Friday, March 29, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટસ્ટેચ્યુ ઑફ યુનિટીને ગણાવ્યું હતું ‘મેડ ઈન ચાઈના’, આદિવાસીઓ માટે અલગ ધર્મની...

    સ્ટેચ્યુ ઑફ યુનિટીને ગણાવ્યું હતું ‘મેડ ઈન ચાઈના’, આદિવાસીઓ માટે અલગ ધર્મની માંગ કરી: ‘આપ’ના વિધાનસભા ઉમેદવારનાં હિંદુવિરોધી ટ્વિટ્સ વાયરલ

    આમ આદમી પાર્ટીએ વિધાનસભા ચૂંટણી માટે વધુ 10 ઉમેદવારોનાં નામની જાહેરાત કરી છે, જેમાં રાજપીપળાના નાંદોદથી પૂર્વ બીટીપી નેતા પ્રફુલ વસાવાને ટિકિટ આપવામાં આવી છે.

    - Advertisement -

    ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે આમ આદમી પાર્ટીએ વધુ દસ ઉમેદવારોનાં નામ જાહેર કર્યાં છે. જે પૈકી માંડવી, પાટણ, ડીસા, વેજલપુર, સાવલી, નાંદોદ જેવી વિધાનસભા બેઠકો પર પાર્ટીએ જેમને ટિકિટ આપી છે તેમનાં નામો ગઈકાલે જાહેર કરવામાં આવ્યાં હતાં. નામો જાહેર થયાની સાથે જ વિવાદ પણ શરૂ થઇ ગયો છે. કારણ કે આ યાદીમાં પ્રફુલ વસાવા જેવા વિવાદિત નેતાઓનો પણ સમાવેશ થયો છે. 

    પ્રફુલ વસાવાને આમ આદમી પાર્ટીએ છોટાઉદેપુર લોકસભાની નાંદોદ વિધાનસભા બેઠક પરથી ટિકિટ આપી છે. તેમના એમની જાહેરાત કરતાં આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયાએ કહ્યું કે, પ્રફુલ વસાવા પ્રોફેસર તરીકે નોકરી કરી ચૂક્યા છે. કેવડિયા બચાવો આંદોલનના પ્રણેતા રહ્યા છે. કેવડિયા વિસ્તારમાં આદિવાસીઓની જમીન બાબતે સંઘર્ષ કરવામાં મોટો ફાળો ભજવ્યો છે.

    પ્રફુલ વસાવા કેવડિયા બચાવો આંદોલન સમિતિના નામે સ્ટેચ્યુ ઑફ યુનિટીનો વિરોધ કરવામાં હંમેશા આગળ પડતા રહ્યા છે. અગાઉ તેમણે આ પ્રોજેક્ટના કારણે હજારો ગામો બરબાદ થઈ ગયાં હોવાનો દાવો કર્યો હતો. ઉપરાંત તેમણે સ્ટેચ્યુ ઑફ યુનિટીને સ્ટેચ્યુ ઑફ ડિસ્પ્લેસમેન્ટ (વિસ્થાપન) પણ ગણાવ્યું હતું. 

    - Advertisement -

    એટલું જ નહીં, તેમણે સરદાર પટેલની પ્રતિમાને ‘મેડ ઈન ચાઈના’ ગણાવીને કહ્યું હતું કે તેઓ આ સ્ટેચ્યુનો બહિષ્કાર કરે છે અને ક્યારેય પણ મુલાકાત નહીં લે. 

    પ્રફુલ વસાવાના નામની જાહેરાત થઇ તેની સાથે તેમનાં હિંદુવિરોધી ટ્વિટ્સ પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયાં હતાં. તેઓ સોશિયલ મીડિયાના માધ્યમથી આદિવાસીઓ હિંદુ નથી તેમ કહીને સતત ઉશ્કેરતા રહ્યા છે. 

    એક ટ્વિટમાં તેમણે કહ્યું હતું કે, આદિવાસીઓનો કોઈ ધર્મ નથી, જેથી વસ્તીગણતરીમાં તેમનો સમાવેશ કોઈ પણ ધર્મમાં કરવામાં આવવો ન જોઈએ. એટલું જ નહીં, પરંતુ તેમણે આદિવાસીઓ માટે અલગ ધર્મની પણ માંગ કરી હતી. 

    એક ટ્વિટમાં ‘આપ’ના ઉમેદવાર પ્રફુલ વસાવાએ ભારતના કોઈ પણ ધર્મની પરંપરાઓ આદિવાસીઓની પરંપરાથી અલગ હોવાનું કહીને ધાર્મિક માન્યતાઓ પણ જુદી હોવાથી આદિવાસીઓ અન્ય કોઈ ધર્મ અપનાવે તે ખોટું હોવાનું જણાવ્યું હતું. 

    આ ઉપરાંત, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો એજન્ડા 2024 સુધીમાં ભારતને હિંદુરાષ્ટ્ર ઘોષિત કરવાનો હોવાનો કહી ભાજપ પર તેને પૂર્ણ કરવા માટે દેશ સળગાવવાનો પણ આરોપ લગાવ્યો હતો. 

    આ ઉપરાંત, અન્ય એક ટ્વિટમાં તેમણે ગાયનો ઉલ્લેખ કરીને ગાયને માતા માનનારાઓને હિંદુત્વના નામે આતંક ફેલાવનારા પણ કહ્યા હતા. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં