતને નજરઅંદાજ કરીને સરકારની નિષ્ફળતા પર ધ્યાન ખેંચવાનો પ્રયાસ કર્યો. આવું નિવેદન નેતાની સંવેદનશીલતાના અભાવને દર્શાવે છે અને આતંકવાદના ધાર્મિક ઉદ્દેશ્યને ઢાંકવાની કોશિશ કરે છે.

    ટીએમસીના જિલ્લા પરિષદ સભ્ય મર્જિના ખાતૂને માલદામાં કહ્યું, “બીજેપીએ નવા વક્ફ કાયદાથી લોકોનું ધ્યાન હટાવવા માટે આ હુમલો કરાવ્યો છે. બીજેપી આતંકીઓને આશરો આપે છે, તેથી ત્યાં સેનાના જવાનો નહોતા. બિહારમાં ચૂંટણી નજીક છે, તેથી બીજેપી સાંપ્રદાયિક વાતાવરણ ઊભું કરવા માગે છે.”

    મર્જિના ખાતૂનનું નિવેદન નિરાધાર અને ષડયંત્રની થિયરી અને એક નવા નેરેટિવને પ્રોત્સાહન આપનારું છે. પીડિતોના નિવેદનોને નકારીને ખાતૂને આ હુમલાને રાજકીય ષડયંત્ર સાથે જોડી, આતંકીઓને બચાવવાનો પ્રયાસ કર્યો. આવું નિવેદન ન માત્ર પીડિતોના ન્યાયની માંગને નબળી પાડે છે, પરંતુ સમાજમાં વિભાજન અને ગેરસમજ ફેલાવે છે. આવા બેજવાબદાર નિવેદનો રાષ્ટ્રીય એકતા માટે હાનિકારક છે.

    આ નિવેદનો પરથી એવું લાગી રહ્યું છે કે વિપક્ષી દળો ભાજપ અને મોદી વિરોધમાં એટલા અંધ બની ગયા છે કે પીડિતોની વ્યથા સાંભળી શકતા નથી. ધર્મના આધારે હત્યા કરવામાં આવી એવું કોઈ એક વ્યક્તિએ નથી કહ્યું. પહલગામ હુમલા વખતે ઘટના સ્થળે હાજર ઘણા પીડિતો આ નિવેદન આપી ચૂક્યા છે અને બધાના નિવેદનમાં એક જ વસ્તુ સમાન હતી કે ધર્મના આધારે આ હત્યાકાંડ આચરવામાં આવ્યો છે.

    અહીં પ્રશ્ન એ પણ છે આતંકીઓ પ્રત્યે આવું વલણ કેમ? શું વિપક્ષી દળોના નેતાઓએ એ ન સમજવું જોઈએ કે પહલગામ હુમલામાં જેમણે પોતાના પરિજનોને ગુમાવ્યા છે એ પીડિતો કોઈ પાર્ટીથી જોડાયેલા નથી, પોતીકા લોકોને ગુમાવ્યા, પોતે જે માનસિક નુકસાન સહી રહ્યા છે એની પીડાથી વિશેષ એમના માટે બીજું શું હોઈ શકે? તેમ છતાં પીડિતોના નિવેદનોને ખોટા ગણાવવા એ કેટલી હદે યોગ્ય છે?

    પોતાના પતિ-પિતા-ભાઈને ગુમાવેલ વ્યક્તિને આ નિવેદન આપવાથી શું મળવાનું છે? આસામની એક યુનિવર્સિટીના પ્રોફેસરે પણ નિવેદન આપ્યું હતું કે કલમા પઢવાના કારણે જ તેમનો અને તેમના પરિવારનું જીવન બચ્યું છે. નેવીના લેફ્ટીનન્ટની પત્નીએ, SBIના કર્મચારીના 12 વર્ષના પુત્રએ પણ આ જ નિવેદન આપ્યું છે કે ધર્મના આધારે માત્ર હિંદુઓની હત્યા કરવામાં આવી હતી. શું એવું નથી લાગી રહ્યું કે વિપક્ષી નેતાઓ માત્ર તેમની રાજકીય મહત્વકાંક્ષાઓ અને મુસ્લિમ વોટબેંકને સાચવવા માટે પીડિતોની વ્યથાને અવગણી રહ્યા છે.

    વિરોધ કરી રહેલ નેતાઓએ યાદ રાખવું જોઈએ કે આ કોઈ પ્રથમ આતંકી હુમલો નથી જે ધર્મના નામે થયો હોય. આ પહેલાં પણ કાશ્મીર અને દેશના લોકો ધર્મના આધારે થયેલ હુમલા અને હત્યાકાંડોનો સામનો કરી ચૂક્યા છે. એવું લાગી રહ્યું છે કે મોદી વિરોધમાં અંધ થયેલા વિપક્ષી દળો કાશ્મીરી પંડિતો સાથે જે ઘટ્યું, અમરનાથ યાત્રામાં થયેલા હુમલા ભૂલી ગયા છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં