રાહુલ ગાંધી અને વિપક્ષ છેલ્લા કેટલાય દિવસથી એક જ વાતનો ઢોલ પીટતા હતા કે અમિત શાહ સંસદમાં આવે, વિદ્યાર્થીઓ પર થયેલી પોલીસ કાર્યવાહી અંગે જવાબ આપે. ગૃહમંત્રી સંસદમાં કેમ નથી આવતા, તેઓ સામે આવીને વાત કેમ નથી કરતા, સરકાર જવાબ કેમ નથી આપતી… આ બધું એટલી વાર કહેવામાં આવ્યું કે જાણે અમિત શાહ સંસદના દરવાજા પાસે ક્યાંક સંતાઈને બેઠા હોય.
હવે અમિત શાહે પોતે કહી દીધું છે કે આવો, ચર્ચા કરી લો. માત્ર બે કલાક નહીં, જરૂર પડે તો આખી રાત અને બીજા દિવસે બપોર સુધી બેસીશ. તમે જે પૂછવું હોય પૂછો, હું સાંભળીશ અને દરેક મુદ્દાનો જવાબ આપીશ. પરંતુ અહીંથી રાહુલ ગાંધીના રાજકારણનો સલી ખેલ બહાર આવે છે. હવે તેઓ કહે છે કે અમને અમિત શાહનો ‘લેક્ચર’ સાંભળવામાં રસ નથી! એટલે દિવસોથી જે માણસને બોલાવવા માટે સંસદ માથે લીધી હતી, એ માણસ બોલવા તૈયાર થયો તો અચાનક તેની વાત સાંભળવાની જ જરૂર રહી નહીં.
ગૃહમંત્રી આવ્યા તો મુશ્કેલી ક્યાં પડી?
અમિત શાહે 12 ઑગસ્ટે લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાને લખેલા પત્રમાં વાત બહુ સીધી રાખી છે. સરકાર વિદ્યાર્થી આંદોલન અને તેની સાથે જોડાયેલા મુદ્દાઓ પર વિગતવાર ચર્ચા માટે તૈયાર છે. કિરણ રિજિજુએ પણ સરકાર ચર્ચા માટે તૈયાર હોવાનું અગાઉ જ કહ્યું હતું. હવે શાહે પોતે કહ્યું કે આજે બપોરે 3 વાગ્યાથી બીજા દિવસે બપોરે 3 વાગ્યા સુધી પણ ચર્ચા કરવી પડે તો તેઓ ગૃહમાં બેસશે. વિપક્ષ જે મુદ્દો ઉઠાવશે, તેના પર જવાબ આપશે. જરૂર પડે તો રાત સુધી ચર્ચા ચાલે અને પ્રશ્નકાળ પણ સ્થગિત કરવો પડે તો તેના પર પણ વિચાર થઈ શકે.
Union Home Minister Amit Shah writes a letter to Lok Sabha Speaker Om Birla.
— ANI (@ANI) August 12, 2026
"You are aware that the Minister of Parliamentary Affairs, Kiren Rijiju, has agreed on behalf of the government—during the Business Advisory Committee meeting—to hold a discussion in Parliament… pic.twitter.com/d7mMKItESX
આખરે વિપક્ષને આનાથી વધારે શું જોઈએ? ગૃહમંત્રી સામે બેઠા છે. માઇક સામે છે. સંસદની કાર્યવાહી રેકોર્ડ પર છે. દેશ જોઈ રહ્યો છે. જે સવાલો દિવસોથી રસ્તા પર પૂછવામાં આવી રહ્યા છે, એ જ સવાલો હવે સીધા ગૃહમંત્રીને પૂછો. જવાબમાં કંઈ ખોટું લાગે તો ફરી ઘેરો. સરકારનો જવાબ નબળો લાગે તો દસ્તાવેજો સાથે ઊભા થઈ જાઓ. રાજકારણમાં સરકારને ઘેરવાની આનાથી સ્વચ્છ તક બીજી કઈ હોય?
પણ ના. રાહુલ ગાંધીને હવે આમાં રસ નથી.
આ જ તો આખી રમત છે. માંગણી જવાબની હતી કે માત્ર અમિત શાહને કઠેડામાં ઊભા રાખવાની? કારણ કે જવાબ ખરેખર જોઈતો હોય તો જવાબ આપવા તૈયાર માણસ સામે બેસાડીને વાત પૂરી કરી શકાય. અહીં તો વાત જ ત્યાં અટકી ગઈ જ્યાં અમિત શાહે કહ્યું કે ‘હું બેસું છું, તમે પૂછો.’
‘અમિત શાહ ક્યાં છે?’થી ‘અમિત શાહને સાંભળવામાં રસ નથી’ સુધી
રાહુલ ગાંધી 29 જુલાઈએ લોકસભામાં અમિત શાહ પર સીધો હુમલો કરી ચૂક્યા હતા. ‘વિદ્યાર્થીઓ સામે પોલીસ કાર્યવાહીનો આદેશ કોણે આપ્યો, ગૃહમંત્રીએ આપ્યો હતો, શાહ સંસદમાં કેમ નથી આવતા’ આ પ્રકારના સવાલો તેમણે ઉઠાવ્યા હતા. બહાર પણ એ જ વાત ચાલતી રહી. વિપક્ષની મુખ્ય માંગ હતી કે અમિત શાહે ગૃહમાં આવીને જવાબ આપવો જોઈએ.
मोदी सरकार संसद में हर तरह की चर्चा के लिए तैयार है। मगर विपक्ष का उद्देश्य चर्चा करना नहीं, हंगामा करना है।
— Amit Shah (@AmitShah) August 12, 2026
विपक्ष लोकसभा अध्यक्ष जी के पास चर्चा का पत्र दे, आज दोपहर 3 बजे से कल दोपहर 3 बजे तक हम चर्चा करने के लिए तैयार हैं। मैं कल विपक्ष के एक-एक सवाल का जवाब दूँगा।
फिर जनता… pic.twitter.com/6ZeYNdZUP2
સરકારની તરફથી જવાબ હતો કે ચર્ચા માટે આવો. હવે ગૃહમંત્રીનો જવાબ છે કે હું પોતે 24 કલાક સુધી બેસવા તૈયાર છું અને રાહુલ ગાંધીનો જવાબ છે કે, ‘અમને સાંભળવામાં રસ નથી.’
વાહ.
દિવસોથી ‘બોલો, બોલો’ કહેતા રહો અને બોલનાર સામે આવી જાય ત્યારે ‘તમારી વાત સાંભળવી નથી’ કહી દો. કોંગ્રેસના આ રાજકારણમાં ક્યારેક એવું બને છે કે ‘યુવરાજ’ને પોતાની જ માગણી પૂરી થઈ જાય પછી ખબર પડે છે કે હવે આગળ શું કરવાનું છે એ તો ખબર જ નથી!
કારણ કે સંસદમાં ચર્ચા થવી એટલે માત્ર નારેબાજી કરવી નથી. ત્યાં પોતાની વાત મૂકવી પડે. સામેવાળાની વાત સાંભળવી પડે. તેણે આપેલા જવાબનો જવાબ આપવો પડે. પોતાના આરોપોનો આધાર પણ બતાવવો પડે. આ આખી માથાકૂટમાંથી પસાર થવું પડે. હોબાળામાં આ બધું કરવાની જરૂર પડતી નથી.
વિદ્યાર્થીઓનો મુદ્દો એટલો ગંભીર છે તો ચર્ચાથી ભાગવાનું શા માટે?
NEET જેવી પરીક્ષામાં ગેરરીતિનો મુદ્દો હોય કે વિદ્યાર્થીઓ પર પોલીસ કાર્યવાહીનો આરોપ, બંને ગંભીર બાબતો છે. લાખો વિદ્યાર્થીઓનું ભવિષ્ય પરીક્ષા સાથે જોડાયેલું હોય ત્યારે સરકારને પ્રશ્નો પૂછવા જોઈએ, જવાબ માંગવા જોઈએ અને જ્યાં ગેરરીતિ હોય ત્યાં કાર્યવાહી પણ થવી જોઈએ.
પરંતુ વિદ્યાર્થીઓનો મુદ્દો ખરેખર કેન્દ્રમાં હોય તો સંસદમાં ચર્ચાથી ભાગવાનો સવાલ જ ઊભો થતો નથી. અહીં તો વિપક્ષ પાસે એક એવી તક આવી છે જે કોઈ પણ જવાબદાર વિપક્ષ માગે. ગૃહમંત્રી ખુદ ચર્ચા માટે તૈયાર છે. એટલું જ નહીં, તેઓ કહી રહ્યા છે કે તમે જેટલો સમય માગો એટલો સમય લો. હું બેસીશ. તમે બોલો. હું સાંભળીશ. પછી હું જવાબ આપીશ.
આવી તક મળ્યા પછી પણ જો કોઈ પક્ષ ચર્ચા કરતાં હોબાળો પસંદ કરે તો પછી મુદ્દો ક્યાંક બીજે છે એવું સમજવામાં બહુ અક્કલ ખર્ચવાની જરૂર નથી. મૂળ વાત એમ છે કે રાહુલ ગાંધી એન્ડ ગેંગને માત્ર હોબાળો કરવામાં અને મજા લેવામાં રસ છે. તેમને વિદ્યાર્થીઓના મુદ્દાઓ સાથે એટલો જ સંબંધ છે, જેટલો ઇન્દિરા ગાંધીને લોકશાહીથી હતો.
બીજી એક વાત એ કે ચર્ચા થાય તો સરકાર પણ પોતાની વાત કહેશે. અત્યાર સુધી રસ્તા પર, સભાઓમાં અને સોશિયલ મીડિયા પર જે નેરેટિવ ચલાવવામાં આવ્યો છે તેની સામે સરકારના દાવા આવશે. પોલીસ કાર્યવાહી અંગે સરકાર શું કહે છે, કોણે શું આદેશ આપ્યો, કયા સંજોગોમાં કાર્યવાહી થઈ, આ બધું રેકોર્ડ પર આવશે.
અત્યારે જે વાર્તામાં એક જ પક્ષ બોલી રહ્યો છે, તેમાં બીજો પક્ષ માઇક લઈને ઊભો થઈ જશે અને કદાચ આ જ જગ્યાએ કોંગ્રેસની મુશ્કેલી શરૂ થાય છે.
ઝારખંડે વચ્ચે આવીને આખો ખેલ બગાડી નાખ્યો
આ મુદ્દો વધુ રસપ્રદ ત્યારે બને છે જ્યારે વચ્ચે ઝારખંડ આવી જાય છે.
દિલ્હીમાં વિદ્યાર્થીઓ પર પોલીસ કાર્યવાહીનો મુદ્દો ઉઠાવીને કોંગ્રેસ અને તેના સાથી પક્ષો કેન્દ્ર સરકારને ઘેરી રહ્યા હતા. એ જ સમયગાળામાં ઝારખંડમાં JPSC-JSSCના વિદ્યાર્થીઓ વિધાનસભા ઘેરવા પહોંચ્યા. ત્યાં પોલીસે વૉટર કેનન, ટિયર ગેસ અને લાઠીચાર્જનો ઉપયોગ કર્યો. વિદ્યાર્થીઓ ભરતી પરીક્ષામાં ગેરરીતિના આરોપો અંગે કાર્યવાહી માગી રહ્યા હતા.
હવે રાજકીય કાચબો અહીં ફસાઈ જાય છે.
જો વિદ્યાર્થીઓ પર બળપ્રયોગનો મુદ્દો છે તો તે દિલ્હી હોય કે રાંચી માપદંડ એક જ હોવો જોઈએ. પરંતુ દિલ્હીની ઘટના ભાજપની કેન્દ્ર સરકાર સામે વાપરી શકાય અને ઝારખંડની ઘટના કોંગ્રેસના સાથી પક્ષની સરકાર સામે આવે તો આખી વાર્તા એટલી સરળ રહેતી નથી.
આ કારણે જ ઝારખંડની ઘટના વિપક્ષના હાથમાં રહેલા એકતરફી નેરેટિવમાં કાંકરો બનીને આવી છે. અત્યાર સુધી સરકાર સામે આંગળી ચીંધવી સરળ હતી. હવે સામે પણ એક સવાલ ઊભો કરી શકાય છે કે વિદ્યાર્થીઓ પર બળપ્રયોગનો વિરોધ સિદ્ધાંત છે કે સગવડ પ્રમાણે બદલાતી રાજકીય દલીલ? અને આ સવાલનો જવાબ સંસદમાં ચર્ચા થવાથી જ વધુ સારી રીતે બહાર આવી શકે છે.
હોબાળો ચાલે તો મુદ્દો જીવતો રહે, ચર્ચા થાય તો હિસાબ આપવો પડે!
આ આખી કવાયતનો સૌથી મોટો ફાયદો કોને છે? વિદ્યાર્થીઓને કે રાજકીય પક્ષોને? વિદ્યાર્થીઓને તો ઉકેલ જોઈએ. પરીક્ષાની વ્યવસ્થા અંગે જવાબ જોઈએ. ગેરરીતિ હોય તો જવાબદારો સામે કાર્યવાહી જોઈએ. પોલીસ કાર્યવાહી અંગે આરોપ હોય તો તેની પણ તપાસ અને જવાબદારી જોઈએ.
આ બધું સંસદીય ચર્ચામાં થઈ શકે છે. પરંતુ રાજકારણને ક્યારેક ઉકેલ કરતાં મુદ્દો વધારે ગમે છે. કારણ કે ઉકેલ આવી જાય એટલે મુદ્દો પૂરો થઈ જાય. મુદ્દો પૂરો થઈ જાય એટલે નારેબાજી બંધ. નારેબાજી બંધ એટલે કેમેરા બંધ અને કેમેરા બંધ એટલે રાજકીય ફાયદો પણ બંધ.
એટલે મુદ્દો ધગધગતો રહે એ જરૂરી બની જાય છે. અહીં અમિત શાહે એક ઝાટકામાં આ આખી રમત મુશ્કેલ કરી નાખી. તેમણે કહ્યું કે ચાલો, મુદ્દો ધગધગતો રાખવાને બદલે ચર્ચા કરીએ. તમે આરોપ લગાવો, હું જવાબ આપું.
આથી હવે રાહુલ ગાંધી માટે સૌથી સરળ રસ્તો એ હતો કે તેઓ ચર્ચામાં જાય અને સરકારને ઘેરે. પરંતુ તેના બદલે તેમણે કહી દીધું કે અમને અમિત શાહને સાંભળવામાં રસ નથી! અર્થાત, જે માણસને બોલાવવો હતો તે બોલવા તૈયાર છે, પરંતુ હવે તેની વાત સાંભળવી નથી.
13 ઑગસ્ટ સુધીનો સમય અને રાજકીય ગણિત
મોનસૂન સત્રનો 13 ઑગસ્ટ અંતિમ દિવસ છે. એટલે હવે સમય બહુ ઝાઝો રહ્યો નથી. આખું સત્ર વિરોધ અને હોબાળામાં પસાર કર્યા પછી છેલ્લે ચર્ચા થઈ જાય તો અત્યાર સુધીની રાજકીય કવાયતનું ગણિત બદલાઈ શકે છે.
