Monday, April 29, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટમોરબીની દુર્ઘટના સમયે અખબાર ‘સંદેશ’ને મંત્રીના અંગ્રેજી સાથે વાંધો પડ્યો, લોકોએ કહ્યું-...

    મોરબીની દુર્ઘટના સમયે અખબાર ‘સંદેશ’ને મંત્રીના અંગ્રેજી સાથે વાંધો પડ્યો, લોકોએ કહ્યું- પહેલાં પોતાની જ ભાષા સુધારો

    અખબાર સંદેશે મોરબીના ધારાસભ્ય અને મંત્રી બ્રિજેશ મેરજાના અંગ્રેજી પર ટિપ્પણી કરતો લેખ પ્રકાશિત કર્યો હતો.

    - Advertisement -

    મોરબીમાં ઝૂલતો પુલ તૂટી પડ્યા બાદ સ્થળ પર ચાલતા રાહત-બચાવ કાર્ય દરમિયાન સ્થાનિક ધારાસભ્ય અને મંત્રી બ્રિજેશ મેરજા પણ ત્યાં પહોંચ્યા હતા. દરમ્યાન, તેમણે ન્યૂઝ એજન્સી ANIને એક ઇન્ટરવ્યૂ આપ્યો હતો. જેમાં તેમણે વાપરેલી ભાષાને લઈને અખબાર ‘સંદેશ’ને વાંધો પડ્યો છે. સંદેશની વેબસાઈટ પર એક રિપોર્ટ પ્રકાશિત કરી બ્રિજેશ મેરજાના અંગ્રેજી પર ટિપ્પણી કરવામાં આવી હતી. 

    ‘આપણા મંત્રીજીને અંગ્રેજી બોલવામાં ફાંફાં પડયા’ શીર્ષક હેઠળ પ્રકાશિત અહેવાલમાં સંદેશે મંત્રી બ્રિજેશ મેરજાને અંગ્રેજીની ‘હત્યા’ કરાવતા ગણાવ્યા હતા. સાથે એવો પ્રશ્ન પણ પૂછ્યો હતો કે શું આ જ આપણે ચૂંટેલા મંત્રી છે? 

    જોકે, દુર્ઘટના સમયે પણ મંત્રીના અંગ્રેજીમાં ખામી શોધવા નીકળેલા અખબારની લોકોએ ઝાટકણી કાઢી હતી. યુઝર રિતેશ મારફતિયાએ લખ્યું કે, આ લખનારા પત્રકારે પોતે કેટલું ધાણીફૂટ અંગ્રેજી બોલી શકે તેનો વિડીયો પોસ્ટ કરવો જોઈએ. 

    - Advertisement -

    એક યુઝરે લખ્યું કે, ગુજરાતી ન્યૂઝ પેપરને શરમ આવવી જોઈએ આ બધું લખતા. આત્મા વેચી મારી કે શું ? 

    નંદિતા ઠાકુરે કહ્યું કે, સંદેશ ગુજરાતી છાપું હોવા છતાં દરેક લેખમાં અનેક હિંદી, ઉર્દૂ અને અંગ્રેજી શબ્દો હોય છે. તેમણે કહ્યું કે, ગુજરાતી મંત્રીની અંગ્રેજી પર ટિપ્પણી કરવા કરતાં તેઓ પોતાની ગુજરાતી ભાષા સુધારશે તો એ વધુ સારું રહેશે.

    ડૉ. સંકેત મહેતાએ લખ્યું કે, ગુજરાત સરકારના મંત્રીને ગુજરાતી આવડે એ જરૂરી છે. તેમણે એમ પણ લખ્યું કે શું વિદેશીઓ ગુજરાતી બોલે છે?

    આ ઉપરાંત, પણ કેટલાક યુઝરોએ સંદેશને આવા રિપોર્ટ બદલ ટકોર કરી હતી. 

    મોરબી દુર્ઘટના 

    મોરબીમાં મચ્છુ નદી પર આવેલો વર્ષો જૂનો ઝૂલતો પુલ ગઈકાલે તૂટી પડ્યો હતો. પુલના વચ્ચેથી બે કટકા થઇ ગયા હતા, જેના કારણે પુલ પર હાજર સેંકડો લોકો પાણીમાં પટકાયા હતા. તાત્કાલિક રાહત-બચાવકાર્ય શરૂ કરી દેવામાં આવ્યું હતું, જોકે તેમ છતાં અત્યાર સુધી 134 લોકોનાં મોતની પુષ્ટિ થઇ ચૂકી છે. 

    આ પુલ એક ખાનગી કંપનીએ બનાવ્યો હતો અને રિનોવેશન બાદ બેસતા વર્ષના દિવસે જ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. ઘટના બાદ પોલીસે FIR દાખલ કરી 9 લોકોની અટકાયત કરી હતી. આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ મોરબીની મુલાકાત લેશે. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં