35 વર્ષ બાદ ફરી ખોલાયો કાશ્મીરી હિંદુ મહિલાની હત્યાનો કેસ, શ્રીનગરમાં આતંકી યાસીન મલિકનાં ઠેકાણાં સહિત 8 સ્થળોએ દરોડા

જમ્મુ-કાશ્મીર પોલીસની સ્ટેટ ઈન્વેસ્ટિગેશન એજન્સીએ (SIA) વર્ષ 1990માં કાશ્મીરી હિંદુઓના નરસંહારનો એક કેસ ફરીથી ખોલીને તપાસ શરૂ કરી છે. આ કેસ હિંદુ મહિલા સરલા ભટની હત્યા મામલેનો છે, જેમાં આતંકવાદી યાસીન મલિકનાં ઠેકાણાં પર પણ દરોડા પાડવામાં આવ્યા છે. 

એજન્સીએ કાર્યવાહીની પુષ્ટિ કરી છે. જેમાં જણાવવામાં આવ્યું કે એપ્રિલ 1990માં થયેલા સરલા ભટના અપહરણ અને ત્યારબાદ હત્યા સંબંધિત કેસમાં SIAએ શ્રીનગરમાં આઠ ઠેકાણે દરોડા પાડ્યા હતા, અને આ મામલે કાર્યવાહી કરવામાં આવી રહી છે. 

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કાર્યવાહી દરમિયાન JKLF આતંકવાદી યાસીન મલિક, પીર નુરુલ હક વગેરે સંબંધિત ઠેકાણે સર્ચ ઑપરેશન હાથ ધરવામાં આવ્યું. હાલ વધુ જાણકારીની રાહ જોવામાં આવી રહી છે. યાસીન મલિક હાલ ટેરર ફન્ડિંગ કેસમાં તિહાડ જેલમાં બંધ છે.