સાબરકાંઠા (Sabarkantha) જિલ્લામાં આવેલી સાબર ડેરી (Sabar Dairy) હાલ ચર્ચાનો વિષય બની છે. કારણ એ છે કે, હજારોની સંખ્યામાં પશુપાલકોએ (Cattle Rearers) ‘સાબર ડેરી આંદોલન’ના નામે અહીં મોટાપાયે વિરોધ પ્રદર્શન (Protest) કરીને પોલીસ પર પથ્થરમારો (Stone Pelting on Police) શરૂ કરી દીધો હતો. વિરોધ પ્રદર્શન હિંસક થતાં પોલીસે પણ બળપ્રયોગ કરવાની ફરજ પડી હતી. પોલીસે લાઠીચાર્જ કરીને 70 જેટલા ટિયર ગેસના સેલ છોડ્યા હતા અને 60 જેટલા પ્રદર્શનકારીઓની અટકાયત કરી હતી. હાલ જાણવા મળી રહ્યું છે કે, આ ઘટનામાં એક પશુપાલકનું મોત થયું છે અને 4 પોલીસકર્મીઓ પણ ઘાયલ થયા છે.
શું હતી ઘટના?
14 જુલાઈ, 2025ના રોજ સાબરકાંઠા જિલ્લામાં સાબર ડેરી ખાતે હજારો પશુપાલકો દૂધના ખરીદ ભાવમાં 20-25% વધારાની માંગણી સાથે એકઠા થયા હતા. આ પ્રદર્શન ઝડપથી હિંસક બની ગયું હતું, જેમાં એક વ્યક્તિનું મૃત્યુ થયું છે, અનેક લોકો ઘાયલ થયા છે અને 60 પશુપાલકોની અટકાયત થઈ છે. પોલીસે ભીડને વિખેરવા 70 ટિયર ગેસના સેલ છોડ્યા અને લાઠીચાર્જ કર્યો હતો. પોલીસ સાથે ઘર્ષણની શરૂઆત ત્યારે થઈ, જ્યારે પ્રદર્શનકારીઓએ ડેરીના ગેટ તોડવાનો પ્રયાસ કર્યો, પોલીસ પર પથ્થરમારો કર્યો અને હિંમતનગર-તલોદ હાઈવે બ્લોક કર્યો, જેનાથી ટ્રાફિક ખોરવાયો.
આ ઘટનાને જોતાં પોલીસે પથ્થરમારો કરનારા ટોળાં પર લાઠીચાર્જ શરૂ કર્યો હતો. ત્યારબાદ પણ સ્થિતિ નિયંત્રણમાં ન આવતા પોલીસે ટિયર ગેસના સેલ છોડ્યા હતા. પશુપાલકોના ટોળાંએ પોલીસ વાહનોને પણ નુકસાન પહોંચાડ્યું હતું અને ડેરીના ગેટ પર લાગેલા સીસીટીવી કેમેરા પણ ઉખાડી નાખ્યા હતા. આંદોલનના નામે પ્રદર્શનકારીઓએ ડેરીની દીવાલની ગ્રીલ પણ તોડી નાખી હતી અને પથ્થરમારો કર્યો હતો.
સાબર ડેરી આંદોલન માં આવેલા ઇડર તાલુકાના જિંજવા ગામના અશોકભાઈ ચૌધરીનું મૃત્યુ.
— Sagar Patoliya (@kathiyawadiii) July 14, 2025
4 પોલીસકર્મીઓ ઘાયલ, 70 ટિયર ગેસ શેલ છોડાયા, 60 પશુપાલકોની અટકાયત. #Gujarat https://t.co/YEkLwOhmiE pic.twitter.com/HZrhLckAk4
પોલીસના પ્રયાસો છતાં પ્રદર્શનકારીઓએ હિંસક અથડામણ ચાલુ રાખી હતી. જે બાદ પોલીસે બળપ્રયોગ કર્યો હતો. આ ઘટનામાં ત્રણ લોકો ઘાયલ થયા હોવાનું કહેવામાં આવી રહ્યું છે. વધુમાં આ વિરોધ પ્રદર્શનને સ્થાનિક અપક્ષ ધારાસભ્ય અને પૂર્વ કોંગ્રેસ નેતા ધવલસિંહ ઝાલાનું સમર્થન પણ મળ્યું હતું. તેઓ પણ આ પ્રદર્શનમાં જોડાયા હતા. હાલ પોલીસે 60 પ્રદર્શનકારીઓની અટકાયત કરી છે. ઘાયલ પોલીસકર્મીઓ પણ સારવાર હેઠળ છે.
આંદોલનનું કારણ
આંદોલનનું મૂળ કારણ દૂધના ભાવ અને વાર્ષિક બોનસમાં ઘટાડો હતો. સાબર ડેરી, જે અમૂલ નેટવર્કનો ભાગ છે, તેણે ગયા વર્ષે ₹602 કરોડ બોનસ આપી 17% ભાવવધારો કર્યો હતો. આ વર્ષે બોનસ ઘટીને ₹500 કરોડ થયું, જેનાથી ભાવવધારો માત્ર 9.75% રહ્યો. આ ઘટાડાથી પશુપાલકોમાં રોષ ફેલાયો હતો અને તેના કારણે હિંસક પ્રદર્શન થયું હતું. તે સિવાય ઘટના બાદ મૃત્યુ પામનારા પ્રદર્શનકારીને લઈને પણ રાજકારણ ગરમાયું છે.
AAP પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ દાવો કર્યો છે કે, ઈડરના અશોકભાઈ ચૌધરીનું પ્રદર્શન દરમિયાન મૃત્યુ થયું છે અને તેમણે દોષનો ટોપલો પોલીસ અને ભાજપ પર ઢોળવાનો પ્રયાસ પણ કર્યો. જોકે, પોલીસે તેમના નિવેદનનું ખંડન કર્યું છે અને જણાવ્યું છે કે, મૃતક અશોકભાઈ વિરોધ પૂર્ણ કરીને ઘરે પરત ફર્યા બાદ તેમને છાતીમાં દુખાવો થયો અને ઈડરની સિવિલ હૉસ્પિટલ લઈ જતાં તેમનું મોત થયું છે. હાલ આ સમગ્ર મામલે કાર્યવાહી ચાલી રહી છે અને પ્રદર્શનકારીઓ પણ વિરોધ કરી રહ્યા છે.