ચર્ચા ન થાય તો કોંગ્રેસ કહી શકે કે સરકાર જવાબ આપવા તૈયાર નહોતી. પરંતુ હવે અમિત શાહે લેખિતમાં કહી દીધું છે કે ચર્ચા માટે તૈયાર છું. 24 કલાક સુધી બેસીશ. દરેક સવાલનો જવાબ આપીશ.
આ પછી પણ ગૃહ ચાલવા ન દેવામાં આવે તો દોષ કોના માથે જશે એ સમજવું બહુ મુશ્કેલ નથી. આખરે રાજકારણમાં ક્યારેક પોતાની જ ગોઠવેલી ગોટી પાછી આવીને પગમાં વાગે છે. કોંગ્રેસે ‘અમિત શાહ બોલતા કેમ નથી?’નો નારો એટલો ઉછાળ્યો કે હવે અમિત શાહે ખરેખર બોલવાનું કહી દીધું. પરિણામે નારો જ કોંગ્રેસ માટે બૂમરેંગ બની ગયો.
હવે વાત વિદ્યાર્થીઓની આડમાં છુપાવી શકાય એટલી રહી નથી.
જો વિદ્યાર્થીઓનો મુદ્દો છે તો ચર્ચા કરો. જો પોલીસ કાર્યવાહીનો મુદ્દો છે તો સવાલ કરો. જો ગૃહમંત્રી જવાબદાર છે એવું લાગે છે તો તેમની સામે જ બેસીને જવાબ માગો. જો સરકારનો જવાબ ખોટો લાગે તો દેશ સામે તેને ખોટો સાબિત કરો.
પણ ગૃહમંત્રીને બોલાવવાની માગણી કરીને, ગૃહમંત્રી બોલવા તૈયાર થાય પછી ‘તમારો લેકચર નથી સાંભળવો’ કહેવું એ કંઈ વિદ્યાર્થીઓની લડાઈ નથી. આ તો એ માણસની હાલત છે, જે તોતિંગ ઉધારી લઈને આખો દિવસ દુકાનદારને કહે કે ‘હિસાબ બતાવ’ અને હિસાબની ચોપડી સામે આવે ત્યારે કહે કે ‘મારે જોવી જ નથી.’
રાહુલ ગાંધી અને કોંગ્રેસે કદાચ મોડું સમજ્યું છે કે સંસદમાં સરકારને ઘેરવી હોય તો હોબાળો સૌથી સરળ રસ્તો છે, પરંતુ સૌથી અસરકારક રસ્તો નથી. અસરકારક રસ્તો ચર્ચા છે અને ચર્ચામાં સામે પક્ષ પણ બોલે છે.
વિદ્યાર્થીઓના નામે શરૂ થયેલો આ આખો રાજકીય ખેલ હવે ત્યાં આવીને ઊભો છે જ્યાં વિદ્યાર્થીઓ કરતાં રાજકીય સ્ક્રિપ્ટ વધુ દેખાય છે. અમિત શાહને સંસદમાં બોલાવવાની માંગથી શરૂ થયેલી વાત અમિત શાહને સાંભળવાનો ઇનકાર કરીને અહીં આવી પહોંચી છે.
એટલે વાત હવે એકદમ સ્પષ્ટ છે. કોંગ્રેસને અમિત શાહનો જવાબ જોઈતો હોત તો તે આજે સંસદમાં બેસીને જવાબ સાંભળત. તેને હોબાળો જોઈએ છે, કારણ કે હોબાળામાં નેરેટિવ પોતાની મરજીનો બનાવી શકાય છે, ચર્ચામાં તો સામેનો માણસ પણ બોલે છે અને કદાચ એ જ વાત રાહુલ ગાંધીને સૌથી વધુ ખટકી રહી છે.


