પરિણામો પહેલાં રઘવાયાં થયાં મમતા બેનર્જી, સ્ટ્રોંગ-રૂમની બહાર ચાર કલાક સુધી નાખ્યા ધામા: EVMમાં છેડછાડના આરોપો ચૂંટણી પંચે નકાર્યા

પશ્ચિમ બંગાળની ચૂંટણી પ્રક્રિયા હંમેશા વિવાદો અને હિંસાના છાયા હેઠળ રહેતી હોય છે. આ વખતે પણ મતદાન પૂર્ણ થયાં બાદ જ્યારે EVM મશીનોને સ્ટ્રોંગ-રૂમમાં સુરક્ષિત રાખવાની પ્રક્રિયા ચાલી રહી હતી, ત્યારે અચાનક મુખ્યમંત્રી મમતા બેનર્જી પોતે સ્ટ્રોંગ-રૂમ પર પહોંચી ગયાં હતાં. લગભગ ત્રણ કલાક સુધી ત્યાં ધામા નાખીને બેસી રહેલાં મમતા બેનર્જીનાં આ પગલાંને ભાજપે સત્તાનો દુરુપયોગ અને ચૂંટણી પંચ પર દબાણ લાવવાનો પ્રયાસ ગણાવ્યો છે.

આ સમગ્ર વિવાદની શરૂઆત ત્યારે થઈ જ્યારે ભાજપના કાર્યકરોએ ભવાનીપુરમાં તૃણમૂલ કોંગ્રેસના એક શંકાસ્પદ વાહનને અટકાવ્યું. ભાજપનો આરોપ હતો કે આ વાહનથી EVM સાથે છેડછાડ કરવાનો અથવા ગેરરીતિ આચરવાનો પ્રયાસ થઈ રહ્યો હતો. ભાજપના કાર્યકરોએ રસ્તા પર ઉતરીને સૂત્રોચ્ચાર કર્યા અને ટીએમસી પર ચૂંટણીમાં ગેરરીતિ કરવાના આક્ષેપો લગાવ્યા. આ ઘટનાને કારણે વિસ્તારમાં ભારે તણાવ સર્જાયો હતો અને પોલીસ તેમજ સુરક્ષાદળોએ પરિસ્થિતિ કાબૂમાં લેવા ભારે જહેમત ઉઠાવવી પડી હતી.

મમતા બેનર્જીએ સ્ટ્રોંગ-રૂમની બહાર ચાર કલાક સુધી ચોકી કરી તે બાબતે વિપક્ષો અનેક સવાલો ઉઠાવી રહ્યા છે. શું એક મુખ્યમંત્રીને બંધારણીય સંસ્થાઓ અને ચૂંટણી પંચની સુરક્ષા વ્યવસ્થા પર ભરોસો નથી? સ્ટ્રોંગ-રૂમમાં જ્યાં કેન્દ્રીય દળોનો ચુસ્ત બંદોબસ્ત હોય છે, ત્યાં મુખ્યમંત્રીનું રૂબરૂ જવું એ વહીવટીતંત્રને ડરાવવા સમાન છે તેવા આક્ષેપો થઈ રહ્યા છે. ટીએમસીએ દાવો કર્યો હતો કે તેઓ માત્ર EVMની સુરક્ષા સુનિશ્ચિત કરવા માંગતા હતા, જોકે આ તર્ક વિવાદનું કેન્દ્ર બન્યો છે.

ચૂંટણી પંચની સ્પષ્ટતા

ચૂંટણી પંચના અધિકારીઓએ આ મામલે સ્પષ્ટતા કરતા જણાવ્યું છે કે તમામ પોલ્ડ EVM સંપૂર્ણપણે સુરક્ષિત છે અને TMCએ કરેલા છેડછાડના આક્ષેપો પાયાવિહોણા છે. પંચે સ્પષ્ટ કર્યું કે સ્ટ્રોંગ-રૂમમાં પ્રવેશ અને સુરક્ષાના કડક પ્રોટોકોલ હોય છે અને તેમાં કોઈ પણ પ્રકારની ગેરરીતિ શક્ય નથી. તેમ છતાં મમતા બેનર્જીએ પંચની આ સ્પષ્ટતાને નકારી કાઢી હતી, જે તેમની હતાશા અથવા ચૂંટણી પરિણામો અંગેનો ડર દર્શાવે છે તેવું રાજકીય વિશ્લેષકો માની રહ્યા છે.

ત્રણ કલાકના હાઈવોલ્ટેજ ડ્રામા બાદ જ્યારે મમતા બેનર્જી સ્ટ્રોંગ રૂમની બહાર આવ્યા ત્યારે તેમણે ઉશ્કેરણીજનક નિવેદન આપ્યું હતું. તેમણે પત્રકારો સામે આક્રોશ વ્યક્ત કરતા કહ્યું, “હું આખી જિંદગી લડતી રહીશ, હું હાર માનવાની નથી.” મમતાના આ નિવેદનને ભાજપે તેમની હાર સ્વીકારવા સમાન ગણાવ્યું છે. ભાજપનું કહેવું છે કે જ્યારે જનતાનો સાથ છૂટી જાય છે ત્યારે નેતાઓ આ રીતે ‘લડત’ ના નામે અરાજકતા ફેલાવવાનો પ્રયાસ કરતા હોય છે.

ભાજપ અને TMCના કાર્યકરો વચ્ચે ઘર્ષણ

આ સમગ્ર ઘટનામાં ટીએમસી અને ભાજપના કાર્યકરો વચ્ચે ઉગ્ર બોલાચાલી અને ઘર્ષણ પણ જોવા મળ્યું હતું. ભાજપના કાર્યકરોએ આક્ષેપ કર્યો હતો કે ટીએમસી હાર ભાળી ગઈ હોવાથી હવે મશીનોમાં ગરબડ કરવાની કોશિશ કરી રહી છે. બીજી તરફ, મમતા બેનર્જીએ કેન્દ્રીય દળો પર પક્ષપાત કરવાનો આરોપ લગાવ્યો હતો. જોકે, ઘટનાના વીડિયો ફૂટેજ જોતા જણાય છે કે ટીએમસીના નેતાઓ જ નિયમોનું ઉલ્લંઘન કરી રહ્યા હતા, જે મમતા બેનર્જીના વહીવટ પર મોટા પ્રશ્નાર્થ ચિહ્નો ઉભા કરે છે.

ગઈકાલની આ ઘટનાએ પશ્ચિમ બંગાળના રાજકારણમાં નવો વળાંક આપ્યો છે. મમતા બેનર્જીના વર્તનથી સામાન્ય જનતામાં એવો સંદેશ ગયો છે કે શું તેઓ ખરેખર લોકશાહીમાં માને છે? સ્ટ્રોંગ-રૂમની સુરક્ષા પર સવાલ ઉઠાવીને તેમણે સીધી રીતે ચૂંટણી પંચની સ્વાયત્તતા પર હુમલો કર્યો છે. આગામી દિવસોમાં આ મામલે વધુ તપાસ થશે કે કેમ તે જોવું રહ્યું.